
સુરતથી એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્નીના કથિત ત્રાસ અને કાયદાના દુરુપયોગથી પરેશાન થઈને જિલ્લા કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની માંગ કરી છે. સુરત રહેવાસી કીરીટ પટેલે કલેક્ટરને આવેદનપત્ર આપીને ચેતવણી આપી છે કે જો તેમને આગામી ત્રણ દિવસમાં ન્યાય નહીં મળે, તો તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચશે નહીં.
કીરીટ પટેલે પોતાની પત્ની મનીષા ચૌહાણ પર મહિલા સુરક્ષા માટે બનેલા કાયદાઓનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે પત્ની પહેલા તેમની સાથે ઘરની અંદર મારપીટ કરે છે અને ત્યારબાદ પોલીસ હેલ્પલાઇન નંબર 100 અને મહિલા હેલ્પલાઇન 181 પર કોલ કરીને તેમની વિરુદ્ધ જ ઊલટા ખોટા કેસ નોંધાવી દે છે.
આ કેસનું ચોંકાવનારુ પાસું એ છે કે કીરીટ અને મનીષા બંનેના આ ત્રીજા લગ્ન છે. કીરીટ પટેલે પત્નીને ‘લૂંટારી દુલ્હન’ ની શ્રેણીમાં ગણાવતા કહ્યું કે, કેટલીક મહિલાઓ લગ્ન પછી ઘરનો સામાન લઈને ભાગી જાય છે, જ્યારે કેટલીક મહિલાઓ કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરીને પતિ અને તેના પરિવારને કોર્ટ-કચેરીના કેસોમાં ફસાવી દે છે, તેમની પત્ની આ બીજી શ્રેણીમાં આવે છે.
કીરીટ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ પોલીસ કમિશનર કચેરી અને કલેક્ટર ઓફિસના અનેક ચક્કર લગાવી ચૂક્યા છે, પરંતુ તેમને ક્યાંયથી ન્યાય મળ્યો નથી. તેમનો આરોપ છે કે પુરુષોના અધિકારોની રક્ષા માટે દેશમાં કોઈ કડક કાયદો નથી, જેના કારણે સમાજ અને કાયદો હંમેશા મહિલાઓની વાતને જ સાચી માની લે છે. ઇચ્છામૃત્યુની આ માંગ બાદ સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. મીડિયામાં કીરીટ પટેલે દુઃખ સાથે જણાવ્યું કે, “મૃત્યુ કોને ગમે છે? પરંતુ જ્યારે માણસ પાસે કોઈ રસ્તો નથી બચતો, ત્યારે જ તે મોત વિશે વિચારે છે.” કલેક્ટરે તેમને પોલીસ કમિશનર પાસે મોકલ્યા હતા, જ્યાં પણ માત્ર આશ્વાસન મળ્યું પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
તેમના લગ્ન 14 નવેમ્બર 2024 ના રોજ મનીષા ચૌહાણ સાથે થયા હતા. હાલ તેમની પત્ની, સાસુ તારાબેન અને સાળો દીપકભાઈ ત્રણેય મળીને તેમને સતત માનસિક રીતે પ્રતાડિત કરી રહ્યા છે. કીરીટ પટેલનો દાવો છે કે તેમનો ફોન વ્યસ્ત આવે તો પણ પત્ની તેમના પર શંકા કરીને પૂછપરછ કરતી હતી. એટલું જ નહીં, પત્નીએ કેસ ખતમ કરવાના બદલામાં તેમની પાસે પાછળથી લાખો રૂપિયાની માંગણી પણ કરી છે. તેમણે ઉમેર્યું કે મનીષા અગાઉના બે લગ્નોમાં પણ આ જ રીતે લાખો રૂપિયા લઈને વિવાદ કરી ચૂકી છે અને તેની વિડીયો રેકોર્ડિંગ પણ તેમની પાસે પુરાવા તરીકે મોજૂદ છે.
પીડિત પતિએ પત્ની પર અત્યંત સનસનાટીભર્યો આરોપ લગાવતા કહ્યું કે, એકવાર પત્ની મનીષાએ તેમની પહેલી પત્નીથી થયેલા પુત્રના મોઢા પર રોટલી ડૂચો આપીને અને ગળું દબાવીને તેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જો તેઓ છેલ્લી ઘડીએ ત્યાં ન પહોંચ્યા હોત તો પુત્રનો જીવ પણ જઈ શકતો હતો. આ ઘટના બાદ તેઓ પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ પોલીસે FIR દાખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
કીરીટ પટેલના જણાવ્યા મુજબ, ડીસીપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શરૂઆતમાં આ મામલે કલમ 307 (હાફ મર્ડર) હેઠળ ગુનો નોંધવાની વાત કહી હતી, પરંતુ આજદિન સુધી કોઈ એક્શન લેવાયા નથી. બીજી તરફ, પત્નીએ તેમની સામે કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલું હિંસાનો કેસ પણ કરી દીધો છે. કીરીટભાઈ કહે છે કે તેમને આ કોર્ટ કેસોથી કોઈ વાંધો નથી, પરંતુ તેઓ પોતાના માસૂમ પુત્ર પર થયેલા જીવલેણ હુમલાના મામલામાં ન્યાયિક કાર્યવાહી ઈચ્છે છે.
તેમણે તંત્ર સામે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો કે જ્યારે તેઓ ન્યાય માટે ગયા ત્યારે અધિકારીઓએ તેમને એવું પણ કહી દીધું કે, “તમે ભલે બે હજાર માણસો લઈને આવી જાઓ, અમને કોઈનાથી ડર નથી લાગતો.” પોલીસ અને પ્રશાસન સામાન્ય માણસની રજૂઆત ન સાંભળતું હોવાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું તેમણે જણાવ્યું છે. હાલ આ સમગ્ર મામલો સુરત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
Published On - 8:10 pm, Sat, 30 May 26