
ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે સુરત શહેરમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે હવે સુરતમાં ભરાયેલ પાણીને લઈને CM અને Dy CMની હાજરીમાં મીટિંગ યોજાઈ હતી. જેમાં સુરત શહેરના અધિકારીઓની આકરી ઝાંટકણી કરવામાં આવી હતી. આ બાદ જે તે અધિકારીને CM ભૂપેન્દ્ર પટેલે કડક સૂચનાઓ આપી છે. જે બાદ ડેપ્યૂટી CMએ પણ ભવિષ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ તો જે તે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
આ અંગે ડેપ્યૂટી CM હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે 7 જુલાઈના રોજ સુરત શહેરમાં ભારે વરસાદ પડ્યો જેમાં અનેક ઘરો દુકાનો અને ખેતરોને ખારે નુકસાન થયું છે, ત્યારે આ પરિસ્થિતિમાં પોલિસ પ્રશાસન, NGO, NDRFની ટીમ અને લોકો ઘરોમાંથી નીકળીને એકબીજાને મદદરૂપ થયા છે અને પરિસ્થિતિનો સામનો કર્યો છે. સુરત શહેરમાં રેકોર્ડ બ્રેક વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે CMએ જે બેઠક યોજી તેમાં ખાળી અને નહેરના કારણે પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ તેને લઈને ભવિષ્યમાં આ સમસ્યા ઉભી ના થાય તે માટે તાત્કાલિક પગલા લેવા જણાવ્યું છે.
તેમજ જો ભવિષ્યમાં આ સમસ્યા ફરી સર્જાઈ તો અધિકારીઓ પર કડક પગલા ભરવામાં આવશે, તેમજ તેમણે જણાવ્યું હવે રોડ રસ્તા કે કોઈ પણ કામ જે કોર્પોરેશન કે જે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હોય અને તે તૂટ્યા કે નવા બન્યા હોય અને થોડા જ સમયમાં ખરાબ થવાની સ્થિતિમાં હોય ત્યારે તે અંગે યોગ્ય પગલા લઈને જે તે અધિકારીઓ વિરુદ્ધ કડક અને ફોજદારી પગલા ભરવામાં આવશે.
હર્ષ સંઘવી એ જણાવ્યું કે ભવિષ્યની અંદર આવા વરસાદના કારણે ખાસ કરીને ખાળીને લઈને સૂરત શહેરમાં પૂર ના આવે તે માટે ફુલ પ્રુફ પ્લાન બનાવવાની સૂચના અપાઈ છે. તેમજ ખાળીને રિડેવલોપમેન્ટ માટે પણ બજેટ ફાળવવામાં આવ્યું છે અને અધિકારીઓને લોકોને થયેલ નુકસાન પર તાત્કાલિક પગલા લઈને લોકોને મદદ કરવા અંગે સૂચના આપવામાં આવી છે.