હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર (Gujarat Monsoon 2022) થવાની આગાહી કરી છે પરંતુ મોરબી જિલ્લામાં હજી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. જિલ્લામાં હાલ સારા વરસાદની ખેડૂતો અને સ્થાનિક લોકો મીટ માંડીને બેઠા છે ત્યારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરણાથી તેમના વતન એવા ચમનપર ગામમાં મેઘરાજાને રિઝવવા માટે મેઘલાડુનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા ગામડાંઓમાં આજે પણ મેઘરાજાને રીઝવવા તેમજ વરસાદનો વરતારો જોવા વિવિધ પરંપરા પ્રચલિત છે. જેના પરથી ગામના વડિલો આવનારૂ વર્ષ કેવું રહેશે તેનુ અનુમાન લગાવે છે.
વરસાદની સિઝન શરૂ થાય ત્યારે ઘણા બધા ગામોમાં આ પ્રકારે મેઘરાજાને રીઝવવા માટે મેઘલાડુનું આયોજન કરવામાં આવતું હોય છે. આવા આયોજનો પાછળ સ્થાનિક લોકોનો એ આશય હોય છે કે મેઘરાજા તેમના પર રિજે અને ખૂબ સારો વરસાદ થાય એટલે સારી ખેતી કરી શકાય. આ હેતુથી માળીયા તાલુકાના ચમનપર ગામમાં ગામ લોકોએ એકઠા થઇ મેઘલાડુનું આયોજન કરી સૌ એ સાથે મળી મેઘલાડુનો પ્રસાદ લીધો હતો. હવે ગામ લોકો મેહુલિયો સર્વત્ર મન મુકીને વરસે તેની રાહ જોઈ રહ્યા છે.
જામનગર નજીક આવેલા આમરા ગામે કોઈપણ જાતના આયોજન કે જાહેરાત વગર અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ રીતે ગામ લોકો એકઠા થઈ જાય છે. ચોમાસાને લઈ હવામાન ખાતું જે કંઈ પણ આગાહીઓ કરતું હોય પરંતુ, આમરા ગામના ખેડૂતો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમાવરે થતી આગાહી જ મહત્વની હોય છે. રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની પ્રથા આમરા ગામમાં છેલ્લા 400 કરતાં વધુ વર્ષથી ચાલી આવે છે.
આ પ્રથા મુજબ ગામ લોકો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં એકઠા થાય છે. ત્યારબાદ રોટલા તૈયાર કરી ગામ લોકો વાજતેગાજતે ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરે પહોંચે છે. જયાં જે વ્યકિત રોટલાને કુવામાં પધરાવે છે તે વ્યકિતને સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ રોટલાને ઉપરથી કુવામાં પધરાવવામાં આવે છે. રોટલા કુવામાં પધરાવ્યા બાદ ગામના વડીલો રોટલા કઈ દિશામાં જાય છે તેના પર નજર રાખે છે. ગામના વડીલોનું માનીએ તો જો રોટલા પૂર્વ કે ઈશાન બાજુ જાય તો વર્ષ સારૂ રહે છે અને આથમણી દિશામાં જાય તો વર્ષ થોડું નબળું પડે છે. રોટલાના વરતારો વિશે જાણવા મોટી સંખ્યામાં એકઠા થાય છે.