Mahesana : જમીનમાંથી આવતા લાલ પાણીનું રહસ્ય, પોલ્યુશન વિભાગ પણ નથી શોધી શક્યું કારણ

કડીના રાજપુર, ભમરીયાપુરામાં વર્ષોથી બોરવેલમાંથી લાલ પાણી નીકળે છે, આસપાસની ફેકટરીઓ જમીનમાં કેમિકલ છોડતું હોવાના ગ્રામજનોના આક્ષેપ છે, જોકે પોલ્યુશન વિભાગ પણ કારણ શોધી શક્યું નથી ત્યારે લોકો કેમિકલ ફેક્ટરીમાંથી સેમ્પલ લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે

Mahesana : જમીનમાંથી આવતા લાલ પાણીનું રહસ્ય, પોલ્યુશન વિભાગ પણ નથી શોધી શક્યું કારણ
Mahesana red water coming from ground
| Edited By: | Updated on: Feb 05, 2022 | 10:14 PM

મહેસાણાના કડી (Kadi) નજીકના ગામમાં જમીનમાંથી નીકળતા લાલ પાણી (red water) એ રહસ્ય સર્જ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આવતા લાલ પાણીની સમસ્યા કોઈ ઉકેલી શક્યું નથી. બોરવેલમાંથી આવતું લાલ પાણી કયા કારણ થી નીકળે છે તે હજુ એક રહસ્ય છે. પોલ્યુશન વિભાગ(Pollution Department)   હોય કે વહીવટી તંત્ર, હજુ આ પ્રશ્ન નો યોગ્ય ઉકેલ લાવવા જાણે સૌ પાંગળા બની ગયા છે.

મહેસાણાના કડી તાલુકાના નંદાસણથી છત્રાલ હાઈવે પર આવેલ રામપુરા ગામમાં પાણીની સમસ્યા વર્ષોથી વણ ઉકેલી છે. એવું નથી કે અહી પાણી ઓછું મળે છે કે અછત છે. અહી ખેડૂતો પાસે બોરવેલની વ્યવસ્થા પણ છે. પરંતુ, સમસ્યા છે રહસ્યમય લાલ પાણીની. અહીના ખેડૂતોના બોરવેલમાંથી રહસ્યમય રીતે લાલ પાણી આવે છે. હવે આ લાલ પાણી કેવી રીતે આવે છે તે પ્રશ્ન સૌ કોઈને સતાવી રહ્યો છે.

આ સમસ્યા એક બે દિવસ કે અઠવાડિયાની હોય તો ઠીક, પરંતુ આ સમસ્યા તો છે દસ થી પંદર વર્ષ જૂની. જી હાં, છેલ્લા 10 થી 15 વર્ષોથી આ પ્રકારનું પાણી ગામના પંચાયતના બોરવેલ (Borewell) થી લઈને ખેડૂતોના ખેતરમાં પાણીના બોરમાંથી પણ લાલ પાણી આવે છે. પાણીનો બોર ચાલુ કરતા જ પહેલા લાલ પાણી આવે છે. અને થોડો સમય બાદ પાણી સામાન્ય થાય છે. તે પણ જાણે કે એક રહસ્ય બની ગયું છે.

જો કે, સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે, રાજપુર આસપાસની અંબુજા સહીતની કેટલીક કેમિકલ ફેકટરીઓ દ્વારા કેમિકલ વેસ્ટ ભૂગર્ભમાં ઉતારવામાં આવી રહ્યું છે. જેના કારણે બોરવેલમાંથી કાઢવામાં આવતું પાણી લાલ નીકળે છે.

એવું નથી કે આ મુદ્દે તંત્રને જાણ કરવામાં નથી આવી. રહસ્યમયી લાલ પાણી મુદ્દે પોલ્યુશન વિભાગને પણ જાણ કરાયેલી છે. તેમજ જીલ્લા સંકલ ની બેઠકમાં પણ આ પ્રશ્નો ઉઠ્યા છે. જીલ્લા કલેકટર દ્વારા અપાયેલ ટેલિફોનીક માહિતી મુજબ આ પાણીના સેમ્પલ GPCB દ્વારા લેવાયેલા છે. પરંતુ પાણીમાંથી કોઈ કેમિકલ મળ્યું નથી.

બીજી તરફ લાલ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નહિ આવતા રાજપુર ના ભમરીયાપુરા ની પ્રાથમિક શાળામાં પણ દાતા ઉભા કરી પાણીની પરબમાં યુ વી ફિલ્ટર પ્લાન્ટ નાખવાની ફરજ પડી છે. જેથી શાળાના બાળકોનું આરોગ્ય આ લાલ પાણીથી બગડે નહિ. ગામના નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા પણ આ મુદ્દે ઠરાવ કરી લાલ પાણીની સમસ્યા ઉકેલવા નિર્ણય લેવાયો છે. જો કે, પ્રશ્ન એ થાય છે કે, અત્યાર સુધી આટલા વર્ષોમાં કોઈ સરપંચ કે કોઈ અધિકારી આ પ્રશ્ન ઉકેલી શક્યું નથી.

આમ, રાજપુર ભમરીયાપુરા વિસ્તારમાં આવતા લાલ પાણીના રહસ્યનો કોઈ ઉકેલ નથી મળ્યો. એક ચર્ચા મુજબ આસપાસની કોઈ ફેક્ટરીનો વિરોધ કરવામાં આવે તો તે ફેક્ટરી સંચાલકો દ્વારા રાજકીય દબાણ લાવીને રજૂઆતકર્તાઓને ચુપ કરાવી દેવાય છે. તો કેટલાક ખેડૂતોને સમય સમય પર આર્થીક વળતર પણ અપાતું હોવાના કારણે ખેડૂતો મજબુર વશ ચુપ થઇ જતા હોવાની પણ ઓફ ધી રેકોર્ડ ચર્ચાઓ ચાલી રહી છે.

હવે જોવું એ રહ્યું કે, શું આ લાલ પાણી નું રહસ્યનો ઉકેલ આવશે ? આ લાલ પાણી કેવી રીતે લાલ થાય છે એનો જવાબ મળશે ? શું આ લાલ પાણીથી લોકોને ખેડૂતો ને છુટકારો મળશે ? શું આટલા વર્ષોથી લાલ પાણીની સમસ્યા ઉકેલાઈ નથી તે હવે ઉકેલાશે ? આ તમામ પ્રશ્નોના જવાબ રાજપુર ભમરીયા પુરાના ગ્રામજનો તંત્ર પાસેથી માંગી રહ્યા છે.

આ પણ વાંચોઃ Surat : ભાજપમાં જોડાયેલા AAPના પક્ષપલટું કોર્પોરેટરોનું સી.આર.પાટીલના હસ્તે સ્વાગત થશે, પણ 22 નગરસેવકોમાંથી હવે કોણ જશે તેવી ચર્ચા ગરમ

આ પણ વાંચોઃ RAJKOT : ભાજપના MLA ગોવિંદ પટેલનો ગૃહમંત્રીને પત્ર, પોલીસ કમિશનર પર રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો

Published On - 5:31 pm, Sat, 5 February 22