સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ હિંદુ ધર્મના સૌથી મોટા તહેવારને લઈને કર્યો બકવાસ, નવરાત્રીને ગણાવી લવરાત્રી- Video

|

Oct 05, 2024 | 3:41 PM

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ હિંદુ ધર્મના સૌથી મોટા તહેવારને લઈને બફાટ કર્યો છે. નવરાત્રી વિશે અનુભવ સ્વામીએ તેની મલિન માનસિક્તા છતી કરી ઝેર ઓકવાનું કામ કર્યુ છે. આ પહેલીવાર નથી અવારનવાર સનાતન ધર્મના તહેવારો, હિંદુ દેવી દેવતાઓ વિશે આ પ્રકારે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો બકવાસ કરી વિવાદ છેડી ચુક્યા છે.

ફરી સ્વામાનારાયણના એક સ્વામીએ હિંદુ ધર્મના તહેવારને લઈને વાણીવિલાસ કર્યો છે. નવરાત્રી એટલે  શક્તિ, ભક્તિ, જપ, તપ અને માની ઉપાસનાનો પર્વ. પરંતુ સ્વામીનારાયણ સંપ્રદાયના બની બેસેલા કથિત સંતને નવરાત્રી લવરાત્રી લાગે છે. તેઓ કહે છે કે નવરાત્રીએ ફેશનરાત્રી છે. નવ દિવસનો નાઈટ ફેશન શો છે. આ કથિત સંત અહીં જ નથી અટક્તા… આગળ કહે છે કે નવરાત્રી એટલે વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા. કોઈને ટાંકીને આ અનુપમ સ્વામીએ છૂટાછેડાનું કારણ પણ નવરાત્રીને ગણાવી. અહીં સવાલ આ સ્વામી(?)ની માનસિક્તા પર ઉઠે છે અને એમને દિક્ષા આપનારા સ્વામી પર પણ ઉઠે છે. માતાની ઉપાસનાના, હિંદુ ધર્મના સૌથી મોટા પર્વ વિશે જેના આવા મલિન વિચારો હોય તેને સંતની દિક્ષા કોણે આપી તે પણ મોટો સવાલ છે.

આ કથિત સંતને પાછા પોતાના બોલેલા શબ્દો પર પણ કોઈ જ અફસોસ નથી. તેમણે છૂટાછેડાનું કારણ પણ નવરાત્રીને ગણાવ્યુ, એટલુ જ નહીં ભલી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને એ પણ લીગલ નોટિસ સાથે એ પણ જણાવ્યુ.

કથિત સંત અનુપમ સ્વામીએ કર્યો આ વાણી વિલાસ

“જે નવરાત્રીમાં નવ-નવ દિવસ સુધી મા આદ્યશક્તિ અંબાની પૂજા અને ઉપાસના થતી હોય, એજ નવરાત્રીમાં આપણા સમાજની મા બહેન કે દીકરીઓને રાવણની નજરથી જોવાય? આ તે વળી કેવી લાચારી? જે નવરાત્રીમાં પહેલા સ્ત્રી માત્રને દેવી સ્વરૂપે જોવામાં આવતી, નારી તુ નારાયણી તરીકે જોવામાં આવતી, શક્તિસ્વરૂપા તરીકે જોવામાં આવતી હતી એ જ સ્ત્રીને આજકાલના નવરાત્રી પ્રોગ્રામમાં એક મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઉંચા લઈ જવાનું એક માઘ્યમ ગણી અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતુ મુકવામાં આવે તેમ ગરબે રમાડવામાં આવે છે. આ તે કેવી લાચારી”

આ છે નવરાત્રીના 9 રંગ, 9 દિવસ આ રંગની સાડી પહેરી માતાજીને કરો પ્રસન્ન
અરે વાહ ! સસ્તામાં થશે તાંબાના વાસણો સાફ, ચમક એકદમ નવા જેવી લાગશે
પાકિસ્તાનની સૌથી લાંબી નદી કઈ છે? ભારત સાથે છે ખાસ કનેક્શન
હેલિકોપ્ટરને હિંદીમાં શું કહે છે, આજે જાણી લો અસલી નામ
આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત

કથિત સ્વામી અહીં જ નથી અટક્તા તેઓ કહે છે કે સાચુ કહુ તો આમા આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે કારણ કે પહેલાના સમયની નવરાત્રીમાં બહેન દીકરીઓના મુખ ઉપર લજ્જા, શરમ અને નીચી નજર રૂપી પડદાઓ હતા. પહેરવેશ પણ જાણે સાક્ષાત જગદંબા, જોગણી, મા ઉમિયા કે ખોડલ જેવો. પરંતુ હાલના સમયમાં લજ્જા, શરમ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્તને ફક્ત અંગ પ્રદર્શન જ રહ્યા. કોઈપણ જગ્યાએ ગરબાનું આયોજન કરનારી વ્યવસ્થાપક સમિતિએ એ નિયંત્રણ રાખવુ જોઈએ કે ટૂંકા વસ્ત્રો કે અશોભનિય વસ્ત્રો પહેરીને કોઈ અંદર આવવુ ન જોઈએ. સાચા ગરબા તો માત્ર 12 સુધી જ ગવાતા હોય છે, એ પછી તો મનોરંજન જ થતુ હોય છે.

સનાતન ધર્મના સંત જ્યોર્તિનાથ બાપુએ જણાવ્યુ કે સ્વામીનારાયણના ધર્મના કહેવાતા સંતો દ્વારા વિકૃતિ વરેલી દૃષ્ટિથી સનાતન ધર્મના ભગવાનને અને તહેવારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતોને તોડવાનું ષડયંત્ર છે. જ્યોર્તિનાથ બાપુએ જણાવ્યુ કે સનાતન ધર્મ રક્ષણ સમિતિ આવા લોકો સામે કાર્યવાહી કરી જ રહી છે અને અને થોડા સમયમાં તેમના પરિણામો પણ જોવા મળશે.

જો કે આ પ્રથમવાર નથી, આ અગાઉ પણ સનાતન ધર્મના દેવાધિદેવ ભગવાન શિવ વિશે, હનુમાનજી વિશે પણ તેઓ બફાટ કરી ચુક્યા છે. આ તમામ નિવેદનો મામલે તેમની સામે કાર્યવાહીની સનાતન હિંદુ રક્ષણ સમિતિએ તૈયારી કરી લીધી છે. ત્યારે જોવુ રહ્યુ કે હવે અનુપમ સ્વામીના નવરાત્રીના તહેવારને લઈને કરેલા વાણી વિલાસ પર શું કાર્યવાહી થાય છે.

Input Credit- Mohit Bhatt, Harin Matravadia, Apurv Patel

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:40 pm, Sat, 5 October 24

Next Article