આજથી રાજ્યમાં વિવિધ સંસ્થાઓ અને માર્કેટિંગ યાર્ડમાં (Marketing Yard ) વેકેશનનો માહોલ શરૂ થયો છે. ત્યારે સૌરાષ્ટ્ર સહિતના માર્કેટિંગ યાર્ડમાં રજાઓ શરૂ થઈ ગઈ છે. માર્કેટિંગ યાર્ડ હવે લાભ પાંચમના રોજ ખૂલશે તો સુરત ખાતે હીરા બજારમાં પણ લાંબુ વેકેશ શરૂ થયું છે અને હીરા બજાર (Diamond market) સતત 21 દિવસ સુધી બંધ રહેશે, જ્યારે સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ (Textile Market) 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી બંધ રહેશે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત વિવિધ જિલ્લાના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાના હોવાથી જે તે જિલ્લાના માર્કેટિંગ યાર્ડના એપીએમસીના ચેરમેન દ્વારા 5થી 7 દિવસના વેેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. તે જ રીતે સુરત હીરા બજાર એસોસિયેશન દ્વારા પણ 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. વેકેશન જાહેર થતાની સાથે જ વતન બહાર રહેતા લોકોએ વતનની વાટ પકડી છે અને એસટી સ્ટેન્ડ તથા રેલ્વે સ્ટેશન પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના કાવાડ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું 7 દિવસનું આવતીકાલથી નાનું વેકેશન પાડવામાં આવ્યું છે. કાલાવડ એપીએમસી આવતીકાલથી 7 દિવસ સુધી બંધ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. આવતીકાલે 22 ઓક્ટોબરથી સાત દિવસ સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે. આગામી 29 ઓક્ટોબર લાભ પાંચમથી રાબેતા મુજબ ચાલુ થશે તેવું કાલાવડ એપીએમસીના ચેરમેન યુવરાજસિંહ જાડેજા અને વાઈસ ચેરમેન કાન્તિલાલ ગઢિયાએ ખેડૂતોને જણસી લઈને નહીં આવવા અપીલ કરી જણાવ્યું હતું.
તો રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં આગામી 24થી 29 ઓકટોબર સુધી દિવાળીના તહેવાર સંદર્ભે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. રવિવાર સહિત કુલ આઠ દિવસ યાર્ડ બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડ ખાતે કમિશન એજન્ટ એસોસીએશનની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં દિવાળીના આગામી તહેવારોને ધ્યાનમાં રાખી 24થી 29 ઓકટોબર સુધી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન રહેશે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડોમાં આગામી તા. 24થી વેકેશન શરૂ થશે જે મોટાભાગના યાર્ડમાં તા.28 સુધી ચાલશે. દરમિયાન સૌરાષ્ટ્રના યાર્ડોમાં તમામ જણસીઓની આવક બંધ રાખવામાં આવશે.
અમદાવાદમાં દિવાળીનો માહોલ બરાબર જામ્યો છે. અમદાવાદની બજારોમાં ભારે ભીડ જામી છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં રોજગારી અર્થે બીજા રાજ્યોના લોકો વસવાટ કરે છે. ત્યારે હિન્દુ સમાજના સૌથી મોટા તહેવાર એવો દિવાળી પોતાના પરિવાર સાથે મનાવવા લોકો મોટી સંખ્યામાં પોતાના વતન જઇ રહ્યા છે. ત્યારે રેલ્વે સ્ટેશન (Railway station) અને અમદાવાદના વિવિધ એસટી સ્ટેશન (ST STATION ) પર ભારે ભીડ જોવા મળી રહી છે.
મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ જવા નીકળતા અમદાવાદમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. પોતાના વતન જવા માટે મુસાફરોના ધસારાને જોતા એસટી બસ સ્ટેન્ડ પર ભારે અવ્યવસ્થા સર્જાય છે તથા ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ ગયુ છે. એસટી વિભાગ વધારાની બસો દોડાવી અને રેલવે વિભાગ વધારાની ટ્રેનો અને ટ્રેનમાં વધારાનો કોચ ઉમેરી મુસાફરોને રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Published On - 3:22 pm, Sat, 22 October 22