Rajkot : 33 કરોડની છેતરપિંડી કેસમાં ત્યાગવલ્લભ સ્વામીના આગોતરા જામીન પર થઈ સુનાવણી, કોર્ટ આવતીકાલે સંભળાવશે ચુકાદો

Rajkot: સેશન્સ કોર્ટમાં ત્યાગ વલ્લભ સ્વામીના આગોતરા જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ. કોર્ટમાં બંને પક્ષો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી. સોખડા સ્વામીનારાયણ સંપ્રદાય સંચાલિત આત્મીય સંકુલમાં 33 કરોડની છેતરપિંડી કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને ડૉ સમીર વૈદ્યને પોલીસે નોટિસ આપતા કોર્ટમાં જામીન અરજી કરી હતી.

Rajkot : 33 કરોડની છેતરપિંડી કેસમાં ત્યાગવલ્લભ સ્વામીના આગોતરા જામીન પર થઈ સુનાવણી, કોર્ટ આવતીકાલે સંભળાવશે ચુકાદો
| Edited By: | Updated on: Jun 26, 2023 | 10:34 PM

Rajkot: રાજકોટની સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આત્મીય સંકુલમાં 33 કરોડની છેતરપિંડી કેસમાં પોલીસે સાધુ ત્યાગવલ્લભ સ્વામી અને ડૉ. સમીર વૈદ્યને નોટિસ ફટકારી છે. જેમા આગોતરા જામીન માટે ત્યાગવલ્લભ સ્વામીએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ જામીન અરજી પર રાજકોટની સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. આ દરમિયાન બંને પક્ષો દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી. જો કે કોર્ટે આ ચુકાદો આવતીકાલ પર મુલતવી રાખ્યો છે. ત્યાગવલ્લભ સ્વામીના આગોતરા જામીન મુદ્દે કોર્ટ આવતીકાલે ચુકાદો આપશે.

33 કરોડની ઉચાપત મામલે કોર્ટમાં બંને પક્ષોએ કરી ધારદાર દલીલો

તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ કેસમાં સરકારી વકીલ તરીકે એસ.કે. વોરાએ દલીલ કરી હતી કે પોલીસ દ્રારા આ કેસમાં તપાસ ચાલી રહી છે. આ કેસના આરોપીઓ હજુ ફરાર છે અને પોલીસ પાસે માત્ર ફરિયાદીએ આપેલા પુરાવાઓ જ છે. આ કેસમાં વધુ તપાસ માટે આરોપીઓની કસ્ટડીની જરૂરિયાત છે. જો કસ્ટડી દરમિયાન પોલીસ આરોપો સાબિત ન કરી શકે તો કોર્ટ આરોપીઓને જામીન આપી શકે છે. આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન અનેક તથ્યો સામે આવી શકે છે. વધુમાં દલીલ કરી હતી કે જેમના પર આરોપ છે તે સાધુ ત્યાગવલ્લભ છે. સાધુઓનું જીવન વૈરાગ્ય છે. જેથી તેના માટે જેલ અને મહેલ-તાજમહેલ બધુ સરખું હોય જેથી 24 કલાક પોલીસને સહયોગ આપવો જોઇએ.

સોખડાના વર્ચસ્વની લડાઇના કારણે ખોટા આક્ષેપો કર્યા છે-બચાવ પક્ષના વકીલ

આ અંગે બચાવ પક્ષના વકીલ સુઘીર નાણાવટીએ દલીલ કરતા કહ્યું હતું કે ત્યાગવલ્લભ સ્વામી સામે કરાયેલા આક્ષેપો પાયાવિહોણા છે. સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે જૂથ વચ્ચેની લડાઇના કારણે આ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ આક્ષેપોને લઇને ઇન્કમટેક્સ વિભાગ અને ચેરિટી કમિશનર સમક્ષ દસ્તાવેજો રજૂ કરાયા છે. આ અંગે સ્વામી ત્યાગવલ્લભ સીધી રીતે કોઇ સંડોવણી નથી. જે નાણાંકીય વ્યવહાર કરવામાં આવ્યા છે તે અંગે તમામ ટ્રસ્ટીઓની સહમતી હોવાનો દાવો કર્યો હતો. જેથી આ કિસ્સામાં ત્યાગવલ્લભસ્વામી અને ડૉ.સમીર વૈદ્યને આગોતરા જામીન આપવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : Rajkot : સિવિલ હોસ્પિટલમાં અસુવિધા અંગે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ, કોન્ટ્રાક્ટર પાસેથી 40 ટકા કમિશન લેતા હોવાનો લગાવ્યો આરોપ

આવતીકાલે કોર્ટ સંભળાવશે ચુકાદો

સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ સહિત પ્રબૌધ જુથના વકીલ દ્રારા પણ આ કેસમાં દલીલ કરવામાં આવી હતી. પોલીસ દ્રારા પણ આ કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને ડૉ.સમીર વૈદ્યને જામીન ન આપવાની માંગ કરતું સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગે કોર્ટ આવતીકાલે પોતાનો ચુકાદો સંભળાવશે. હાઇપ્રોફાઇલ કેસમાં કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો