દૂધ સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઈ દેસાઈએ આજે ડેરીના સત્તાધીશો પર આક્ષેપ કરતા લેખિત રજૂઆત કરી હતી કે ડેરીના 4 પાવડર પ્લાન્ટ ચાલુ છે છતાં હજુ એક નવો પ્લાન્ટ બનાવવાનો નિર્ણય ખોટો છે અને પાવડર પ્લાન્ટ બનાવવાનો રદ્દ કરવાનો નિર્ણય લેતો ઠરાવ આવતીકાલે ડેરીની સાધારણ સભામાં કરવાની માંગ મોઘજીભાઈ દેસાઈએ કરી છે. જેના જવાબમાં દૂધ સાગર ડેરી મહેસાણાના સત્તાધીશો એ સોશિયલ મીડિયામાં લેખિતમાં આંકડાકીય જવાબો રજૂ કર્યા હતા.
ગઈકાલે દૂધસાગર ડેરીના ડિરેક્ટર કમલેશભાઈ પટેલનો એક પત્ર સોશિયલ મીડિયામાં જોયો જેમાં નવો પાવડર પ્લાન્ટના બનાવવા અંગેની વાત કરેલ હતી આ જાણી મેં આજરોજ વિગત તપાસવા દૂધસાગર ડેરીના મોતીભાઈ સાહેબના સમયના એક અધિકારીને પૂછ્યું કે સાહેબ વધારાનો નવીન પાવર પ્લાન્ટ કેમ બનાવો છો? ત્યારે અધિકારીની વાત સાંભળી મને આશ્ચર્ય થયું કારણ કે ડેરીના અધિકારીએ જણાવ્યું કે આ પાવડર પ્લાન્ટ વધારાનો બનાવતા નથી આપણી ડેરી પાસે પૂજ્ય મોતીભાઈ સાહેબે બનાવેલ N1,N2 N3 અને N4 નામના જુદા જુદા 140 મેટ્રિક ટન ક્ષમતાવાળા ચાર પાવડર પ્લાન્ટો છે. આ તમામ પાવડર પ્લાન્ટો 40 થી 50 વર્ષ જુના છે તેમજ જુની ટેકનોલોજીના મેન્યુઅલ પ્લાન્ટ છે જ્યારે અત્યારે આધુનિક ટેકનોલોજીવાળા ઓટોમેટીક પાવડર પ્લાન્ટ બનાસડેરી, સાબરડેરી જેવી તમામ ડેરીઓએ બનાવ્યા છે. મેન્યૂલ કરતા ઓટોમેટિક પ્લાન્ટમાં ઓછા કર્મચારીઓ જોઈએ, પાવર ખર્ચો ઓછો થાય, પાવડરનો બગાડ બિલકુલ નહિવત થાય જેના કારણે વર્ષે 20 કરોડ રૂપિયા જેટલી વધુ બચત થાય તેમજ પાવડરની ક્વોલિટી સચવાય.
અત્યારે આપણી પાસે ચાર પાવડર પ્લાન્ટ હોવા છતાં શિયાળાની સિઝનમાં જ્યારે દૂધનો પુરવઠો વધે ત્યારે આપણે લગભગ ચારથી પાંચ મહિના આ આપણા પાવડર પ્લાન્ટ પહોચી વળતા નથી તેથી બીજા પાવડર પ્લાન્ટો ભાડે રાખી પાવડર બનાવીએ છીએ. નીચે મુજબ છેલ્લા દસ વર્ષમાં આપણા પાવડર પ્લાન્ટો સિવાય સામે દર્શાવેલ દૂધના જથ્થાનું ભાડે રાખેલ પાવડર પ્લાન્ટમાં પાવડર બનાવેલ છે તેની વિગત
આમ આ ઉપર મુજબ ભાડે રાખેલ પાવડર પ્લાન્ટોમાં પાવડર બનાવવાના કારણે દૂધ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ,પાવડર બનાવવાનો ખર્ચ, બનેલ પાવડરની બેગોને ઉતારવા ચઢાવવાનો ખર્ચ, આ બેગો લાવવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વગેરેના કારણે છેલ્લા દશ વર્ષમાં લગભગ 150 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થયો છે. તેમજ આપણા પાવડર પ્લાન્ટ 40 – 50 વર્ષ જૂના હોવાથી વારંવાર બગડવાના કારણે રીપેરીંગનો ખર્ચ પણ ખૂબ આવે છે
એક નવો પાવડર પ્લાન્ટ બનવામાં એક બે મહિના નહી ત્રણ વર્ષ લાગે છે અને ન કરે નારાયણ અને સિઝનમાં આપણા આ પાવડર પ્લાન્ટ જુના હોવાથી બંધ થઈ જાય તો દૂધ ઉત્પાદકોના દૂધનું શું કરવું? છેલ્લા એક વર્ષથી દૂધના જે રીતે ભાવ દૂધ ઉત્પાદકોને મળી રહ્યા છે અને જેના કારણે દૂધનો વધારો થઈ રહ્યો છે તે જોતા મંડળીઓ બંધ રાખવાની નોબત ના આવી પડે તે માટે નવીન પાવડર પ્લાન્ટ જરૂરી છે.