
સુરતના સરથાણા વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભરાયેલા પૂરના પાણી ઓસર્યા બાદ સ્થાનિકોનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. પૂરની સ્થિતિમાં બેદરકારી અને રાહત કાર્યમાં વિલંબને પગલે તેમણે શાસક પક્ષ ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યનો ઉધડો લીધો હતો. ભાજપના કાર્યકરો જ્યારે રાહત કીટ આપવા પહોંચ્યા ત્યારે લોકોએ તેમને ઘેરી વળ્યા હતા અને સણસણતા સવાલો કર્યા હતા.
સ્થાનિકોએ નેતાઓને પૂછ્યું હતું કે, “જ્યારે પાણી ભરાયેલા હતા, ગર્ભવતી મહિલાની તબિયત બગડી હતી, ત્યારે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો ક્યાં હતા?” તેમણે રાહત કીટ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરતા કહ્યું કે, “અમારી પાસેથી કીટ લઈ જાઓ, તમારી કીટ નથી જોઈતી.” આ ઘટના જાહેર રોષ અને તંત્ર પ્રત્યેની અવિશ્વાસની પરાકાષ્ઠા દર્શાવે છે.
સ્થાનિકોએ પૂરના પાણી ભરાવવા પાછળ તંત્ર અને બિલ્ડરોની મિલીભગતનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમના મતે, ખાડી પર દીવાલો બનાવી દેવાના કારણે પાણીનો નિકાલ અવરોધાયો અને પરિણામે વિસ્તારોમાં વધુ પાણી ભરાયા. આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરતા લોકોએ કહ્યું કે, “અત્યારે હજાર હજાર રૂપિયા આપે છે, હજાર રૂપિયાનું શું આવવાનું છે? પચાસ-પચાસ હજારનું અત્યારે નુકસાન થયું હોય, તો અમને હજાર રૂપિયામાં શું આવવાનું છે?”
એક સ્થાનિક રહીશે પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી તેમણે સ્થાનિક ધારાસભ્યની ઓફિસે, ખાડી વિભાગના અધિકારીઓને અને ટીપી વિભાગના અધિકારીઓને ખાડીના પ્રશ્ન અંગે સતત રજૂઆતો કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો ખાડીનો પ્રશ્ન હલ નહીં થાય તો સોસાયટીના રહીશોને પાણી ભરાવાની અને જાનહાની થવાની તકલીફ પડશે. જોકે, તેમની રજૂઆતોને અવગણવામાં આવી હતી અને અધિકારીઓએ એકબીજા પર ખો નાખીને કોઈ કાર્યવાહી કરી ન હતી.
લોકોએ એવો પણ આક્ષેપ કર્યો કે, “આ બે-ત્રણ વર્ષથી કાંઈ પ્રોબ્લેમ નહોતો. આ બે-ત્રણ વર્ષથી આ જો આ બધી ખાડીમાં બધાય… બધાયના ખિસ્સા ભરાઈ ગયા અને બધાયને પૈસા અપાઈ ગયા. આ બધી વંડીઓ થઈ ગઈ ને બધાય પ્રોપર્ટી લઈ લીધી અને સિવર… અમારે સહન કરવાનું આ.”
સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાને સંબોધતા એક નાગરિકે કહ્યું કે, “મોટા તમને કોણે કર્યા છે? મતદારોએ. તો તમને એમ કેમ ખબર ન પડી? મારો વિસ્તાર છે, મારા વિસ્તારની અંદર હું બે બોટ મોકલું અને કાંઈ તકલીફ હોય, કોઈને ડિલિવરી હોય, તો લોકોને દુઃખ ન પડે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “નાના, અમારે એક જ જરૂર છે. અમારી માટે જે માણસ ફોન ઉપાડે ને, એવા આવી આફતની અંદર અમે એને મોટો માણસ માનવી છીએ.” આ ઘટના સુરત શહેરમાં પૂર વ્યવસ્થાપન અને સ્થાનિક નેતાઓની જવાબદારી અંગે ગંભીર સવાલો ઉભા કરે છે.
અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાં બની ઘટના, મોકડ્રીલ દરમિયાન ટીયર ગેસ લીક થતા અફરાતફરી