જો તમે તહેવારની રજાઓમાં સિંહદર્શન માટે જવાનું વિચારી રહ્યા હોવ તો આ માહિતી તમારે જાણવી જરૂરી છે. સિંહોનું ઘર ગણાતા સાસણગીરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહદર્શન માટે આવતા હોય છે. ત્યારે કેટલાક લેભાગુ તત્વો સિંહદર્શનના બુકિંગ માટેની બનાવટી વેબસાઇટ ઉભી કરી પરમીટ આપવાને બહાને લોકોને છેતરી રહ્યા છે.અને પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા ખંખેરી રહ્યા છે.
સમગ્ર મામલે વનવિભાગને પણ ફરિયાદો મળી છે. પરંતુ પ્રવાસીઓએ સિંહદર્શન માટે ફક્ત સરકારી વેબસાઇટ પરથી જ બુકિંગ કરાવવું જોઇએ જેથી આવી કોઇપણ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય.
આ પણ વાંચો : જૂનાગઢમાં સરકારી મિલકતોનો 6 કરોડનો વેરો બાકી, વિપક્ષે પાડી પસ્તાળ, કહ્યુ 104 કરોડની ઉઘરાણી છે બાકી
આ અગાઉ ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરના સોમનાથ ટ્રસ્ટ અતિથિ ગૃહ નામની બનાવટી વેબસાઈટ બનાવી યાત્રીકો સાથે લાખોની ઠગાઈ કરવાના કેસમાં બે આરોપી ઝડપાયા હતા.ઓનલાઈન રૂમ બુકિંગ ના નામે યાત્રીકો પાસેથી રૂપિયા પડાવવા માટે બનાવટી વેબસાઈટ બનાવનાર બે ભાઈઓની દિલ્હીથી સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં 200 થી વધુ લોકો સાથે 25 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમે બે આરોપી વિનય કુમાર અને અમર કુમારની ધરપકડ કરી હતી. આ બંને ભાઈઓ મુળ દિલ્હીના રહેવાસી હતા અને વેબસાઈટ ડેવલપર તરીકે કામ કરતા હતા.
જેમાં આરોપી દિલ્હી ખાતે વેબ ગ્રો માર્કેટિંગ સોલ્યુશનના નામે ઓફિસ ધરાવતો હતો અને વેબસાઈટ બનાવતા હતા. પરંતુ 3 મહિના પહેલા બંને ભાઈઓએ સોમનાથ ટ્રસ્ટની અલગ અલગ હોટલના નામે બનાવટી વેબાસાઈટ બનાવી હતી અને જેના આધારે 200 કરતા વધુ યાત્રિકો સાથે 25 લાખની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ મળતા સાયબર ક્રાઈમે બંનેની ધરપકડ કરી હતી.
સોમનાથ ટ્રસ્ટને અગાઉ આ અંગે ફરિયાદ કરતા પ્રભાસ પાટણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે એક આરોપીની સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી. જો કે વેબસાઈટ બનાવનાર અને આ ગુનાના મુખ્ય માસ્ટરમાઈન્ડ મેવાતી ગેંગના આરોપી ફરાર થયો હતો. જેથી સાયબર ક્રાઈમે અલગથી ફરિયાદ નોંધી બે આરોપીને ઝડપી લીધા. જોકે મેવાતી ગેંગના આરોપી અને જેના ખાતામાં રૂપિયા ગયા હતા. તે તમામની ધરપકડ માટે અન્ય 3 રાજ્યમાં સાયબર ક્રાઈમનુ ઓપરેશન હાથ ધરાયુ હતું.