
સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે 26 અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશ્નર, SOGના DCP રાજદીપસિંહ નકુમ, ખાનગી બિલ્ડર, SMC અને પોલીસના સંબંધિત અધિકારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે હાઇકોર્ટને જણાવ્યું કે નાસિરનગરના લાયકાત ધરાવતા અસરગ્રસ્ત પરિવારોના પુનઃવસન માટે 120 ફ્લેટ ઉપલબ્ધ છે. ઉપરાંત સમગ્ર ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે હાઇ લેવલ કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. આ કમિટીમાં અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના બે વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.
કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે કમિટી દ્વારા કરવામાં આવનારા “તલસ્પર્શી અભ્યાસ”નો ચોક્કસ અર્થ શું છે અને તપાસનો વિષય શું રહેશે?
જવાબમાં એડવોકેટ જનરલે જણાવ્યું કે ડિમોલિશન પ્રક્રિયામાં સામેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવશે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું કે સમગ્ર ઘટનામાં SMC કમિશ્નરના મોબાઇલ નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ સામે આવ્યો છે. કોર્ટે જણાવ્યું કે સસ્પેન્ડ કરાયેલા SMC કર્મચારીએ પોતાના એફિડેવિટમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે કમિશ્નરના સૂચનથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
કોર્ટે પ્રશ્ન કર્યો કે શું કોઈ કર્મચારી હાઇકોર્ટમાં ખોટું એફિડેવિટ કરવાની હિંમત કરશે? જો કમિશ્નર સામે આક્ષેપો છે તો તેમનો ખુલાસો અત્યાર સુધી કેમ લેવામાં આવ્યો નથી?
SMCના એક્ઝિક્યુટિવ એન્જિનિયરના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે કમિશ્નરે તેમના કામની પ્રશંસા કરી હતી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી પર નજર રાખવા જણાવ્યું હતું.
પરંતુ એડવોકેટ જનરલે દલીલ કરી કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર રોડના કામ સાથે સંકળાયેલા હતા અને ડિમોલિશન પ્રક્રિયા સાથે તેમનો સીધો સંબંધ નથી. તેમણે કહ્યું કે કમિશ્નર સામેના આક્ષેપો સ્વીકાર્ય નથી.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારની કાર્યવાહી અંગે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે સરકાર “તલસ્પર્શી અભ્યાસ”ના નામે કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહી છે.
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કમિટી કયા મુદ્દાની તપાસ કરશે તે જ સ્પષ્ટ નથી. જો કમિશ્નર સામે ગંભીર આક્ષેપો છે તો તેમના વિરુદ્ધ પ્રાથમિક તપાસ કેમ શરૂ કરવામાં આવી નથી? તેઓ હજુ પણ પોતાના હોદ્દા પર કેમ છે?
કોર્ટે વધુમાં જણાવ્યું કે SMC કમિશ્નરે પોતાના નંબર પરથી મોકલાયેલા મેસેજનો ઇનકાર કર્યો નથી. આવી સ્થિતિમાં જો આક્ષેપિત અધિકારી જ પોતાના હોદ્દા પર રહેશે તો નિષ્પક્ષ તપાસ કેવી રીતે શક્ય બનશે?
કોર્ટે કહ્યું કે 150 પરિવારોને કાનૂની પ્રક્રિયા વિના રસ્તા પર લાવી દેવામાં આવ્યા છે. આવી ગંભીર ઘટના છતાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી નથી.
સુનાવણી દરમિયાન ખાનગી જમીન પર ડિમોલિશન કરાયું હોવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. એડવોકેટ જનરલે દલીલ કરી કે ડિમોલિશન ખાનગી જમીન પર થયું નથી અને જમીન અલગ-અલગ સિટી સર્વે નંબર હેઠળ આવે છે.
પરંતુ કોર્ટે કહ્યું કે અરજદારો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ ડિમોલિશન ખાનગી માલિકીની જમીન સાથે જોડાયેલો મુદ્દો છે. કોર્ટે સવાલ કર્યો કે ખાનગી વ્યક્તિને ડેવલપમેન્ટ પરમિશન આપ્યા બાદ SMCએ તેના હિતમાં કાર્યવાહી કેમ કરી?
કોર્ટે વધુમાં નોંધ્યું કે વર્ષો સુધી કોઈ કાર્યવાહી ન થયા બાદ અચાનક ડિમોલિશન કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર પ્રક્રિયા અંગે અનેક સવાલો ઉભા થાય છે.
એડવોકેટ જનરલે જણાવ્યું કે હાલ સરકારનું મુખ્ય ધ્યાન અસરગ્રસ્ત પરિવારોના પુનઃવસન પર છે. તેના જવાબમાં હાઇકોર્ટે કહ્યું કે જો અધિકારીઓની ભૂલના કારણે પરિવારોને નુકસાન થયું હોય તો પુનઃવસનનો ખર્ચ રાજ્યના નહીં પરંતુ દોષિત અધિકારીઓના ખર્ચે થવો જોઈએ.
કોર્ટે નોંધ્યું કે અરજદારોની બે મુખ્ય માંગ છે. પ્રથમ, અસરગ્રસ્ત પરિવારોનું યોગ્ય પુનઃવસન કરવામાં આવે અને બીજી, જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારીઓની ભૂમિકાને લઈને રાજ્ય સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો હતો. કેસની આગામી સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી વધુ વિગતવાર જવાબ રજૂ થવાની શક્યતા છે.
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત