અખિલ ભારતીય કોળી સમાજમાં પ્રમુખ પદને લઇને વિવાદ ચાલી રહ્યો છે. કામરેજ ખાતે મળેલી કોળી સમાજની બેઠકમાં કુંવરજી બાવળિયાને (Kunwarji Bawaliya) પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કર્યા બાદ પ્રથમ વખત કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. કુંવરજી બાવળિયા દ્વારા આ વિવાદ મામલે ગત રાત્રીએ સમાધાન થઇ ગયું હોવાનો અને સામાજિક વિવાદ હવે પૂરો થઇ ગયો હોવાનો દાવો કરાયો છે. જો કે આ મામલે અજીત પટેલે આ મામલે કોઇ જ સમાધાન ન થયું હોવાનો દાવો કર્યો છે.
જસદણ વિછીંયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે જે વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત આવી ગયો છે. મારી અને અજીતભાઇ વચ્ચે જે ગેરસમજ હતી તે હવે દૂર થઇ ગઇ છે. આગામી દિવસોમાં જ્યારે કોર્ટ મુદ્દત આવશે ત્યારે આ કેસ અજીત પટેલ દ્રારા પરત ખેંચી લેવામાં આવશે અને ત્યારબાદ સમાજ જે નક્કી કરશે તે પ્રમાણે ઇલેકશન અથવા તો સિલેકશન થશે.
આ અંગે કુંવરજી બાવળિયાનો વિરોધ કરનાર અજીત પટેલે કહ્યું હતું કે અમારે કોઇ જ પ્રકારનું સમાધાન થયું નથી.કેસ પરત ખેંચવાની કોઇ જ વાત મૂકાય નથી. કુંવરજી બાવળિયા જે કહી રહ્યા છે તે તદ્દન ખોટું છે. આ મામલે બાવળિયાએ કહ્યું હતું કે અજીતભાઇ જે કહી રહ્યા હોય તે પરંતુ અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાની મધ્યસ્થીથી આ સમાધાન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કેસ પરત ખેંચીને એક મહિનામાં સાથે મળીને સિલેકશન અથવા તો ઇલેકશન કરવામાં આવશે.