રાજકોટ(Rajkot)મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ શહેરની અલગ અલગ આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ(Land Grabing Act)અંતર્ગત કાર્યવાહી કરવાની સૂચના આપી છે.આજે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ વિવિધ આવાસ યોજનાઓની મુલાકાત લીધી હતી અને આવાસ યોજના અંગે રિવ્યુ બેઠક કરી હતી .
લોકો સામે કડક કાર્યવાહી કરવા કમિશ્નરનો આદેશ
જેમાં કેટલીક વાતો ધ્યાને આવી હતી કે આવાસ યોજનામાં જે આસામીઓએ આવાસ ખરીઘા નથી તેવા બંધ પડેલા આવાસમાં તાળુ તોડીને કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવેશ કરે છે જેથી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા હેતુથી આવા ગેરકાયદેસર પ્રવેશ કરતા લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની સૂચના આપી છે..
શહેરમાં કુલ 660 જેટલા આવાસ ખાલી
અમિત અરોરાએ આજે કાલાવડ રોડ પર આવેલી વામ્બે આવાસ યોજના,સાઘુ વાસવાણી રોડ પર આવેલી રાજીવ આવાસ યોજના,મોરબી રોડ પર આવેલી ક્રાંતિકારી ચંદ્રશેખર આવાસ યોજના અને કુવાડવા રોડ પર આવેલી આવાસ યોજનાની મુલાકાત લીઘી હતી.મ્યુનિસિપલ કમિશનરની મુલાકાતમાં ધ્યાને આવ્યું હતુ કે અલગ અલગ આવાસ યોજનામાં અંદાજિત 660 જેટલા આવાસ ખાલી છે.
આવા આવાસોમાં મ્યુનિસિપલ કમિશનરે યોગ્ય સાફ સફાઇ રાખવા અને તેમાં કોઇ ગેરકાયદેસર વ્યક્તિ ન પ્રવેશે અને જો પ્રવેશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
કોરોનાકાળ બાદ આવાસ યોજનામાં નિરુત્સાહ
કોરોનાકાળની સૌથી વધારે માઠી અસર આવાસ યોજના પર પડી છે.શહેરમાં આવાસ યોજનાના ફોર્મ બહાર પાડવામાં આવ્યા તો લોકોએ તેમાં નિરુત્સાહ દેખાડ્યો હતો.તો કેટલાક કિસ્સાઓમાં એવું જાણવા મળ્યું છે કે આવાસના હપ્તાઓ ન ભરી શકવાને કારણે આવાસનો કબ્જો લેવામાં આવી રહ્યો નથી જેના કારણે આવા આવાસોની ફાળવણી થઇ હોવા છતા બંધ પડેલા છે.
મ્યુનિસિપલ કમિશનરની આવાસ અંગેની મુલાકાત અને રિવ્યુ બેઠકમાં ડેપ્યુટી કમિશનર એ.આર.સિંઘ,આવાસ યોજનના ઇન્ચાર્જ ઇજનેર એસ.બી.છૈયા,પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર,મ્યુનિસિપલ કમિશનર પીએ રસિક રૈયાણી,ડેપ્યુટી ઇજનેર પી.ટી,પટેલ આસી.મેનેજર કૌશિક ઉનાવા તથા નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવેર ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : કોરોના જ્ઞાનશાળા: શું ભારતમાં કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે?
આ પણ વાંચો : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, દેશભરમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતમાં
Published On - 5:29 pm, Mon, 6 September 21