
સુરતમાં વારંવાર સર્જાતા ખાડીપૂરના પ્રશ્નને લઈને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા માત્ર 25 દિવસમાં ત્રણ વખત ખાડીપૂરની સ્થિતિ સર્જાતા પર્વત પાટિયા સહિત આસપાસના વિસ્તારોના રહીશો હવે કાયમી ઉકેલની માંગ સાથે આંદોલનના માર્ગે આગળ વધ્યા છે.
પર્વત પાટિયા અને આસપાસની 15થી વધુ સોસાયટીઓના રહીશોએ મળીને જન આંદોલન સમિતિની રચના કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વખતે ભારે વરસાદ બાદ ખાડીપૂરની સમસ્યા સર્જાય છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની જાય છે. અનેક પરિવારોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, છતાં તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે.
રહીશોએ સ્પષ્ટ જણાવ્યું છે કે હવે તેઓ માત્ર વચનો સાંભળવા તૈયાર નથી. સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધીનગર સુધી પદયાત્રા, બાઈક રેલી અને ઉપવાસ આંદોલન જેવા કાર્યક્રમો યોજવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ સમગ્ર મુદ્દે સુરતના સાંસદ મુકેશ દલાલે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ખાડીપૂરની સમસ્યાનું મુખ્ય કારણ ખાડીઓ પર થયેલા માનવસર્જિત દબાણો છે. પાણીના કુદરતી વહેણમાં આવેલા અવરોધો અને વર્ષો દરમિયાન થયેલા પૂરાણના કારણે હાલની સ્થિતિ વધુ ગંભીર બની છે.
Surat Floods: MP Mukesh Dalal Blames Human Encroachment for Khadi Flooding | Gujarat | TV9Gujarati#Surat #MukeshDalal #KhadiFlood #Floods #Waterlogging #Encroachment #SuratFloods #Gujarat #TV9Gujarati pic.twitter.com/TiSdyEUpAW
— Tv9 Gujarati (@tv9gujarati) August 3, 2026
સાંસદ મુકેશ દલાલના જણાવ્યા મુજબ, ખાડીઓ પર થયેલા તમામ અવરોધોને દૂર કરીને કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ઉપરાંત શહેરની તમામ સાત ખાડીઓનો વિગતવાર અભ્યાસ કરીને લાંબા ગાળાની કામગીરી હાથ ધરવામાં આવશે.
તેમણે સ્વીકાર્યું કે સતત પૂરની સ્થિતિનો સામનો કરી રહેલી પ્રજાનો રોષ સંપૂર્ણપણે વ્યાજબી છે અને સરકાર તથા તંત્ર લોકોની સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવા માટે જરૂરી પગલાં ભરશે.
સરકારી ખર્ચે કરો તીર્થયાત્રા, 15 રાજ્યોના વરિષ્ઠ નાગરિકો માટે ખાસ યોજના, જાણો કોણ લઈ શકે લાભ