રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન (gujarat Minister) અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની (Vipul Chaudhary) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં પહોંચેલી પોલીસે ગાંધીનગરથી વિપુલ ચૌધરીની ધરપકડ કરી. મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના (Dudh sagar dairy) ચેરમેન પદ સમયે 320 કરોડની નાણાંકીય ગેરરીતિઓ આચર્યાનો આરોપ છે. વિપુલ ચૌધરીના પર્સનલ સીએ શૈલેષ પરીખની (Sailesh parikh) પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંનેને ACB ઓફિસ લઈ જવાયા છે.
વિપુલ ચૌધરી સામે મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ગેરરીતિના કેસમાં વિપુલ ચૌધરીના પુત્ર અને પત્ની વિરૂદ્ધ પણ એસીબીએ ફરિયાદ નોંધી છે. આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ એસીબી કરશે. રાજ્ય સરકારે કેસની કાર્યવાહી માટે વિજય બારોટની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂંક કરી છે.વિપુલ ચૌધરીને રિમાન્ડ માટે આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વિપુલ ચૌધરી સામે થયેલી કાર્યવાહી મુદ્દે ACBના જોઈન્ટ ડાયરેકટર મકરંદ ચૌહાણે જણાવ્યું કે 2005 થી 2016 સુધી ગેરરીતિ આચરવામાં આવી હતી.આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ 320 કરોડથી વધુના કૌભાંડ કર્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન મિલ્ક કુલરની ખરીદી કરી હતી, તેમાં સરકારની ગાઈડલાઇન અને ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને ખરીદીમાં ગેરરીતિ આચરી હતી. કરોડોના બાંધકામ કરાવ્યા હતા, જે બાંધકામ માટે પણ SOPનું પણ ઉલ્લંઘન કર્યું હતું. તેમણે ડેપ્યુટી સેક્રેટરી વિરુદ્ધ રિવિઝન અરજી કરી હતી જે માટે વકીલનો ખર્ચ પણ દૂધ ઉત્પાદન સંઘમાં ઉધાર્યો હતો. અને ડેરીમાં ભ્રષ્ટાચાર કરીને વિપુલ ચૌધરીએ 31 કંપની ખોલી હતી જેમાં મની લોન્ડરિંગ આચરી હોવાનું સામે આવ્યુ છે.
Published On - 9:47 am, Fri, 16 September 22