લો બોલો! મોરબીમાં દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ધમધમતુ હતુ અને તંત્રને જાણ સુદ્ધા ન હતી, મીડિયાએ ભાંડો ફોડતા તંત્રએ પાંચ લોકો સામે નોંધી ફરિયાદ- વીડિયો

મોરબીના વાંકાનેરમાં વઘાસિયા નક્લી ટોલનાકામાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્ર જાગ્યુ છે અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. સરકારે તપાસ માટે પાંચ અધિકારીઓની ટીમ બનાવી છે.

| Edited By: | Updated on: Dec 04, 2023 | 8:35 PM

મોરબીના વાંકાનેરમાં વઘાસિયામાં નક્લી ટોલનાકા મુદ્દે આખરે પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર વ્હાઈટ હાઉસ સીરામીક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પાંચેય શખ્સો વાંકાનેરમાં છેલ્લા દોઢ વર્ષથી બોગસ ટોલનાકુ ચલાવી રહ્યા હતા અને વાહનચાલકો પાસેથી ઉઘરાણા વસુલતા હતા. આ મામલે મીડિયામાં અહેવાલ પ્રકાશીત થયા બાદ પોલીસ હરકતમાં આવી છે અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. જો કે સૌથી મોટો સવાલ એ પણ છે કે દોઢ વર્ષથી ચાલતા આ ટોલનાકા બાબતે શું પોલીસને જાણકારી જ ન હતી?

બોગસ ટોલનાકા વિશે પોલીસને જાણ જ ન હતી, બોલો !

મીડિયામાં ભાંડો ફુટ્યા બાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. જેમા SDMની એક ટીમ, DYSP અને સ્થાનિક પોલીસની ટીમ સમગ્ર મામલે તપાસ કરશે. જ્યારે ટોલનાકા પર રકમ વસૂલતા કૌભાંડીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

વઘાસિયા ટોલનાકા પાસે બે ટોલનાકા બનાવી દેવાયા, જેનાથી તંત્ર અજાણ હતુ

નક્લી ટોલનાકુ ચલાવનારા આ શખ્સોની ખુરાફાત તો જુઓ. વઘાસિયા ટોલપ્લાઝા પાસે બે નક્લી ટોલનાકા બનાવી દેવાયા અને જ્યા અસલી ટોલપ્લાઝા કરતા 50 ટકા કરતા ઓછી રકમ વસુલવામાં આવતી હતી. જેથી વાહનચાલકો રૂપિયા બચાવવા માટે નકલી ટોલનાકાનો સહારો લેતા હતા. બોગસ ટોલનાકા પર ફોરવ્હીલના 50, મેટાડોરના 100 અને ટ્રકના 200 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જ્યારે મુખ્ય રોડને જોડતા બીજા ટોલનાકા પર 20 રૂપિયા અલગથી વસૂલવામાં આવતા હતા.

સરકારી તંત્રની બેદરકારીની હદ ગણો કે આંખ આડા કાન છેલ્લા છેલ્લા દોઢ વર્ષથી નક્લી ટોલનાકુ ધમધમતુ હતુ અને સરકારી તંત્રને જાણ સુદ્ધા ન હતી. આ વાત ગળે ઉતરે તેવી તો લાગતી નથી. જ્યારે આ અંગે tv9 સંવાદદાતાએ મામલતદારને સવાલ કર્યો તો તેમણે ફક્ત કલેક્ટરને રિપોર્ટ કરવાનો જવાબ આપ્યો. બીજા તમામ સવાલોના જવાબ આપવાનું તેમણે ટાળ્યું

આ પણ વાંચો: બનાવટી પાસપોર્ટના આધારે લંડનથી અમદાવાદ આવેલી મહિલાની કરાઈ ધરપકડ, પકડાઈ જવાના ડરથી અજમાવ્યો આ કિમિયો- વાંચો

સરકારી તિજોરીને નુક્સાન કરનારા કૌભાંડીઓએ ફક્ત નકલી ટોલનાકું જ નહીં બે-બે ગેરકાયદે રસ્તા પણ બનાવી દીધા હતા. મુખ્ય રોડથી દોઢ કિલોમીટર દૂર ગેરકાયદે રસ્તો બનાવ્યો હતો. જ્યાંથી વાહનચાલકો પસાર થતાં હતા. ગેરકાયદે રસ્તા અને નકલી ટોલનાકું બનાવીને કૌભાંડીઓ સરકારી તિજોરીને નુક્સાન પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા. તેમ છતાં સરકારી તંત્રને ધ્યાને કેમ ન આવ્યુ ? આંખો છે કે બટન? તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:30 pm, Mon, 4 December 23