
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકા પંચાયતમાંતી ભાજપે શાસન ગુમાવ્યુ છે. બળવાખોરોએ સત્તા કબ્જે કરી લેતા જ ભાજપની સત્તાનો પ્રાંતિજમાં અંત આવ્યો છે. ભાજપે મેન્ડેટ આપ્યુ હતુ, તેના વિરુદ્ધ જઈને બળવાખોરોએ સત્તા આંચકી લીધી હતી. ભાજપના મેન્ડેટનો વિરોધ કરીને બળવાખોરી કરનારા તમામ 11 ભાજપ સદસ્યોને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવાનો જિલ્લા ભાજપ પ્રમુખે આદેશ કર્યો છે. ભાજપે અશિસ્તને લઈ બળવાખોરો સામે કાર્યવાહી કરી છે.
તો બીજી તરફ હવે ભાજપ દ્વારા બળવાખોરી માટે દોરીસંચાર કરવાનો જિલ્લા અને સ્થાનિક નેતાઓ પર શંકાઓ છે તેમની સામે પણ કાર્યવાહી કરવાની તલવાર લટકતી થઈ ચુકી છે. કેટલાકને હવે સંગઠનના માળખામાંથી સાઈડ લાઈન પણ કરવામા આવી શકે છે. પ્રાંતિજ અને તલોદમા તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાને લઈ સવાલો ઉઠવા લાગ્યા છે અને આ માટે પ્રદેશ કક્ષાએ આ અંગેની રજૂઆતો કરવામાં આવી છે. જેને લઈ હજુ પણ ભાજપમાં નવાજૂની થાય તો નવાઈ નહીં.
પ્રાંતિજ તાલુકા પંચાયતમાં રાજેશકુમાર પટેલના નામનુ મેન્ડેટ ભાજપ દ્વારા આપવામાં આવ્યુ હતુ. આ અંગેનો વ્હીપ પણ ભાજપ દ્વારા આપવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રદિપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડે પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમના સમર્થનમાં અન્ય 10 જેટલા સભ્યો પણ જોડાયા હતા. આમ તાલુકા પંચાયતમાં બળવો સર્જાયો હતો. બળવાને પગલે પ્રાંતિજ તાલુકા પંચાયતમાંથી ભાજપે સત્તા ગુમાવી હતી. ભાજપના જ બળવાખોરોએ સત્તા હાંસલ કરી લેવાને લઈ હવે ભાજપે સંપૂર્ણ બહુમતી ધરાવતી તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો છે.
હવે જિલ્લા ભાજપ પણ આકરા પાણીએ છે. શિસ્તભંગ કરીને બળવાખોરી કરી મેન્ડેટનો અનાદર કરનારા સભ્યો સામે પગલાની કાર્યવાહી કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ દ્વારા આ અંગે આદેશ કરવામાં આવ્યો છે. તેઓએ પત્રમાં જણાવ્યુ છે કે, ભાજપ પ્રદેશ દ્વારા રાજેશકુમાર કાન્તીભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે દક્ષાબેન વિપુલકુમાર શર્માના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો. જોકે ભાજપના જ ચૂંટાયેલા સભ્યોએ પ્રદેશના મેન્ડેટના ઉમેદવાર વિરુદ્ધ મત આપ્યો હતો. આમ પક્ષ વિરોધી ગેરશિસ્ત સાબિત થતા તાત્કાલિક અસરથી 11 સભ્યોને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Published On - 5:41 pm, Fri, 15 September 23