Rajkot: 500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી, પુરાવા નહીં આપે તો બદનક્ષીનો દાવો કરશે

|

Feb 28, 2022 | 12:29 PM

રાજકોટ-અમદાવાદ રોડ પર આવેલી સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજ સામે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા દ્વારા આક્ષેપ કરાયા હતા.

કોંગ્રેસ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Ex. Cm Vijay Rupani ) પર કરાયેલા 500 કરોડના ભ્રષ્ટાચાર (corruption) ના આક્ષેપનો મુદ્દે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને વકીલ મારફતે કોંગ્રેસ (Congress) ના નેતાઓને નોટિસ મોકલી છે અને 15 દિવસમાં લેખિતમાં માફી નહિ માંગે તો બદનક્ષીનો દાવો કરશે તેમ જણાવાયું છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ કરીને આણંદપરની જમીનમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો હતો.

રાજકોટ-અમદાવાદ રોડ પર કુવાડવા પાસે આવેલ સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજ સામે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મામલે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમની સામે મામલે બદનક્ષીનો દાવો કરવાની નોટિસ કોંગ્રેસના નેતાઓને ફટકારી છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે સિવિલ નોટિસ ઈસ્યુ કરી છે અને કહ્યું છે કે જે 500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે મામલે કોંગ્રેસ 15 દિવસમાં પુરાવા રજૂ કરે અથવા 15 દિવસમાં લેખિતમાં માફી માંગે, આરોપ પરત ખેંચે નહીં તો તેઓ બદનક્ષીનો દાવો કરશે.

આ મુદ્દે આ અગાઉ નીતીન ભારદ્વાજ દ્વારા પોલીસ કમિશ્નરને બદનક્ષીની લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી હતી. રાજકોટ ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજે વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે.ચાવડા અને અંગત મદદનીશ સામે બદનક્ષીની લેખીત ફરિયાદ કરી હતી.

 


 

આ પણ વાંચોઃ ગાંધીનગર : ભાજપમાં જોડાયા બાદ દિનેશ શર્માનું નિવેદન “હું જે પક્ષમાં જોડાયો તેના સારથી નરેન્દ્ર મોદી છે”

આ પણ વાંચોઃ Vadodara : સાવલી તાલુકાના કોંગ્રેસ નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ, શોધખોળ શરૂ

Published On - 12:21 pm, Mon, 28 February 22

Next Video