સુરતના (Surat) નાનપુરામાં આવેલા મંગલમ કોમ્પ્લેક્સના માલિકનો બોગસ આધારકાર્ડ બનાવી મોટું GST કૌભાંડ (GST Scam) આચરનારને સુરતની ઇકોસેલ ટીમે ઝડપી પાડયો છે. ઇકોસેલે સરકારી તિજોરીમાં જીએસટી કૌભાંડ આચરનાર મુખ્ય સૂત્રધાર આદિલ બાજુબેર મુંબઈથી દુબઈ ભાગવા જઈ રહ્યો હતો. ત્યારે ભારત છોડે તે પહેલા જ પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી આરોપીને ઝડપી પાડી સુરત લઈ આવી હતી.
આ પણ વાંચો-Rathyatra 2023 : અમદાવાદમાં રથયાત્રા નજીક આવતા પોલીસ સક્રિય, અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું
આરોપીએ મંગલમ કોમ્પ્લેક્સની 21 દુકાનોના બોગસ ભાડા કરાર બનાવીને જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવી 13 જેટલી બોગસ પેઢીઓ બનાવી હતી. તેના નામે બોગસ બીલિંગ વેપાર કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવા આવતું હતું. જેથી સુરત ઇકો સેલે તેને ઝડપી લીધો છે.
મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામના વતની અને હાલ ડભોલી ગામ સિલ્વર સ્ટોન વિલા ફ્લેટ નંબર A/701 માં રહેતા બાબુભાઈ કાનજીભાઈ પટેલના નાનપુરા ખાતે આવેલા મંગલમ કોમ્પલેક્સમાં ગત જાન્યુઆરી મહિનામાં સુરત જીએસટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં કોમ્પલેક્સમાં દુકાનોના નામે કોઈક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ભાડા કરાર બનાવી તેના નામે જીએસટી નંબર મેળવી સરકારી કર ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
જો કે બાબુભાઈ પટેલે તેમના કોઈપણ દુકાનો ભાડે આપી નહીં હોવાનું જણાવ્યુ હતુ. જેથી જીએસટીની તપાસ દરમિયાન ઠગબાજોએ બાબુભાઈ પટેલની મંગલમ્ કોમ્પલેક્સની દુકાનોના લાઈટ બિલો મેળવીને ખોટા બિલો બનાવ્યાનું સામે આવ્યુ હતુ. સાથે જ તેમના નામે મોટા વરાછાના સુમેરુ સિટી મોલ અને શાંતિનિકેતન મિલક્તના પણ માલિક બતાવી તેમના નામનું બોગસ આધાર કાર્ડ બનાવી જેમાં કોઈક ત્રાહિત વ્યક્તિઓનો ફોટો લગાવી બોગસ ભાડાકરાર ઊભા કર્યા હોવાનું બહાર આવ્યું હતું.
બાબુભાઈ પટેલે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાબુભાઈ પટેલનું નામ ધારણ કરનાર અજાણી વ્યક્તિ તથા અબ્દુલ રહેમાન મુસ્તુફા અલ્હામેદ, આદિલ હસન બાજુબેર, ઈમ્તિયાઝ કાદરભાઈ મજનુર, પરેશ જયંતીલાલ સંઘાણી નિલેશ ઇન્દ્રવદન મોદીની સામે ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
પાસ દરમિયાન બહાર આવ્યું હતું કે 13 પેઢીઓના નામે રૂપિયા 52.86 કરોડથી વધુના નામે ટ્રાન્જેક્શન કરી લેવામાં આવ્યા હતા. જેની ટેક્સ ક્રેડિટ લઈ જીએસટી વિભાગને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આદિલ બાજુબેર હતો. જેને સુરતની ઇકો સેલ પોલીસે ઝડપી પાડ્યો છે.
દેશ છોડી ભાગવાનો પ્રયાસ કરતો હતો. આરોપી આદિલ તારીખ 16 મી મેના રોજ મુંબઈ એરપોર્ટથી દુબઈ ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો. તે વખતે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેને અટકાવી સુરત ઇકોસેલને જાણ કરવામાં આવી હતી. જેના આધારે આરોપી દેશ છોડીને ભાગે તે પહેલા જ ધરપકડ કરી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો