Panchmahal: અનોખા લગ્ન: યુવકે શરીરે ભસ્મ ચોળી, વ્યાઘ ચર્મ પહેરીને શિવસ્વરૂપે કર્યાં લગ્ન, જુઓ Video

કાછીયા સમાજનો યુવક રિષભ પટેલ શિવ ભક્ત છે અને તેણે નક્કી કર્યું હતું કે તે શિવરાત્રીના દિવસે જ લગ્ન કરશે. સામાન્ય રીતે શિવરાત્રીના દિવસે કોઈ યુગલ લગ્નગ્રંથિથી જોડાતું નથી, પરંતુ રીષભ શિવભક્ત હોવાને કારણે તેણે શિવરાત્રીના દિવસે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

Panchmahal:  અનોખા લગ્ન: યુવકે શરીરે ભસ્મ ચોળી, વ્યાઘ ચર્મ પહેરીને શિવસ્વરૂપે કર્યાં લગ્ન, જુઓ Video
| Edited By: | Updated on: Feb 19, 2023 | 12:25 PM

પંચમહાલ જિલ્લાના ગોધરામાં મહા શિવરાત્રીના દિવસે અનોખો વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સામાન્ય રીતે કોઈ પણ વરઘોડો જતો હોય તો લોકો તે જોવા ઉભા રહી જતા હોય છે, પરંતુ ગોધરામાં નીકળેલો વરઘોડો કંઇક અલગ કારણસર જ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેમ ભગવાન શિવજીની જાનમાં સાધુ સંતો જોડાયા હતા તે જ રીતે એક યુવાન ભગવાન શિવનું સ્વરૂપ ધારણ કરીને પરણવા નીકળ્યો હતો અને યુવાનની જાનમાં પણ સાધુ સંતો અને બાવાએ શિવ ધુન ગાતા ગાતા જોડાયા હતા.

રીષભની જાનમાં સાધુ બાવાઓ પણ થયા સામેલ

ગોધરામાં રહેતો કાછીયા સમાજનો યુવક રિષભ પટેલ શિવ ભક્ત છે અને તેણે નક્કી કર્યું હતું કે તે શિવરાત્રીના દિવસે જ લગ્ન કરશે. સામાન્ય રીતે શિવરાત્રીના દિવસે કોઈ યુગલ લગ્નગ્રંથિથી જોડાતું નથી, પરંતુ રીષભ શિવભક્ત હોવાને કારણે તેણે શિવરાત્રીના દિવસે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેના આ નિર્ણયમાં તેની વાગ્દત્તાએ પણ સાથે આપ્યો હતો. રીષભે  મહા શિવરાત્રીએ લગ્ન  કરવાનું નક્કી કરતા પરિવારે પણ તે જ રીતે તૈયારીઓ શરૂ કરી હતી અને વાજતે ગાજતે રીષભ શરીરે ભસ્મ ચોળી , રૂદ્રાક્ષની માળા પહેરીને તેમજ  વ્યાઘ ચર્મ ધારણ કરીને  વરરાજા બન્યો હતો.

શિવજીની વેશભૂષામાં આવ્યા વરરાજા

 

વળી રિષભ પટેલની જાનમાં જાનૈયાઓ પણ  અનોખા હતા. રાત્રે નીકળેલા વરઘોડામાં  ઘરના સ્વજનો તો હતા જ, પરંતુ જટાધારી સાધુ બાવા અને સંતો પણ શિવ ધુન  ગાતા ગાતા આ  વરઘોડામાં જોડાયા  હતા. આ વરઘોડાનો માહોલ એવો લાગતો હતો કે જાણે શંકર ભગવાન જાણે માતા પાર્વતીને પરણવા નીકળ્યા હોય.

યુવકની વાગ્દતાએ પણ કર્યું તેના નિર્ણયનું સમર્થન

વિથ ઇનપુટ ક્રેડિટઃ નીકુંજ પટેલ, ગોધરા