પાંડેસરા (Pandesara ) વિસ્તારમાં આવેલ સુખીનગર સોસાયટીમાં રહેતો કુશવાહ પરિવારના ઘરમાં મોડીરાત્રે 27 દિવસ પહેલા જ જન્મેલા બાળકનો(Child ) પ્રસંગ ચાલી રહ્યો હતો. આ સમયે અચાનક જ ઘરમાં ગેસનો(Gas ) સિલિન્ડર લીકેજ થયો હતો. ગેસ સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી હતી. જેથી મકાનમાં રહેતો યુવાન સિલિન્ડર પકડી ઘરની બહાર નીકળવા ગયો ત્યારે સિલિન્ડર હાથમાંથી છૂટી જતા નીચે પડ્યો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પતિ-પત્ની તેના ત્રણ વર્ષના બાળક સહીત કુલ ચાર આગની ઝપેટમાં આવી જતા દાજી ગયા હતા. બનાવને પગલે તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બનાવની વિગત એવી છે કે પાંડેસરા સુખીનગરમાં ઘર નંબર બી 24 માં રહેતા 27 વર્ષીય નરેન્દ્ર કુશ્વાહ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નરેન્દ્રના ઘરે હજુ 27 દિવસ પહેલા જ તેની પત્ની મીનાએ પુત્રને જન્મ આપ્યો હતો. નરેન્દ્ર અને મીનાને પહેલેથી એક ત્રણ વર્ષનો પ્રિયાંશ નામનો દીકરો છે અને હજુ 27 દિવસ પહેલા જ મીનાએ બીજા બાળકને જન્મ આપ્યો હતો. હાલમાં તેઓનો શ્રાવણ મહિનો ચાલતો હોવાથી અને બાળકનું નામ રાખવાનું બાકી હોવાથી ગઈકાલે ઘરે નામકરણનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો.
રાત્રે 9 વાગ્યે ઘરમાં પરિવારના સભ્યો હતા ત્યારે રસોડામાં જમવાનું બનાવતી વેળા ગેસ સિલિન્ડર અચાનક જ લીકેજ થતા આગ લાગી હતી. જેના કારણે નરેન્દ્ર દોડીને સિલિન્ડર પાસે પહોંચી ગયો હતો. ઘરના સભ્યોને બહાર નીકળવાનું કહી તે સળગતો સિલિન્ડર પકડી ઘરની બહાર લઇ જવા માટે નીકળ્યો હતો. પરંતુ અચાનક જ સિલિન્ડર હાથમાંથી છૂટી જતા આગ વધુ ઝડપે નીકળી હતી. જેના કારણે નરેન્દ્ર તથા તેની પત્ની મીના, ત્રણ વર્ષનો પુત્ર પ્રિયાંશ અને નરેન્દ્રની 18 વર્ષની બહેન સાલીની અમરસીંગ કુશ્વાહ શરીરે દાજી ગયા હતા.
બનાવને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ભેસ્તાન ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર હિતેશ પાટીલ અને ફાયર બ્રિગ્રેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ આગને કાબુમાં લઇ નરેન્દ્ર, મીના અને પ્રિયાંશને સારવાર માટે સિવિલમાં ખસેડ્યા હતા. જયારે શાલિનીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ગુજરાતીમાં કહેવત છે કે મા તે મા બીજા બધા વગડાના વા. આ કહેવત પાંડેસરામાં બનેલી ઘટનામાં સાર્થક નીવડી હતી. એક તરફ ઘરમાં ગેસ સિલિન્ડરથી આગ લાગતા ઘરમાં હાજર તમામ લોકો બહાર નીકળી ગયા હતા. આ સમયે મીના ઘરના પહેલા માટે તેના 27 દિવસના બાળક સાથે રૂમમાં હતી. મીનાને સીઝર ઓપરેશન કરી બાળકને ઉપરથી લેવામાં આવ્યું હતું. જેથી હજુ તેના ટાંકાને રૂઝ આવી ન હોવાથી તે બાળકને લઈને રૂમમાં સૂતી હતી. પરંતુ નીચે બુમાબુમ સાંભળી તે રૂમમાંથી વ્હાલસોયા 27 દિવસના બાળકને બાથમાં ભીડીને નીચે ઉતરી ઘરની બહાર ભાગી હતી. આ સમયે આગની જ્વાળાએ તેને પાછળથી લપેટમાં લીધી હતી પરંતુ તેમ છતાં તેમણે બાળકને બાથમાં ભીડી રાખી આગની જ્વાળાથી બચાવી લીધો હતો. જેના કારણે માત્ર 27 દિવસના બાળકને ખરોચ સુધ્ધાં આવી ન હતી.
Published On - 4:31 pm, Fri, 22 July 22