રાજકોટઃ RMCનું રૂપિયા 2332.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ

|

Feb 02, 2022 | 1:19 PM

રાજકોટ મહાપાલિકાનું વર્ષ 2022-23નું રૂપિયા 2334.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ કમિશનર અમિત અરોરાએ સ્ટેન્ડીંગ ચેરમેન સમક્ષ રજૂ કર્યું છે, બજેટમાં સામાન્ય લોકો માટે નવા કોઈ કરવેરા લાગુ કરવામાં આવ્યા નથી, સ્કૂટર લોડિંગ રીક્ષા, મીની ટ્રક, ફોર વહીલર, લોડિંગ ટેમ્પો, ઓટો રીક્ષા માટે 2.5 ટકા આજીવન વાહન વેરો લાગુ કરવામાં આવ્યો છે

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) નું વર્ષ 2022-23નું રૂપિયા 2334.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ કમિશનર અમિત અરોરાએ સ્ટેન્ડીંગ કમિટી (standing committee)ના ચેરમેન સમક્ષ રજૂ કર્યું છે. બજેટમાં સામાન્ય લોકો માટે નવા કોઈ કરવેરા લાગુ કરવામાં આવ્યા નથી.

જેમાં સૌથી મહત્ત્વની જાહેરાત સ્કૂટર લોડિંગ રીક્ષા, મીની ટ્રક, ફોર વહીલર, લોડિંગ ટેમ્પો, ઓટો રીક્ષા માટે 2.5 ટકા આજીવન વાહન વેરો લાગુ કરવામાં આવ્યો છે. આ વાહનવેરામાં 3.99 લાખથી વધુ ના વાહનો માટે 2 ટકા લેખે વાહનવેરો લાવામાં આવશે જ્યારે 25 લાખથી વધુના વાહનો માટે 4 ટકા વાહનવેરો લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 50 લાખથી વધુના વાહનો માટે 5 ટકા લેખે વાહન વેરો પ્રસ્તાવિત કરાયો છે.

શહેરમાં વાતાવરણ શુધ્ધ બનાવવા અને નાના ભૂલકાંઓને આનંદ પ્રમોદનું સ્થળ મળી રહે તે માટે 10 નવા બાગ બગીચા બનવવામાં આવશે. જેમાં ઘંટેશ્વર, માધાપર, મુંજકા, મોટા મવા વિસ્તારમા નવા બગીચા બનાવાશે. શહેરની અંદર ઓક્સિજન પાર્ક તૈયાર કરાશે. જે અંતર્ગત રામવનનું લોકાર્પણ કરવામાં આવશે.

3 નવા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાશે જેમાં મુંજકા અને માધાપર ખાતે આરોગ્ય કેન્દ્ર બનાવાશે જ્યારે 3 કેન્દ્રનું આધુનિકરણ કરાશે આ ઉપરાંત કોઠારીયા વિસ્તારમાં 24 કલાક ધમધમતું હેલ્થ સેન્ટર બનશે.

20 નવી આંગણવાડી બિલ્ડીંગ તૈયાર કરાશે, 10 નવા સ્થળે પે એન્ડ યુઝ ટોયલેટ બનશે. વૉર્ડ નંબર 1 , 3 ,6 અને 17 માં કોમ્યુનિટી હોલનું નિર્માણ કરાશે જ્યારે વૉર્ડ નંબર 18માં ઇલેક્ટ્રિક સ્મશાન તૈયાર કરવામાં આવશે.

રીંગરોડ-2 પાસે લોજીસ્ટીક કોરિડોર તૈયાર કરવામાં આવશે. 40 કરોડના ખર્ચે આ કોરિડોરનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. શહેરને કચરામુક્ત કરવા માટે નવા વિસ્તારમાં 8 મીની ટીપર વહીકલ કુલ 21 વહીકલ કાર્યરત થશે.

પબ્લીક ટ્રાન્સપોર્ટ વધુ અસરકારક બનાવવા માટે અને શહેરને પ્રદુષણ મુક્ત કરવા માટે 50 નવી સીએનજી બસ ખરીદવામાં આવશે. આ ઉપરાંત 100 ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જ સ્ટેશન પણ તૈયાર કરવામાં આવશે. આ સ્ટેશનો 50 બસ માટે પ્રાથમિક રીતે કાર્યરત થશે. આ ઉપરાંત ઓટો રિક્ષાથી થતાં પ્રદુષણને ઘટાડવાના ઉદ્દશ સાથે ઇ.ઓટો પ્રોજેકટ પણ મુકવામાં આવ્યો છે.

શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પી. ડી. મલાવીયા ફાટક ઉપર નવા બ્રિજ ની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર રોડ ઉપર બ્રિજ બનાવવાની પણ દરખાસ્ત મૂકવામાં આવી છે.

આ પણ વાંચોઃ Rajkot: યુવકે આર્થિક ભીંસથી કંટાળીને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત, જો કે પરિવારજનોએ એક મહિલા પર આક્ષેપ લગાવ્યો

આ પણ વાંચોઃ Winter 2022: રાજ્યમાં ફરી એક વાર અનુભવાશે ઠંડીનો ચમકારો, અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

Next Video