Success Story: સુરતના આ નાનાજીના નુસ્ખાએ તો કમાલ કરી દીધી! 85 વર્ષની ઉંમરે પોતાની કમાણીથી ખરીદી સપનાની કાર
નાનાજીએ બાળપણમાં (Childhood) જોયેલું એક સપનું પણ આ સ્ટાર્ટ અપથી પૂરું થયું છે અને એ છે પોતાની કમાણીથી કાર ખરીદવાનું. 85 વર્ષના આ નાનાજીએ આજે પોતાના સપનાની કાર પણ ખરીદી છે.
રિટાયર્ડમેન્ટ (Retirement)ની કોઈ ઉંમર નથી હોતી, ઉંમર (Age) એ ફક્ત આંકડો જ હોય છે. આ શબ્દો છે સુરતના નાનાજી ના. જેઓએ પોતાની કુશળતાથી 83 વર્ષની ઉંમરમાં સ્ટાર્ટ અપ બિઝનેસ શરૂ કર્યો છે અને ફક્ત બે વર્ષના ટૂંકા સમયગાળામાં તેઓને આ બિઝનેસમાં અભૂતપૂર્વ સફળતા પણ મળી છે અને આજે આ નાનાજીના નુસ્ખાની દેશભરમાં બોલબાલા થઇ ગઈ છે. સુરતમાં વેસુ વિસ્તારમાં રહેતા રાધાકિશન ચૌધરીએ આયુર્વેદમાં અભ્યાસ કર્યો છે. તેઓ માને છે કે દુનિયાની કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યાનો ઈલાજ તમને આયુર્વેદમાં અચૂકથી મળી જાય છે.
નાનાજીના નુસ્ખાની બોલબાલા
આ અભ્યાસનો નાનો મોટો ઉપયોગ તેઓ પોતાના રોજિંદા જીવનમાં તો કરતા જ આવ્યા હતા પણ તેમાં મોટો બદલાવ કોરોના સમયમાં આવ્યો. કોરોના સમયગાળો જ્યાં લોકોના માટે મુસીબત બનીને આવ્યો હતો. ત્યાં નાનાજીએ પોતાની દીકરીની એક ફરિયાદનું નિરાકરણ લાવવા શોધી કાઢ્યું જાદુઈ તેલ. આ તેલને જાદુઈ એટલા માટે પણ કહેવું પડશે કારણ કે રાતોરાત તેની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે તેઓને તેના માટે એક પ્રોડક્શન હાઉસ શરૂ કરવું પડ્યું.
બે વ્યક્તિથી શરૂ કરેલા સ્ટાર્ટઅપમાં આજે રાખવો પડી રહ્યો છે વધારાનો સ્ટાફ
નાનાજીની દીકરીએ કોરોના બાદ વાળ ખરવાની ફરિયાદ કરી હતી. જે મોટાભાગે દરેક લોકોને થઈ હતી. આ ફરિયાદ માટે તેઓએ આયુર્વેદિક નુસખાઓની મદદથી એક તેલ તૈયાર કર્યું. પહેલા તો આ તેલ તેઓએ નજીકના સંબંધીઓ અને પરિવારજનોને જ આપ્યું પણ તેનું પરિણામ જે મળ્યું તે ચોંકાવનારું હતું. ધીરે ધીરે તેની માંગ વધવા લાગી અને તે પછી તેમના પૌત્રએ આ તેલનું બ્રાન્ડિંગ સોશિયલ મીડિયામાં કરવાનું નક્કી કર્યું અને પછી તો જાણે આ તેલ માટે ઓર્ડરનું વાવાઝોડું આવી ગયું. ઘરમાં બે વ્યક્તિઓ સાથે તૈયાર કરેલા આ સ્ટાર્ટ અપ માટે આજે તેઓએ વધારાનો સ્ટાફ રાખવાની ફરજ ઉભી થઇ છે.
View this post on Instagram
પોતાની કમાણીથી 85 વર્ષની ઉંમરે ખરીદી સપનાની કાર
નાનાજીએ બાળપણમાં જોયેલું એક સપનું પણ આ સ્ટાર્ટ અપથી પૂરું થયું છે અને એ છે પોતાની કમાણીથી કાર ખરીદવાનું. 85 વર્ષના આ નાનાજીએ આજે પોતાના સપનાની કાર પણ ખરીદી છે. જે પણ એક મોટી વાત કહી શકાય. આજે આ ઉંમરે પણ તેઓ દરરોજ પોતાના પ્રોડક્શન હાઉસ પર આવે છે. તેમના કહેવા પ્રમાણે લોકોએ તેમના પર મુકેલા સપનાને પૂર્ણ કરવાનું તેઓ માને છે. તેઓ પોતાની દરેક પ્રોડ્કટને પહેલા પોતે ટ્રાય કરે છે અને પછી જ લોકો માટે ખુલ્લું મૂકે છે.
તેઓની પ્રોડક્ટ કેમિકલ ફ્રી છે. જેના કારણે જ લોકોની ભરપૂર પ્રશંસા તેમને મળી રહી છે. જાહેરાત માટે એકપણ રૂપિયો ખર્ચ કર્યા વિના જ તેઓને આ ઓર્ડર મળવા લાગ્યા છે. જે પણ એક ઉપલબ્ધી છે. તેઓ હજી પણ પોતાના આયુર્વેદના અભ્યાસ થકી લોકોની સમસ્યા દૂર કરવાનું સપનું રાખે છે અને આ ઉંમરે તેઓ અન્ય યુવાનોને પણ સારા કર્યો કરવાની શીખ આપે છે.
સાંભળો નાનાજીના સફળતાનો મંત્ર :