અધિક પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગ એસ.પી. રાજકુમાર પાંડિયન નાઓના અધ્યક્ષપણા હેઠળ સુરત ગ્રામ્યના પોલીસ (Surat Rural Police) અધિક્ષક હિતેશ જોયસરની ઉપસ્થિતિમાં તથા તેમજ ભાર્ગવ પંડ્યા ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી, બારડોલી વિભાગ તેમજ માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.પટેલ, તેમજ માંડવી પોલીસ સ્ટાફના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં શાંતિ સમિતિની મીટીંગ માંડવી તાલુકાના તડકેશ્વર ગામે દુધ મંડળીના હોલમાં રાખવામાં આવી હતી.
જે મીટીંગમાં માંડવી તાલુકાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનો તેમજ તમામ સમાજના સભ્યો તથા વિવિધ સંઘના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ શાંતિ સમિતિની મીટીંગમાં રાજકુમાર પાંડિયન નાઓએ હાજર આગેવાનો તેમજ ગ્રામજનોને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી માંડવી તાલુકામાં જેમાં ખાસ કરીને તડકેશ્વર ગામ, તેમજ આજુબાજુના ગામોમાં કોમી તંગદીલી સર્જાતી આવી છે. જે કોમી તંગદીલી ખાસ કરીને સોશિયલ મીડિયામાં કોઇ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકવાથી આવી પરિસ્થિતિ સર્જાય છે.
તો આવી પોસ્ટ નહીં મુકવા તેમજ કોઈપણ પ્રકારના પશુઓની હેરાફેરી હાલમાં પ્રવર્તમાન સમયમાં અમલમાં હોય તેવા કાયદા તેમજ નિયમો અનુસાર કરવા તેમજ ગૌવંશ કતલખાને લઇ જવા માટે હેરાફેરી નહી કરવા અને ગૌરક્ષક તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો સભ્યોને પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી બાબતે તથા ગૌવંશ કતલ કે હેરાફેરી બાબતે કોઇ માહિતી મળે તો જે તે બાબતે લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં જાણ કરી, પોલીસને સાથે રાખી યોગ્ય કાર્યવાહી કરવા સમજ આપી હતી અને દરેક કોમો વચ્ચે ભાઇચારો જળવાઈ રહે તે બાબતની અપીલ પણ કરવામાં આવી હતી.
તેઓએ ઉમેર્યું હતું કે, સોશિયલ મીડિયા આજે સૌથી ઝડપથી પ્રસરતું માધ્યમ છે, તેવામાં અન્ય ધર્મની કે સમાજની લાગણી દુભાવતી પોસ્ટ મોટું વૈમનસ્ય ઉભું કરી શકે છે. અને તેના કારણે તંગદિલીનું વાતાવરણ પણ ઉભું થઈ શકે છે. જેથી લોકોએ આ પ્રકારની પોસ્ટ મુકવાથી બચવું જરૂરી છે.
(Input – Suresh Patel)
Published On - 9:48 am, Wed, 13 July 22