ખેડા જિલ્લાના વડતાલ મંદિરમાં આજે શ્રીજી રસોઈયા બન્યા હતા. જેમાં 50 હજારથી વધુ ભક્તોએ દિવ્ય શાકોત્સવનો લાભ લીધો. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મૂખ્ય તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ શાકોત્સવ વડતાલ પિઠાધીપતિ 1108 આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ તથા સંતો મહંતોના સાનિધ્યમાં દબદબા ભેર રીતે ઉજવાયો હતો.
ભક્તોએ મંદિરમાં દર્શન કરી લોયાનાં શાકોત્સવની અનુભુતી કરી. વડતાલ મંદિરમાં યોજાયેલ દિવ્ય શાકોત્સવ પ્રસંગે મંદિરમાં બિરાજેલા શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત આદિ દેવો સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક, રોટલા બનાવવાની સામગ્રી ઉત્સવના પ્રતીકરૂપે મુકવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ ર૦૦ વર્ષ પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી હતી.
આ શાકોત્સવમાં વપરાયેલ સામગ્રીમાં 2500 કિલો ગુલાબી રીંગણ, 1500 કિલો બાજરીના લોટના રોટલા, 1000 કિલો,ચુરમાના લાડુ, 150 કિલો ડ્રાયફુટ, 2000 કિલો વઘારેલી ડ્રાયફુટ ખીચડી, 3500 લીટર, છાશ, 200 કિલો આથેલા મરચાં, 400 કિલો ગોળ, 350 કિલો ઘી, 100 ડબ્બા તેલ, વિવિધ પ્રકારના મસાલા -1 હજાર કિલો, વિવિધ પ્રકારના શાકભાજી 2 હજાર કિલો, 100 ઉપરાંત ગામડાઓના 1000 હરિભક્તો તથા સુરત-ચરોતરની આસપાસના 500 ઉપરાંત મહિલાઓ ધ્વારા રોટલીની સેવા આપવામાં આવી છે.
વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મંદિરમાં સંપ્રદાયનો સુપ્રસિધ્ધ શાકોત્સવ મહાસુદ પૂનમના રોજ યોજાયો હતો. આ પ્રસંગે સવારે શણગાર આરતી બાદ મંદિરના સભામંડપમાં સંપ્રદાયના સુપ્રસિધ્ધ કથાકાર પૂ.જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) ધ્વારા પ્રેમાનંદ સ્વામીના કિર્તન પર કથામૃતનું રસપાન કરાવ્યું હતું.
આ દરમ્યાન આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે પૂનમ ભરવા આવતા તથા શાકોત્સવમાં પધારેલ ભક્તોને આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે રૂપિયા 300 કરોડના ખર્ચે તૈયાર થનાર નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ સ્થાપન પ્રસંગે આપ સૌ ભક્તો ઉપસ્થિત રહ્યા છો તે આનંદ અને ગર્વની વાત છે. મહારાજે વડતાલને પોતાનું કેન્દ્ર બનાવ્યું છે. જ્યાં પ્રગટ સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજ બિરાજે છે. ત્યાં ઉજવાતો કોઈપણ ઉત્સવ સમૈયા જેવો છે.
વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવાના થોડા મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે દ્વિશતાબ્દી મહોત્સવને નિમિત્ત બનાવી જે ઉત્સવો ઉજવાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે આલોક અને પરલોકના સુખ માટે દેવો પધરાવ્યા છે. પોતાનું શાશ્વત સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું છે. તે વડતાલધામમાં જે સેવા કરે છે તેને અવિનાશી સુખ મળે છે અને પ્રાપ્ત થશે તે વાત નિર્વિવાદ છે. ત્યારબાદ ગોમતી તીરે નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ આરોહણ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વડતાલ મંદિરના પૂજારી બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદએ મંદિરના દેવોને રસોયાના વાઘા ધરાવ્યા હતા. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિરના સભામંડપમાં જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ)એ 73 મી રવિસભા અંતર્ગત ધન્ય પુનમીયા નરનાર રે. એ વિષય પર કથામૃતનું રસપાન કરાવ્યું હતું. જ્યારે ગોમતી તીરે રૂપિયા 300 કરોડના ખર્ચે આકાર પામનાર નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ આરોહણ આચાર્ય મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ઠ સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં પૂજાવિધિ યોજાઈ હતી.