Gujarat News Fatafat : ગુજરાતભરના આજરોજ 7 જૂન 2021ને સોમવારના તમામ સમાચાર, સંક્ષિપ્ત રૂપે ( Daily News Brief ) અહી રજૂ કરવામાં આવ્યા છે. આપ હવે આ લાઈવ બ્લોગ દ્વારા, રોજે રોજ ગુજરાતભરના તમામ સમાચાર તેમજ તમામ નાની- મોટી ઘટના અંગેના સમાચાર અંહીયા જાણી શકશો.
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 5 જૂનના રોજ લગભગ 80 દિવસો બાદ 1000 થી પણ ઓછા 996 નવા કેસો નોંધાયા હતા. ત્યારબાદ 6 જૂન અને આજે 7 જૂનના રોજ પણ નવા કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે કોરોનાના 778 નવા કેસ નોંધાયા છે. આ સાથે 2915 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં રસીકરણ અભિયાનમાં આજે 2,26,335 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19 ના 778 કેસ, 11 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 16,162 થયા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના(corona) સંક્રમણ ઘટતાં હવે બધું પૂર્વવત થઈ રહ્યું છે. દુકાનો, માર્કેટ, લારી ગલ્લા, શોપિંગ સેન્ટરો, બજારો ધમધમવા લાગ્યા છે. તમામ મહાનગરોમાં હવે જનજીવન ફરી પાટે ચડતું દેખાઈ રહ્યું છે. કોરોનાના કેસો ઘટતા લોકો પણ બેફિકર જોવા મળી રહ્યા છે જે ચિંતાજનક છે.
ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાનું કોરોનાથી નિધન થયુ છે. કાળુભાઈને કોરોના થતા, તેઓ અમદાવાદ સ્થિત યુ એન મહેતા હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ થયા હતા. કોરોનાની છેલ્લા 25 દિવસથી તેઓ સારવાર લઈ રહ્યા હતા. ગત મોડી રાત્રે તેમની તબિયત લથડતા સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે. કાળુભાઈ ચાવડા ભાજપની ટિકીટ ઉપર ધારાસભ્ય ચૂંટાયા હતા. અને જિલ્લામાં ભાજપના પ્રમુખ તરીકેની કામગીરી પણ કરી હતી.
અમદાવાદની જીસીએસ (GCS ) હોસ્પિટલના રેસિડન્ટ ડોકટરો હડતાળ ઉપર ઉતર્યા છે. જીસીએસ હોસ્પિટલમાં દર્દીના પરીવારજનોએ ગઈકાલે રેસીડન્ટ ડોકટરને માર માર્યો હતો. જેનો વિડીયો પણ વાયરલ થયો છે. આ ઘટનાને લઈને રેસીડન્ટ ડોકટરો આજે હડતાળ પર ઉતર્યા છે. ડોકટરોએ માંગ કરી છે કે, માર મારનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ધરોઈ જળાશયમાંથી પાણી મેળવતા બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના 10 શહેર અને 1008 ગામમાં આગામી બે દિવસ પાણી કાપ રહેશે. ધરોઈ ડેમ હેડવર્કસ ખાતે પંપીંગ મશીનરીનુ સમારકાર હાથ ધરવાનું હોવાથી, આગામી 10 અને 11 જૂનના રોજ 2 દિવસ સુધી પાણી વિતરણ કરવામાં નહીં આવે. જેની અસર ઉત્તર ગુજરાતના 1008 ગામમાં થશે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના 10 શહેરમાં પાણી વિતરણ નહીં થઇ શકે. જેમાં વિસનગર, ખેરાલુ, વડનગર, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, કાણોદરા, છાપી, દાંતા અને અંબાજીમાં પાણી કાપ રહેશે
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામ, બીયુ કે ફાયર સેફિટીની એનઓસી વિનાની ઈમારતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે અમદાવાદના જૂહાપૂરા વિસ્તારમાં માથાભારે ઈસમ દ્વારા ગેરકાયદે બાંધી દેવાયેલ મોબાઈલ માર્કેટમાં AMCએ તોડફોડ હાથ ધરી છે. વેજલપુર પોલીસને સાથે રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે, સોનલ સિનેમા પાસે આવેલ મોબાઈલ માર્કેટ તોડવાની કામગીરી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખમીસાણા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે બાળકો ડુબી ગયા છે. પ્રાથમિક વિગત અનુસાર, 12 થી 14 વર્ષના બન્ને બાળકો પાણી પીવા માટે કેનાલમાં ગયા હતા. જ્યા પગ લપસી જતા બન્ને બાળકો કેનાલના વહેતા પાણીમાં ડૂબ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા ડૂબી ગયેલા બન્ને બાળકોની શોધખોળ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શહેર એવા પાલનપુરમાં આગામી 10 જૂનથી 12 જૂન સુધી પીવાનું પાણી આપવામાં નહી આવે. પાલનપુરને ધરોઈ ડેમમાંથી પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. ધરોઈ ડેમના હેડવર્કસ ખાતે સમારકામની કામગીરી હાથ ધરવાની હોવાથી, ત્રણ દિવસ માટે પાણી પુરવઠો આપી શકાશે નહી, જેના કારણે, આગામી 10થી 12 જૂન સુધી પાણી પુરવઠો નહી મળવાને કારણે શહેરીજનોને પીવાનું પાણી નહી આપી શકાય.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના કેસ ઘટતા, આજથી અમલમાં આવે તે રીતે ચાર પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. જેમાં આજથી તમામ સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે ચાલુ રહેશે. અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે ચાલુ રહેશે. નવુ શૈક્ષણિક સત્ર ચાલુ થશે. જેમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. તો રાજ્યભરની નીચલી અદાલતોમાં રોજીદુ કામકાજ હાથ ધરાશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સ્કુલ શિક્ષણ વ્યવસ્થા અંગે જાહેર કરેલા 2019-20ના વર્ષ માટેના પર્ફોમન્સ ગ્રેડીગ ઈન્ડેક્ષ (PGI)માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો છે. 2019-20ના વર્ષ માટેના પર્ફોમન્સ ગ્રેડીગ ઈન્ડેક્ષમાં A++ ગ્રેડ મેળવનારા રાજ્યમાં પંજાબ, ચંડીગઢ, તામિલનાડુ, આંદમાન નિકોબાર અને કેરળનો સમાવેશ થાય છે. જ્યારે A+ ગ્રેડ મેળનારા રાજ્યોમાં ગુજરાત ઉપરાંત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્લી એનસીટી, પુડ્ડુચેરી અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે પડેલા વરસાદથી, આજી 2 ડેમ ઓવરફ્લો થયો છે. આજી 2 ડેમની ઉપરવાસમાં પડેલા વરસાદથી, આજી- 2 ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે આજી-2 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા અડબાલકા, બાધી, દહિંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા ઉકરડા અને સખપર ગામના લોકોને, નદીના પટમા અવર જવર નહી કરવા સૂચના આપી છે.
રાજ્યવ્યાપી ફેલાયેલી કોરોનાની બીજી લહેરને પગલે, અમદાવાદમાં મહાનગરપાલિકા સંચાલિત બસ સેવા, કોરોનાનું સક્રમણ વધે નહી તે માટે આશરે ત્રણ માસ પૂર્વે બસ સેવા બંધ કરી દેવાઈ હતી. ત્રણ મહિના બાદ આજથી AMTS અને BRTS બસ સેવા પુનઃ શરૂ કરવામા આવી છે. 50 ટકા મુસાફરો કેપેસિટી અને 50 ટકા ફ્લિટ સાથે બસ સેવા શરૂ કરાઈ છે. સવારે 6થી રાત્રીના 8 વાગ્યા સુધી બસ સેવા ચાલુ રહેશે. ત્રણ મહિના બસ સેવા બંધ રહેતા AMTSને રૂપિયા 12 કરોડ જ્યારે BRTSને રૂપિયા 9 કરોડનુ નુકસાન થવા પામ્યુ છે.
Published On - 11:24 pm, Mon, 7 June 21