NARMADA : આજે વિશ્વ આદિવાસી દિવસ અને વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મુખ્ય અતિથી સ્થાને નર્મદા જિલ્લાના વડુંમથક રાજપીપળા ખાતે રાજ્યના 53 તાલુકામાં આદિજાતિ સર્વાંગી વિકાસ દિવસની ઉજવણી કરવાનો રાજ્યસ્તરનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
આજે રાજ્ય સરકાર વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-2માં આદિવાસી પરિવારો માટે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરશે તેમજ 9 લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકનું નિર્માણ કરવામાં આવશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આઝાદીના સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓના અમૂલ્ય યોગદાન તેમજ ભગવાન બિરસા મુંડાનું સ્મરણ કર્યું હતું. તેમણે કહ્યું કે ભગવાન બિરસા મુંડાના નામે રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના કરી છે.
તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યપ્રધાન તેમજ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ વિસ્તારના સર્વાંગી કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 90 હજાર કરોડના કામો કર્યા અને આપણી સરકારે છેલ્લા 5 વર્ષમાં 60,000 ના કામો કર્યા છે અને હવે વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-2 સાથે 1600 કરોડના વિવિધ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવશે.
Published On - 11:28 am, Mon, 9 August 21