સુરત (Surat) માં ગણપતિ વિસર્જન, મા દુર્ગા વિસર્જન, છઠ પુજા જેવાં ધાર્મિક ઉત્સવોની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે આ ઉત્સવોમાં વિવિધ પ્રતિમાઓના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા દર વર્ષે કુત્રિમ તળાવ (Artificial lake) બનાવવામાં આવે છે. જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ હવે સુરત કોર્પોરેશન દ્વારા આવા ધાર્મિક પ્રસંગોએ પ્રતિમાઓના વિસર્જન માટે ઉપયોગમાં લઇ શકાય તથા અન્ય સમયે રી-ક્રિએશન, આનંદ પ્રમોદના સ્થળ તરીકે ઉપયોગ થઇ શકે એવાં બેવડાં આશયથી વોટર પ્લાઝા બનાવવાનું આયોજન કર્યુ છે. શહે૨માં કુલ 7 સ્થળોએ વોટર પ્લાઝા (Water Plaza) તબક્કાવાર બનાવવાનું સુરત મહાનગરપાલિકાનું પ્લાનિંગ છે.
જે પૈકી પાઇલોટ પ્રોજેક્ટ તરીકે કતારગામ ઝોનમાં અંદાજે 5500 ચો. મીટર જગ્યામાં વોટર પ્લાઝા બનાવવામાં આવશે. કન્સલટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડીઝાઇન અન્વયે વોટર પ્લાઝા માટે 6.35 કરોડના ગ્રોસ અંદાજને કોર્પોરેશન દ્વારા મંજૂરી આપી છે. દર વર્ષે હંગામી ધોરણે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. જેની પાછળ લાખો લીટર પાણીનો પણ વ્યય થાય છે. આ ખર્ચને નિવારી શકાય તે હેતુથી કાયમી વિસર્જન કુંડો ઊભા કરી શકાય તથા તહેવારો સિવાયના બાકી દિવસોમાં શહેરીજનો આનંદ પ્રમોદ, રમત-ગમત, સામાજિક મેળાવડાઓ માટે નવું સ્થાન ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી મનપા દ્વારા આ આયોજન કરાયું છે.
આ પ્રોજેકટમાં બે વિસર્જન કુંડ, જે પૈકી 32.28 લાખ લિટરની પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતું મુખ્ય કુંડ અને 4.74 લાખ લિટરના સંગ્રહની ક્ષમતા ધરાવતું નાનુ કુંડ બનાવવામાં આવશે. તે સિવાય વોલીબોલ કોર્ટ, ફૂડસેલ કોર્ટ, મલ્ટિગેમ કોર્ટ, કિડ્સ પ્લે એરિયા, સિનીયર સિટીઝન સીટિંગ, વોકિંગ ટ્રેક સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. પ્રતિમાઓના વિસર્જન વખતે વિસર્જન કુંડનો ઉપયોગ કરાશે. ત્યાર સિવાયના સમયમાં રી-ક્રિએશન એક્ટિવિટી તરીકે આ જગ્યાનો ઉપયોગ કરાશે.
આ તળાવો કૃત્રિમ તળાવોની સરખામણીમાં બમણા મોટા હશે. નોંધનીય છે કે વિવિધ તહેવારોમાં સ્થાપના કરાતી પ્રતિમાઓના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા 3 કરોડના ખર્ચે તમામ ઝોનમાં અત્યારસુધી 21 જેટલા તળાવો બનાવવામાં આવતા હતા. જેમાં 18 બિલિયન પાણીનો વપરાશ થતો હતો. પણ હવે તેના કાયમી નિરાકરણ ના ભાગરૂપે આ વોટર પ્લાઝા બનાવવાનું આયોજન કરાયું છે. નેધરલેન્ડમાં રોટરડેમના પ્રોજેકટ પરથી પ્રેરણા લઈને આ પ્રોજેકટ સાકાર કરવામાં આવશે.