Surat : તક્ષશિલા આર્કેડની આગ હોનારત બાદ ચોતરફથી હાહાકાર મચ્યા બાદ રાજ્ય સરકારે ફાયર સેફટી(Fire Safety )વિનાની સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ નિશાન બનાવી રાજ્યભરમાં મહાઅભિયાન શરૂ કર્યું હતું. હજુ પણ ફાયર સેફ્ટી નહિ ધરાવતા કોમ્પ્લેક્ષો, હોસ્પિટલો સામે ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના ઘરમાં જ દીવા તળે અંધારું છે.
રાજ્ય સરકારના તાબા હેઠળની સુરત જિલ્લા પંચાયત જિલ્લા, સુરત જિલ્લામાં હજુ સુધી ફાયર સ્ટેશન બનાવી શક્યું નથી. ફાયર સ્ટેશન માટે બજેટમાં જમીન ફાળવવાની જોગવાઈ પણ કરી શક્યું નથી જે એક કડવી વાસ્તવિકતા છે. વર્ષ 2017 માં આ મામલે જિલ્લા પંચાયતના શાસકોને વિપક્ષ દ્વારા ઢંઢોળવાનો પ્રયાસ કરાયો હતો જોકે બહુમતીના જોરે વિપક્ષની જનહિતની રજૂઆત ફગાવી દઈ નકારમાં પ્રત્યુતર પાઠવવામાં આવ્યો હતો.
સુરત જિલ્લાની સમૃદ્ધ ગણાતી જિલ્લા પંચાયતના વિસ્તારમાં સરકાર દ્વારા એક પણ ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું નથી કે પછી એના માટે જમીનની ફાળવણી પણ કરવામાં આવી નથી ત્યારે નવા વરાયેલા શાસકો ફાયર સ્ટેશન મામલે કેવું મંતવ્ય અપનાવે છે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરથાણાની તક્ષશિલા આર્કેડમાં ખેલાયેલા અગ્નિ કાંડ ની ઘટનામાં 22 જેટલા માસુમ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ઘટનાના પ્રત્યાઘાતો ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં પડ્યા હતા. અને સુરત શહેર ની છબી દેશભરમાં ખરડાઈ હતી.
જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે
ઔદ્યોગિક નગરી સુરતના ગ્રામ્ય વિસ્તારમાં માંડવી, કરજ, પલસાણા, કડોદરા, દેલાડ, સિવાણ, ઓલપાડ, સાયણ, કિમ, માસમાં.સહિતના વિસ્તારોમાં ઉદ્યોગ ગૃહો ધમધમી રહ્યા છે. જ્યારે જ્યારે ઉદ્યોગ ગૃહોમાં અકસ્માતે આગની ઘટના બનતી હોય છે ત્યારે સુરત મનપાના ફાયર વિભાગ ઉપર મદાર રાખવો પડે છે. દૂર દૂરના સ્થળે આગ બુઝાવવાની કામગીરી માટે રવાના કરવામાં આવેલા ફાયરના સાધનો પહોંચે તે પહેલા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટું નુકસાન પહોંચાડતી હોય છે.
લાંબા સમયની પડતર માંગ સંતોષવા શાસકો સંવેદનશીલ નિર્ણય લે તે જરૂરી
સુરત જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફાયર સ્ટેશન સાકાર કરવા માટેની લાંબા સમયની માંગ પડતર રહી છે. જે પૂરી કરવામાં આવી નથી.
તત્કાલીન સમયે વિપક્ષના સદસ્ય દર્શન નાયકે વર્ષ 2017માં 30મી માર્ચના રોજ યોજવામાં આવેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સવાલ ઉઠાવ્યો હતો કે જિલ્લા પંચાયત દ્વારા ફાયર સ્ટેશનની સુવિધા ઉભી કરવા માટે બજેટમાં કોઇ જોગવાઇ કરવામાં આવી છે કે કેમ? કે પછી ફાયર સ્ટેશન માટે જિલ્લામાં કોઈ જગ્યાની પસંદગી કરવામાં આવી છે કે કેમ?
અથવા તો ફાયર સ્ટેશનની સુવિધા ઉભી કરવા માટે સરકારમાં કોઈ પ્રપોઝલ મોકલવામાં આવી છે? સામે જિલ્લા પંચાયતના શાસકોએ તમામ સવાલોનો જવાબ નકારમાં આપ્યો હતો. ત્યારે નવા શાસકો પાસે આ બાબતે કંઈ નક્કર કામગીરી થાય તેવી માંગ કરવામાં આવી છે.