Gujarat News Fatafat : ગુજરાતભરના આજરોજ 8 જૂન 2021ને મંગળવારના તમામ સમાચાર, સંક્ષિપ્ત રૂપે ( Daily News Brief ) અહી રજૂ કરવામાં આવ્યા છે. આપ હવે આ લાઈવ બ્લોગ દ્વારા, રોજે રોજ ગુજરાતભરના તમામ સમાચાર તેમજ તમામ નાની- મોટી ઘટના અંગેના સમાચાર અંહીયા જાણી શકશો.
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 8 જૂનના રોજ કોરોનાના 695 નવા કેસ નોંધાયા છે. આ સાથે 2122 દર્દીઓ સાજા થયા છે. આ રાજ્યમાં રસીકરણ અભિયાનમાં આજે 2,58,797 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 695 કેસ, 11 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 15 હજારથી ઓછા થયા
તાજેતરમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉતેથી ઉદભવેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધાના કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. 9836 કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે.
રાજકોટના બાલાજી કુરીયરમાં થયેલી 21 લાખની લૂંટ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ બાલાજી કુરીયર કંપનીમાં કેટલાક લુટારાઓએ આવીને, કુરીયર કંપનીના તમામને બંધક બનાવીને 21 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. રાજકોટ પોલીસે, લૂટારાઓને ઝડપીને તેમની પાસેથી રૂપિયા 17.94 લાખ મળી આવતા જપ્ત કર્યા છે. સાથોસાથ લૂટમાં વપરાયેલ છરી સહીતના હથીયારો જપ્ત કર્યા છે. પોલીસની પુછપરછમાં આરોપીએ આચરેલી 10 લૂંટનો પણ ભેદ ખૂલ્યો છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી 11 અને 12 જૂનના રોજ, વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી બે દિવસમાં નૈઋત્યનું ચોમાસુ સમગ્ર મહારાષ્ટ્રમા બેસી જવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 14મી જૂનથી નર્સિગ સ્ટાફ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પાડવાનું એલાન કર્યુ છે. નર્સિગ સ્ટાફ દ્વારા રાજ્ય સરકાર અને અન્ય સંબધિત વિભાગોને હડતાળ બાબતે લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર અને નર્સિગ સ્ટાફ વચ્ચે અગાઉ, વિવિધ માંગ અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંત્રણા થઈ હતી. પરંતુ તે મંત્રણા મુજબ કોઈ જ હકારાત્મક કાર્યવાહી ના થતા, હડતાળ પર જવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાયુ છે.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે, ધોરણ 12નુ પરીણામ તૈયાર કરવા અંગે, ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડને ( Gujarat State Board of Higher Secondary Education ) પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છે કે, ધોરણ 12નુ પરીણામ તૈયાર કરવામાં, ધોરણ 10 અને 11ના માર્કસને ધ્યાને લેવા ના જોઈએ.
સાથોસાથ ગુજસેટ ( Gujset ) અને નીટ ( NEET )નું વેઇટેજ 60 ટકાથી વધારી 70 ટકા કરવા તેમજ બોર્ડના માર્કસનું વેઈટેજ 40થી ઘટાડીને 30 કરવા રજૂઆત કરી છે. શાળા સંચાલક મંડળે લખેલા પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ધોરણ 12ના પરીણામમાં ધોરણ 11ના પરીણામને પણ ધ્યાને ના લેવુ જોઈએ કારણે કે આ વર્ષે ધોરણ 11માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આથી ધોરણ 12નુ પરીણામ તૈયાર કરતા સમયે, ઓનલાઇન-ઓફલાઇન એકમ કસોટીઓ અને શાળાકીય પરિક્ષાઓને જ ધ્યાનમાં લેવાવી જોઈએ.
ગુજરાતમાં ત્રિપલ તલ્લાકનો કેસ સામે આવ્યો છે. આ કેસ એવા પરિવારનો છે કે પતિ અને પત્નિ બન્ને સરકારી નોકરી કરે છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીને, તેના પતિએ ત્રિપલ તલ્લાક આપી દિધા છે. મહિલા પોલીસ કર્મીએ, તેના પતિ વિરુધ્ધ કરેલ ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેનો પતિ ભાભર કોર્ટમાં બેલિફ તરીકે ફરજ બજાવે છે. 4 વર્ષના લગ્ન જીવન દરમિયાન તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો છે. પતિને અન્ય મહિલા સાથે સંબધ છે. જે અંગે વિરોધ કરતા પતિએ, જાહેરમાં ત્રિપલ તલ્લાક આપી દીધા.
સુરેન્દ્રનગર ધ્રાગધ્રા માલવણ હાઈવે ઉપર ગત મોડી રાત્રે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજયા છે. ધ્રાગધ્રા માલવણ હાઈવે ઉપર રાજગઢ પાસેની એક હોટલ પાસે બંધ પડેલ ટ્રક પાછળ બાઈક અથડાયુ હોવાનું પ્રાથમિક વિગત સામે આવી છે. જેમાં વિરમગામ તાલુકા સેવા સદનના એક કર્મચારી સહીત બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોચી છે.
Published On - 11:05 pm, Tue, 8 June 21