રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ શરૂ કરી દીધી છે. પરંતુ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં શાળાઓ શરૂ થતાની સાથે જ મુશ્કેલીઓ પણ શરૂ થઈ ગઈ છે. સૌથી મોટી સમસ્યા ભોજનની છે. બાળકોના માતા-પિતા વહેલી સવારે મજૂરીએ જતા રહેતા હોય છે. જેના કારણે બાળકોને દિવસભર ભૂખ્યા રહેવું પડે છે.
નર્મદાના અંતરિયાળ એવા સાગબારા, ડેડીયાપડા, તિલકવાડા, ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે પ્રાથમિક શાળામાં ભણવા તો આવી રહ્યા છે. પણ ભૂખના લાગવાના કારણે તેઓ રડી પડે છે. બાળકોને શાંત કરવા શિક્ષકો સ્વખર્ચે બિસ્કિટ લાવીને બાળકોને ખવડાવે છે અને શાંત કરે છે. બાળકોને ભૂખ્યા ન રહેવું પડે તે માટે સરકારની મધ્યાહન ભોજન યોજના પણ હાલ બંધ છે. ગ્રામજનો અને વાલીઓની માંગ છે કે સરકાર તરફથી મધ્યાહન ભોજનની સેવા તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી બાળકોને કોઈ મુશ્કેલી ન પડે.
મોટાભાગના જિલ્લામાંથી આવી ફરિયાદો આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણપ્રધાનને લેખિત રજૂઆત કરી છે. મધ્યાહન ભોજન શરૂ કરવા પત્ર લખીને માગ કરવામાં આવી છે. જિલ્લાના પુરવઠા આધિકારીનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી આદેશ કરાશે ત્યારે મધ્યાહન ભોજન ફરીથી શરૂ કરવામાં આવશે.
Published On - 3:20 pm, Wed, 1 December 21