વિદેશ જવાની ઘેલછામાં મ્યાનમાર ગયેલા યુવકને થયો નરકનો અનુભવ, જાણો ગુજરાત પરત ફરવામાં કેટલો સંઘર્ષ કર્યો

|

Feb 20, 2023 | 4:24 PM

Junagadh News : કેટલાક એજન્ટોએ આપેલી પૈસા કમાવવાની લાલચમાં અનેક યુવાનો ફસાય છે અને અત્યાચારનો ભોગ બને છે. જૂનાગઢનો એક યુવાન વિદેશથી માંડ માંડ ઘરે પરત ફર્યો છે.

વિદેશ જવાની ઘેલછામાં મ્યાનમાર ગયેલા યુવકને થયો નરકનો અનુભવ, જાણો ગુજરાત પરત ફરવામાં કેટલો સંઘર્ષ કર્યો
જૂનાગઢના યુવકને મ્યાનમારમાં થયો કડવો અનુભવ

Follow us on

વિદેશમાં જવાની ઘેલછા ધરાવનારા યુવકો વિદેશમાં નોકરી, ડૉલરમાં પગાર, રહેવા-જમવાની અદ્યતન સુવિધા અને મોજ-જલસા મળે એવો કંઈક મત ધરાવતા હોય છે, જો કે દર વખતે હકીકત આવી જ હોય, તે જરૂરી નથી. કેટલાક એજન્ટોએ આપેલી પૈસા કમાવવાની લાલચમાં અનેક યુવાનો ફસાય છે અને અત્યાચારનો ભોગ બને છે. જૂનાગઢનો એક યુવાન વિદેશથી માંડ ઘરે પરત ફર્યો છે, તેની હાલત વિશે વિચારીને તેનો પરિવાર હજુ પણ ધ્રુજી ઉઠે છે. યુવકની માતાએ અનેક દિવસો ઉચાટમાં વિતાવ્યા છે.

મ્યાનમારની કંપની આપતી હતી ત્રાસ

જૂનાગઢનો પણ એક યુવક પૈસા કમાવાની લાલચમાં વિદેશમાં ગયો હતો, પરંતુ કિશન નામના આ યુવકને મ્યાનમાર નરક જેવું લાગવા લાગ્યું. કિશને ઓનલાઇન એપ્લિકેશન મારફતે ડેટા ઓપરેટીંગની નોકરી મેળવી હતી, પરંતુ જે કંપનીમાં 1 હજાર ડૉલરના પગારની કિશનને ઓફર હતી, ત્યાંથી પગાર તો ઠીક સરખુ જમવાનું પણ નહોતું અપાતું. મ્યાનમારની કંપનીએ ગ્રાહકો શોધવા માટે ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ પુરો ન થાય તો ઝાડ પર લટકાવી પાઈપો મારવામાં આવતી હતી. ટાર્ગેટ અધૂરો રહે તો હાથકડી બાંધીને રૂમમાં પુરી દેતા હતા.

કંપનીએ મુક્ત કરવા હજારો ડોલર માગ્યા

એટલું જ નહીં યુવકે જણાવેલી તેની આપવિતી મુજબ તેમને 5-5 દિવસ ભૂખ્યા પણ રાખવામાં આવતા અને જ્યારે પણ જમવાનું આપતા તો તેમાં જમવામાં નૉનવેજ અને ભાત જ આપવામાં આવતા. જ્યારે આ યુવાનોએ વતન પરત જવાની રજૂઆત કરી તો, કંપનીએ 7 હજાર ડોલરની માગ કરી હતી.

પરિવારે ખર્ચવા પડ્યા પાંચ લાખ રુપિયા

કિશને પરિવારને અત્યાચારની જાણ કરી તો, પરિવાર આઘાતમાં આવી ગયો. જે પછી પરિવારે સ્થાનિક સાંસદ, ધારાસભ્યને રજૂઆત કરી અને છેવટે કેન્દ્રની મદદથી 24 દિવસે કિશનને હેમખેમ પરત લવાયો. જો કે, કિશનને છોડાવવા પરિવારે 5 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા. પૈસા કમાવવા કિશન વિદેશ ગયો, પરંતુ પૈસા તો દૂર, પુત્ર જ પીડામાં ધકેલાઈ ગયો હતો, ત્યારે તેનો પરિવાર યુવાનોને વિદેશ ન જવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ તેમનો દાવો છે કે થાઇલેન્ડ અને મ્યાનમારમાં નોકરીના નામે લૂંટ ચાલી રહી છે.

આજે કિશન પરિવાર સાથે છે, ખુશ છે. જો કે જિંદગીના એ 24 દિવસ કિશન ક્યારેય નહીં ભૂલી શકે. જેમાં તેણે નકરથી પણ બદતર અનુભવ કર્યો. કિશન તો મુકત થયો, પરંતુ વિદેશમાં લાલચે ફસાયેલા એક નહીં આશરે 400થી 500 ભારતીય યુવાનો હોવાનો દાવો થઈ રહ્યો છે. આ કિસ્સા સમાજ માટે આંખ ઉઘાડનારા છે, વધુ પૈસાની લાલચે પીડાના નરકમાં ધકેલાઈ જવાય એવી સ્થિતિમાં ન મુકાઓ તેની સાવચેતી ચોક્કસથી રાખજો.

(વિથ ઇનપુટ-વિજયસિંહ પરમાર, જૂનાગઢ)

Next Article