Surat સહીત દેશભરમાં કોરોનાની (Corona) સ્થિતિ સુધરી રહી છે. વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. તેવામાં 18 વર્ષથી નાની વયના બાળકોના માટે વેક્સીન ઉપલબ્ધ ન હોય સંભાવના છે કે કોરોનાની ત્રીજ લહેર બાળકો માટે ઘાતક સાબિત થઇ શકે. જોકે કોરોનાની પહેલી અને બીજી લહેરના અનુભવોને ધ્યાનમાં રાખીને તત્રં દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના નેજા હેઠળ કોરોનની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્રીજી લહેર જો આવે અને બાળકો તેમાં સંક્રમિત થાય તો તંત્રની તૈયારી કેવી છે તેના પર સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેર પર્સન ડો. જાગૃતિબેન પંડ્યાએ ઉમેર્યું હતું કે રાજ્યના 33 જિલ્લા, 251 તાલુકા અને 18 હજાર ગામડાઓમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે બે તબક્કામાં કામગીરી પૂર્ણ કરાઈ છે.
પ્રથમ તબક્કામાં રાજ્યના ગ્રામ્ય સ્તરે કોરોનાને અટકાવવાની કામગીરી પાયા કક્ષાએ થઇ રહી છે અને આરોગ્યની વિવિધ સમિતિ સાથે બેઠક કરીને કોરોના સામે લડવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. એડિશનલ પ્રોફેસર ઈન ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિશ્યન ડો. સંગીતાબેને ઉમેર્યું છે કે ત્રીજી લહેરમાં બાળકોની ખાસ કાળજી રાખવાની જરુર છે. બાળકો માટે ગભરાવવાની જરૂર નથી. પણ સાથે મળીને કોરોનાને કેવી રીતે અટકાવી શકાય તે વધારે જરૂરી છે.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર કરાશે. જે સંપૂર્ણ ચાઈલ્ડ ફ્રેન્ડલી (Child Friendly Ward ) હશે. જેમાં કાર્ટૂન્સ, બલૂન્સ અને રમકડાં પણ હશે. જેથી બાળકોને એકલતા ન લાગે અને તેઓ હસતા રમતા કોરોના સામેનો જંગ જીતીને આવે. બાળકોને માટે 126 બેડ અને 38 પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત રેસિડન્ટ ડોક્ટર, નર્સીંગ સ્ટાફ તેમજ ક્લિનિકલ અને નોન ક્લિનિકલ સ્ટાફને 7 દિવસની ટ્રેનિંગ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
તે જ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારો માટે ત્રીજી લહેર સામે લડવા વિલેજ કમિટી (village committee) બનાવવામાં આવશે. આ માટે 33 જિલ્લાઓનો પ્રવાસ કરવામા આવ્યો છે. ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ કમિટીઓ પણ બનાવવામાં આવી છે. જેમાં ગામના સરપંચ, સામાજિક કાર્યકર્તા, આચાર્ય, ડી.સી.પી.ઓ. અને સી.ડબ્લ્યુ.સી. ના ચેર પર્સનનો સમાવેશ થાય છે.