
Narmada : નર્મદા જિલ્લાના સેલંબા ખાતે ગઈકાલે શૌર્ય જાગરણ યાત્રા પર થયેલા પથ્થરમારાની (Stone pelting) ઘટનામાં પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યાત્રા પર થયેલો પથ્થરમારો પૂર્વ આયોજિત હતો. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યુ છે કે પહેલાથી જ જામાદાર ફળિયામાં પથ્થર એકઠા કરી રાખ્યા હતા અને યાત્રા આવે ત્યારે પથ્થરમારો કરવાનું નક્કી કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે યાત્રા આવતાની સાથે જ યાત્રાને રોકવામાં આવી હતી અને ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં ત્રણ અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક એફઆઈઆરમાં યાત્રા પર પૂર્વ આયોજિત કરવામાં આવેલા પથ્થરમારામાં 15 લોકો પર યાત્રા અટકાવીને પથ્થરમારો કરવાનો ગુનો નોંધવામાં આવ્યો.
બીજી એફઆઈઆરમાં પથ્થરમારા બાદ આગચંપી અને તોડફોડના ગુનામાં એક જૂથના 26 અને અન્ય જૂથના 4 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો. ત્રીજી એફઆઈઆરમાં એક જૂથના 4 આરોપીઓ પર એક સ્ટેશનરીની દુકાનમાં આગ લગાડવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ ગુનાઓના આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગઇકાલે નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. કેટલાક વિધર્મી લોકોએ યાત્રા પર પથ્થરમારો કરી શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરાયો હતો. આ ઘટના બાદ મામલો ખૂબ જ ઉગ્ર બન્યો હતો. સાથે જ સેલંબામાં આગચંપીના પણ બનાવો બન્યા હતા. કુઈદા ગામથી સેલંબા સુધી બજરંગ દળ સુધી શૌર્ય જાગરણ યાત્રા નીકળી હતી, જેમાં આ ઘટના બની હતી.
ઘટનાની જાણ થતા જ જિલ્લા DySP, LCB અને SOGની ટીમ સેલંબા પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવા પ્રયાસો કર્યા હતા. જો કે મામલો વધુ તંગ બનતા પોલીસે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જે પછી હાલ સમગ્ર મામલો શાંત પડ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સ્થળ પર પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:07 am, Sat, 30 September 23