Breaking News : સાગબારામાં જંગલની જમીનના ખેડાણ મુદ્દે ખેડૂતોનો વિરોધ યથાવત, વન વિભાગ પર પ્રહારો

નર્મદાના સાગબારામાં જંગલની જમીનના ખેડાણના અધિકાર માટે આદિવાસી ખેડૂતોના ધરણા સતત સાતમા દિવસે પણ ચાલુ છે. સમસ્યાનું નિરાકરણ ન આવતા, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સહિત વિવિધ રાજકીય પક્ષોએ ખેડૂતોને સમર્થન આપ્યું છે.

Breaking News : સાગબારામાં જંગલની જમીનના ખેડાણ મુદ્દે ખેડૂતોનો વિરોધ યથાવત, વન વિભાગ પર પ્રહારો
| Updated on: Aug 14, 2026 | 4:33 PM

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલની જમીનના ખેડાણના અધિકારને લઈને આદિવાસી ખેડૂતો દ્વારા શરૂ કરાયેલું ધરણા પ્રદર્શન સતત સાતમા દિવસે પણ ચાલુ રહ્યું છે. આદિવાસી ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વન વિભાગ અને તેમની જમીનના હક્કોને લઈને સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ હાલ સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમના Forest Land Rights અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.

આંદોલનના સાતમા દિવસે પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા, હવે આ મુદ્દાને રાજકીય સમર્થન પણ મળવા લાગ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ આદિવાસી ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતર્યા છે. ભાજપના આગેવાન લીલા વસાવાએ છેલ્લા સાત દિવસથી અન્નનો ત્યાગ કરીને ખેડૂતોના સમર્થનમાં ઉપવાસ પર બેઠા છે. બીજી તરફ, પ્રદેશ કોંગ્રેસની એક ટીમ પણ આદિવાસી ખેડૂતોને સમર્થન આપવા સાગબારા પહોંચી હતી. આ ટીમમાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા સહિતના અગ્રણી કોંગ્રેસ નેતાઓ સ્થળ પર હાજર રહીને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને તેમને ટેકો જાહેર કર્યો હતો.

ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓને પહેલા વન વિભાગ તરફથી જ અવરોધોનો સામનો કરવો પડતો હતો અને વન ખાતાના કર્મચારીઓ સાથે ઘર્ષણ થતું હતું, ખેડૂતો સાથે નહીં. પરંતુ છેલ્લા આઠ દિવસથી ઉમરપાડાના ખેડૂતો પણ તેમના વિરોધમાં ઉતર્યા છે, જેનાથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે. સાગબારાના ખેડૂતોએ વન વિભાગ અને ઉમરપાડાના ખેડૂતો પર આ મામલે પ્રહારો કર્યા હતા.

ખેડૂતોનું કહેવું છે કે, જ્યારે તેમણે જમીન ખેડવાનું શરૂ કર્યું, ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, એસઆરપી અને પોલીસ બંદોબસ્ત સાથે આવીને તેમના પર દબાણ કરવા લાગ્યા હતા. આ દબાણના પગલે અને ન્યાય ન મળવાની લાગણી સાથે, તેમણે ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો હતો.

મહત્વનું છે કે, વન વિભાગ અને ખેડૂતો વચ્ચેનો આ ઘર્ષણ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આદિવાસી સમાજ પોતાની જંગલની જમીનના અધિકારો માટે અડગ છે. આ પ્રદર્શન હવે માત્ર સ્થાનિક મુદ્દો ન રહેતા, તેમાં રાજકીય પરિમાણો પણ ઉમેરાયા છે, જેના કારણે સરકાર પર ઝડપી નિરાકરણ લાવવાનું દબાણ વધી રહ્યું છે. ખેડૂતોની માંગણીઓ ક્યારે સ્વીકારવામાં આવશે અને આ Forest Land Rightsનો વિવાદ ક્યારે ઉકેલાશે તે જોવું રહ્યું.

કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 258 સિલિન્ડર સાથે 6ની અટકાયત

Follow Us
Loading...
Unable to load recommendations.