દરીયાઇ સીમાની રક્ષા કરતા જવાનોને કાળઝાળ ગરમીમાં રાહત આપવા રૂપિયા સવા લાખના સાધનોની ભેટ ભુજ (Kutch District) તાલુકાના જોડીયાં ગામ સુખપર અને મદનપુરના યુવાનોએ આપી છે. મંદિરના સહયોગથી યુવાનોએ એક એક-એક રૂપિયો ભેગો કરી કુલર, ફ્રીજ સહિત દોઢ લાખના સાધનો દરિયાઇ સુરક્ષા કરતા BSF જવાનોને ભેટ આપી છે. 2019ના પુલવામા આતંકી હુમલામાં વીરગતી પામેલ જવાનોની શ્રધ્ધાંજલિ સભામાં તેમના પરિવારોના સહયોગ માટે સુખપર ગામે અડધો કલાકમાં રુ. 5.50 લાખનું યોગદાન એકત્ર કરીને સરકાર સુધી પહોંચાડ્યુ હતુ અને તે જ સમયે ગામના યુવાનોએ વિચાર મુકેલ કે હવેથી આપણે દરરોજનો એક રુપિયો જવાનોને અર્પણ કરશું.
આ વિચારથી પ્રેરાઇને ગામના સ્વામિનારાયણ મંદિરોમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળના નામે દાનપેટીઓ મુકાઇ અને અત્યાર સુધી તેમાં એકત્ર થયેલ રુ. 1.25 લાખ જેટલી ધનરાશીમાંથી કચ્છની કાળઝાળ ગરમીમાં દરીયાઇ સીમાની સુરક્ષા કરતા જવાનોને રાહત મળે તે હેતુથી એરકુલર, ડીપ ફ્રિજ, પંખા, ઠંડાપાણી માટે જગ, પાણીની મોટી ટાંકીઓ, ટેબલ, ખુરસીઓ ઉપરાંત કચ્છી મેવો ખારેક અને કેસર કેરી જેવાં ફળોના મોટા જથ્થા સાથે સુખપર અને મદનપુરના ભાઇઓ, બહેનો, યુવાનો અને મંદિરના સાંખ્યયોગી બહેનો સાથે મળીને લખપત નજીકની લકીનાળાં ચોકી સ્થિત જવાનોને આ બધી વસ્તુઓ અર્પણ કરી હતી. જેમા ગામના યુવાનો સાથે મહિલા સંતો પણ જોડાયા હતા.
મંદિરના સાંખ્યયોગી બહેનો માટે આ પ્રકારે સરહદ દર્શન અને જવાનોને મળવાનો પ્રથમ પ્રસંગ હોય અર્પણ કરાયેલ વસ્તુઓમાં સ્વસ્તિક, ઓમ અને ભગવાનના નામ અંકિત કરી, કંકુ ચોખાથી વધાવીને ભગવાનના પ્રસાદ સાથે જવાનોને આ તમામ વસ્તુઓ અર્પણ કરી હતી. સાથે જવાનો કેટલી મુશ્કેલી વચ્ચે દરિયાઇ સુરક્ષા કરે છે તે પણ નિહાળ્યુ હતુ અને જવાનોને આશીર્વાદ આપ્યા હતા. મંદિર અને ગામના સહયોગ બાદ આભારની લાગણી સાથે જવાનો પણ ગામનાં મંદિરે ભગવાનના દર્શન માટે આવ્યા હતા.
મંદિરના ટ્રસ્ટી સહિત મોટી સંખ્યામા સંતો તથા ભક્તો આ સેવા કાર્યમા જોડાયા હતા પુલવામા હુમલાથી લઇ રાષ્ટ્ર પર આવેલી દરેક આપતીમા સુખપર ગામ હમેશા દેશની સેવામા અગ્રેસર હોય છે ત્યારે જવાનો પ્રત્યેનો આદર ફરી એકવાર સુખપર ગામે મુશ્કેલી વચ્ચે જવાનોને મદદ કરી દર્શાવ્યો છે.
Published On - 7:43 pm, Thu, 30 June 22