
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના માળખાકીય સુવિધાઓની પોલ ખુલી પડી છે. સુરત, નવસારી, જૂનાગઢ સહિતના અનેક જિલ્લાઓમાં રસ્તાઓની અત્યંત ખરાબ હાલત જોવા મળી રહી છે. હજારો કરોડ રૂપિયાના બજેટ છતાં લોકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત રસ્તાઓ શા માટે નથી મળતા, તે એક મોટો પ્રશ્ન છે. ઠેર ઠેર પડતા ભૂવા અને ખાડાઓ તંત્રની બેદરકારીનું પ્રતિબિંબ છે.
સુરત શહેરમાં રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ડીંડોલી ગામ જતો મુખ્ય રસ્તો, જ્યાં સાત દિવસ પહેલા મોટો ભૂવો પડ્યો હતો, ત્યાં હજુ પણ કોઈ નક્કર કામગીરી થઈ નથી. માત્ર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ડીંડોલીના G-9 સર્કલ પાસે રસ્તો બેસી જતાં એક વોટર ટેન્કરનું ટાયર ખાડામાં ફસાઈ ગયું હતું. આ ઘટના પ્રિ-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સ્પષ્ટપણે દર્શાવે છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, લગભગ ત્રણ મહિના પહેલા ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી થઈ હતી, પરંતુ તેનું યોગ્ય પુરાણ ન થતાં ચોમાસામાં રોડ બેસી ગયો અને ભૂવો પડ્યો. 12,000 કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર આવી સ્થિતિમાં લોકોને મુકવામાં આવતા સત્તાધીશોની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની જાણ થતાં સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે રસ્તાના સમારકામની તાત્કાલિક શરૂઆત કરવાની ખાતરી આપી હતી અને માટી બેસી જવાના કારણે ભૂવો પડ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર ઉપરાંત અધિકારીઓ સામે પણ નક્કર કાર્યવાહીની માંગ ઉઠી છે.
સુરતની જેમ જ નવસારીની પરિસ્થિતિ પણ કફોડી છે. નવસારીના મેયરે તો જાહેરમાં જ કહી દીધું કે “ભૂવા તો પડશે જ”. મેયરના આ નિવેદને તંત્રની લાચારી અને બેદરકારી બંનેને છતી કરી દીધી છે. નવસારીના મિથિલા નગરી વિસ્તારમાં રિંગરોડ પર એક મહિના અગાઉ ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ જ ભૂવો પડ્યો હતો, જેના કારણે GIDCની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.
વેરાવળ અને જૂનાગઢમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. વેરાવળમાં વરસાદી પાણી વચ્ચે છુપાયેલા ખાડામાં એક સાયકલ સવાર બાળક સાથે ખાબક્યાનો અકસ્માત સર્જાયો હતો. આ ઘટના વોર્ડ નંબર બેમાં બની હતી અને તેણે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જૂનાગઢના ઓઘડનગર રોડ પર CCTVમાં કેદ થયેલા દ્રશ્યો વધુ ભયાવહ છે, જ્યાં રસ્તાની વચ્ચોવચ ખુલ્લા છોડી દેવાયેલા ગટરના ઢાંકણાના કારણે પાણી ભરાયેલા રસ્તામાં વાહનચાલકો અને રાહદારીઓ ખાબક્યા હતા.
આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં તંત્ર દ્વારા અકસ્માત થયા પછી કાર્યવાહી કરવાને બદલે અકસ્માત જ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં કેમ નિષ્ફળતા મળે છે તે એક મોટો પ્રશ્ન છે. વિકાસના દાવાઓ વચ્ચે રસ્તાઓ આટલા નબળા કેમ થઈ ગયા છે? કામગીરી પછી ગુણવત્તા પર નજર કેમ રાખવામાં આવતી નથી? આ રસ્તા પર પડેલો એક ભૂવો માત્ર ડામરનો ખાડો નથી, પરંતુ તંત્રની બેદરકારીનું સૌથી મોટું ગાબડું છે, જે પ્રજાના પૈસે થતા કામોની ગુણવત્તા પર સવાલો ઉભા કરે છે.
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન, પશ્ચિમના વિસ્તારોમાં મેઘમહેર, જુઓ Video