
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં બ્રાન્ડેડ મસાલાના નામે ભેળસેળયુક્ત મસાલા બનાવતી અને વેચતી ફેક્ટરીઓ પર દરોડા પાડી રૂ. 41.91 લાખની કિંમતનો શંકાસ્પદ મસાલાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કૌભાંડ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી આર્થિક લાભ મેળવવાના ઇરાદાથી ચલાવવામાં આવી રહ્યું હતું.
ગોંડલના ગુંદાળા ગામની સીમમાં આવેલી મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ અને જેપી મસાલા નામની બે ફેક્ટરીઓમાં આ ગોરખધંધો ધમધમતો હોવાની બાતમી SOGને મળી હતી. બાતમીના આધારે SOGની ટીમે ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને આ ગોડાઉનો પર ત્રાટકી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે મસાલાની અંદર મોટા પાયે ભેળસેળ કરતા હતા, જેથી ઓછા જથ્થામાંથી વધુ જથ્થો બનાવી શકાય.
ભેળસેળની પદ્ધતિઓમાં ધાણાજીરુંમાં ભૂસું ઉમેરવામાં આવતું હતું, જ્યારે મરચું અને હળદરમાં સસ્તા ભાવનો મકાઈનો લોટ અને પામોલીન તેલનું મિશ્રણ ઉમેરીને તેમાં આકર્ષક દેખાડવા માટે કૃત્રિમ કેમિકલ કલર ભેળવવામાં આવતો હતો. આ નકલી અને ઝેરી મસાલાને બજારમાં અસલી અને બ્રાન્ડેડ મસાલા તરીકે ઊંચા ભાવે વેચીને નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા હતા.
SOG અને ફૂડ વિભાગની સંયુક્ત રેડ દરમિયાન, પોલીસે ફેક્ટરીમાંથી મળેલો તમામ શંકાસ્પદ જથ્થો કબજે કરી લીધો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા ફેક્ટરી માલિક મિતુલભાઈ ઉર્ફે મનીષ ગિરધરભાઈ બાલધાની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળયુક્ત મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલના રિપોર્ટ બાદ ભેળસેળની હકીકત વધુ સ્પષ્ટ થશે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં એ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે આ નકલી મસાલાનો સપ્લાય ક્યાં ક્યાં કરવામાં આવતો હતો, આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું. આ પ્રકારના કૌભાંડો લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોય છે અને આવા ગેરકાયદેસર ધંધા ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે.
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video