રાજકોટમાં મહાનગરપાલિકા (RMC) ના મેયરના પતિ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો હવે વધુ ગરમાયો છે. મેયરના પ્લોટને લઈને થયેલા નવા ખુલાસા મુજબ, જે જમીનને અત્યાર સુધી વારસાઈ ગણાવવામાં આવતી હતી, તે હકીકતમાં વર્ષો પહેલાથી જ ‘શ્રીસરકાર’ (સરકારી હસ્તક) થઈ ચૂકી છે.
આ વિવાદમાં ચોંકાવનારી વિગત એ છે કે, નંદુબાગ સોસાયટી વર્ષ 1997 થી જ ખાલસા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને વર્ષ 2013 માં આ વિસ્તારના તમામ બાંધકામોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા. વધુમાં, મેયરના પતિ આ મામલે કોર્ટમાં પણ બે વખત કેસ હારી ચૂક્યા હોવાની વિગતો બહાર આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.
ટૂંકમાં, મહાનગરપાલિકાના મેયરના પતિ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનો વિવાદ વકરતા હવે ભાજપ સંગઠન હરકતમાં આવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ મામલે મેયરના પતિ પાસે ખુલાસો માંગ્યો છે. બીજીબાજુ મેયરના પતિ તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ તેમની પૈતૃક જગ્યા હોવાથી તેઓ માત્ર રિનોવેશન કરી રહ્યા છે.
આ અંગે માધવ દવેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ત્યાં તેમના ભત્રીજાનું ગેરેજ હતું પરંતુ નિયમ મુજબ સૂચિત જગ્યાએ કોઈ પણ પ્રકારનું નવું બાંધકામ કરી શકાય નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે, નિયમ બધા માટે સરખો હોય છે અને આ મામલે તંત્ર દ્વારા સંબંધિત પક્ષને નોટિસ પણ પાઠવવામાં આવી છે.