સુરતના પુણા વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મમાં એક લૂમ્સના કારખાનામાં આજે બપોર બાદ અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટનામાં કારખાનાના ત્રીજા માળે ફસાયેલા બે કામદારોને ફાયર વિભાગ દ્વારા સાહસિક કામગીરી કરી સુરક્ષિત રીતે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
આંજણા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા આ લૂમ્સના કારખાનાના ત્રીજા માળે કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આગના મોટા ધુમાડા આકાશમાં છવાઈ ગયા હતા. આ ધુમાડા લગભગ ત્રણથી ચાર કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટપણે જોવા મળતા હતા, જે આગની ભીષણતાનો અંદાજ આપે છે. સ્થાનિક વિસ્તારોમાં આ દ્રશ્યો જોઈને લોકોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો હતો.
આગની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. શરૂઆતમાં જ 10 થી 15 જેટલી ફાયર ફાઈટર ટીમો તાત્કાલિક પુણાગામ વિસ્તારના આંજણા ફાર્મ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન, એવી માહિતી મળી હતી કે કારખાનાના ત્રીજા માળે બે કામદારો ફસાયા છે. આ જાણ થતાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ક્રેનની મદદથી ફસાયેલા બંને કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગની જ્વાળાઓમાં દાઝી ગયેલા આ યુવાનોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.
સુરત શહેરમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનામાં એક મહત્વપૂર્ણ બાબત એ સામે આવી છે કે, જે ત્રીજા માળે આગ લાગી હતી તે પતરાનો શેડ હતો. સુરતમાં અનેક કારખાનાઓ, ગોડાઉનો અને રેસ્ટોરન્ટમાં પતરાના શેડ બનાવવામાં આવે છે. જ્યારે આવા પતરાના શેડમાં આગ લાગે છે, ત્યારે ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે પતરાના કારણે ગરમી અંદર જ રહી જાય છે અને આગ ઝડપથી પ્રસરે છે. ફાયર વિભાગ દ્વારા હજુ પણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા અને કુલિંગ ઓપરેશન હાથ ધરવાના પ્રયાસો ચાલુ છે. આગથી થયેલા નુકસાન અંગેનો અંદાજ આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ જ લગાવી શકાશે.
વિદેશ જતા મુસાફરો માટે મોટા રાહતના સમાચાર, 1 સપ્ટેમ્બરથી બોર્ડિંગ પાસ પર ઇમિગ્રેશન સ્ટેમ્પિંગ બંધ