Kheda : યાત્રાધામ ડાકોરમાં પૂનમને લઇને ભકતોની ભીડ ઉમટી, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ખેડા જિલ્લાના ડાકોર મંદિરમાં(Dakor Temple) વહેલી સવારે 5.15 વાગે ભગવાનની મંગળા આરતી થઈ હતી. જેની બાદ ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું. ડાકોર મંદિરમાં જ્યેષ્ઠા અભિષેક સ્નાનના દર્શનનો ભક્તોમાં અનેરો મહિમા છે.

Kheda : યાત્રાધામ ડાકોરમાં પૂનમને લઇને  ભકતોની ભીડ ઉમટી, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
Dakor Temple
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jun 14, 2022 | 5:31 PM

ગુજરાતમાં  (Gujarat)  આજે જેઠ સુદ પૂનમને લઇને મોટાભાગના યાત્રાધામોમાં ભક્તોની(Devotees)  ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં (Dakor) પણ પુનમને લઇને શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોરના ઠાકોરના દર્શન કરવા પહોંચ્યા હતા. ડાકોર મંદિરમાં વહેલી સવારે 5.15 વાગે ભગવાનની મંગળા આરતી થઈ હતી. જેની બાદ ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું. ડાકોર મંદિરમાં જ્યેષ્ઠા અભિષેક સ્નાનના દર્શનનો ભક્તોમાં અનેરો મહિમા છે. જો કે ભક્તોની ભારે ભીડના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવિક ભકતોએ રાજા રણછોડના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

વૈષ્ણવ પરંપરામાં આ જ્યેષ્ઠાભિષેકનું વિશેષ માહાત્મ્ય

વૈષ્ણવ પરંપરામાં આ જ્યેષ્ઠાભિષેકનું વિશેષ માહાત્મ્ય છે અને તેની સાથે એક રોચક દંતકથા જોડાયેલી છે. પ્રચલિત કથા અનુસાર શ્રીકૃષ્ણ વ્રજવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા. કહો કે વ્રજવાસીઓ માટે તો શ્રીકૃષ્ણ જ તેમનું જીવન હતા. ત્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચેલાં નંદબાબાને વિચાર આવ્યો કે, આ જ યોગ્ય સમય છે કે હું મારા પુત્ર કૃષ્ણને મારી જગ્યાએ વ્રજનો રાજા બનાવી દઉં. તેનો રાજ્યાભિષેક કરી દઉં

પવિત્ર નદીઓના જળથી તેમનો અભિષેક કરવામાં આવ્યો

નંદબાબાએ તેમના કુલગુરુ ગર્ગાચાર્યજી આગળ તેમનો વિચાર અભિવ્યક્ત કર્યો અને ગર્ગાચાર્યજીએ જેઠ સુદ પૂનમનું મુહૂર્ત કાઢી આપ્યું. શ્રીકૃષ્ણના રાજ્યાભિષેક માટે બધી જ પવિત્ર નદીઓના જળ મંગાવવામાં આવ્યા. આખરે, જેઠ સુદ પૂર્ણિમાનો રૂડો અવસર આવી પહોંચ્યો. શ્રીકૃષ્ણએ આ દિવસે સફેદ ધોતી – ઉપરણું ધારણ કર્યા. ત્યારબાદ પવિત્ર નદીઓના જળથી તેમનો અભિષેક કરવામાં આવ્યો. આ સમયે ઋષિમુનિઓએ પુરુષસુક્તના મંત્રોચ્ચાર કર્યા અને અંતે શ્રીનંદરાયજીએ તેમના પુત્ર શ્રીકૃષ્ણનો રાજ્યાભિષેક કર્યો. શ્રીકૃષ્ણ પર થયેલો આ અભિષેક જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હોઈ તે ‘જ્યેષ્ઠાભિષેક’ તરીકે પ્રસિદ્ધ થયો. આ અભિષેકથી ‘વ્રજકુંવર’ એ ‘વ્રજરાજ’ બન્યા હતા અને એટલે જ આ દિવસે દેવને જ્યેષ્ઠાભિષેક કરવાનો વિશેષ મહિમા છે.

ડાકોરનું રણછોડરાય મંદિરની આવકમાં વધારો

ડાકોરમાં આવેલા ભગવાન રણછોડરાય મંદિરને 2021-22માં દાન પેટે 14.2 કરોડ રૂપિયા મળ્યા છે. કોરોનાકાળ પહેલા એટલે કે 2019-20માં તેનો આંકડો 14 કરોડ હતો. 2020-21માં આવક ઘટીને 7.5 કરોડ રૂપિયા થઈ હતી. આ ઉપરાંત હાલ રાજ્યના કોરોનાની કેસમાં વધારો થતાં ફરી ભાવિકોની  સંખ્યામાં ઘટાડો થવાની શકયતા છે.

Published On - 5:28 pm, Tue, 14 June 22