રાજકોટના ગોંડલ (Gondal) નજીક કાળમુખી અકસ્માતમાં (Accident) સુરતના બે પરિવારના છ વ્યક્તિઓના મોત નિપજતા બે પરિવારની ત્રણ દીકરીઓ (Daughters) નોધારી બની ગઈ છે. ત્યારે કામરેજના પૂર્વ ધારાસભ્ય દ્વારા એક જ દિવસમાં આ બાળકીઓ માટે 12 લાખ જેટલી રકમ એકત્ર કરીને ત્રણેય દીકરીઓના બેન્ક એકાઉન્ટમાં જમા કરવાઈને માનવતાની મહેક છલકાવી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ દીકરીઓને મદદ માટે આગળ આવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે અને લોકો સહાય નહીં પણ દીકરીઓ માટે પ્રેમ દર્શાવતા હોય તે રીતે આર્થિક મદદ માટે આગળ આવી રહ્યા છે. રાજકોટના ગોંડલ નજીક અકસ્માતમાં કઠોદરાના અને મૂળ અમરેલી જિલ્લાના ગઢીયા પરિવારના કારનું ટાયર ફાટતા કાર ડિવાઇડરનું કૂદી સામે તરફથી આવતી એસટી બસ સાથે અથડાતા એક જ પરિવારના છ વ્યક્તિઓના મોત થયા હતા. જયારે છ વર્ષીય પુત્રી જેનીનો બચાવ થયો હતો.
કાળજું કંપાવી દે તેવા આ અકસ્માતમાં ગઢીયા અને બાંભરોલીયા પરિવારના છ સભ્યોના મોત થતા ત્રણ દીકરીઓ નોધારી બની છે. જેમાં પ્રફુલ્લ બાંભરોલિયાના પરિવારમાં ફક્ત બે દીકરી છે. 17 વર્ષીય બંસરી અને 6 વર્ષીય જેની, જયારે ગઢીયા પરિવારમાં 8 વર્ષીય દ્રષ્ટિનો સમાવેશ થાય છે. આ ત્રણ દીકરીઓ હાલ અનાથ થઇ ગઈ છે.
ત્રણેય દીકરીઓની વહારે લોકો આગળ આવી રહ્યા છે. દરેક સમાજના લોકોને માનવ સેવા એ જ પ્રભુસેવા અને બેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને સાર્થક બનાવવા હાકલ કરી છે. વરાછા બેંકમાં ત્રણેય દીકરીઓના નામે એકાઉન્ટ ખોલીને રકમ જમા કરાવવામાં આવી રહી છે. એક જ દિવસમાં 12 લાખ જેટલી રકમ દીકરીઓના ખાતામાં જમા થઇ છે.
કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાનું કહેવું છે કે સ્મશાનયાત્રામાં ત્રણેય દીકરીઓના મુખ જોતા જ તેમની મદદ કરવાની ભાવના જાગી હતી અને તેઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ શેર કરીને લોકોને મદદ કરવા માટેની એક હૂંફ ચાલુ કરી હતી. સમાજના નાના વર્ગના લોકો પણ નાની રકમ જમા કરાવી રહ્યા છે. જે સુરત માટે ગર્વની વાત છે.
સુરતના એક શાળા સંચાલક મંડળ દ્વારા ત્રણેય દીકરીઓના જ્યાં સુધી અભ્યાસ કરવાની ઈચ્છા હોય ત્યાં સુધીની તમામ પ્રકારની જવાબદારી ઉપાડવાની નેમ લેવામાં આવી છે. ઉપરાંત અન્ય કોઈપણ પરિસ્થિતિમાં તેમને મદદ કરવાના પ્રયત્નો કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતની તમામ નગરપાલિકામાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે: ધનસુખ ભંડેરી
આ પણ વાંચો : અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ટીમ પર પથ્થરમારો કરાયો