શિવરાત્રી પૂર્વે શનિવારે રાત્રે ‘ભક્તિફેરી’ તેમજ સોમવારે ૪૧ શિવ મંદિરોમાં ‘ઘંટનાદ’ના અનેરાં આકર્ષણો ઉમેરાશે
‘છોટી કાશી’ની ઉપમા પામેલા જામનગર શહેરમાં આ વર્ષે એકતાલીસમા વર્ષની શિવ શોભાયાત્રાને વિશેષ બનાવવાનો માહોલ સર્વત્ર છવાયો છે. દરમિયાન આ વર્ષે હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા શિવરાત્રીના મહાપર્વને રંગેચંગે યોજવાનું આયોજન કરાયું છે.
હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળના સંયુક્ત સહયોગથી ચાર દસકાથી મહાશિવરાત્રીની (Mahashivaratri) ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે. જેમાં આ વર્ષે શિવ શોભાયાત્રા (Shiva Shobha Yatra)પૂર્વે જ શહેરને શિવમય બનાવવા આ વખતે વધુ બે ધાર્મિક કાર્યક્રમોનો ઉમેરો કરાયો છે. તે મુજબ ૨૬મી ફેબ્રુઆરીને શનિવારે રાત્રે ‘ભક્તિ ફેરી’નું ઉપરાંત ૨૮મી ફેબ્રુઆરીએ સોમવારે બપોરે ૧૨ વાગ્યે શહેરના ૪૧ શિવ મંદિરોમાં ‘ઘંટનાદ’ ના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.
શનિવારે રાત્રે ભક્તિફેરી
શોભાયાત્રાના આયોજનને આખરી ઓપ આપવા સંબંધી અંતિમ બેઠક શનિવારે રાત્રે પંચેશ્વર ટાવર નજીક આવેલા શ્રી રામદૂત હનુમાનજી મંદિરે યોજાવાની છે. આ બેઠક પૂરી થયે બેઠકના સ્થળેથી ભીડભંજન મહાદેવ મંદિર સુધીની એક ભક્તિફેરી યોજાશે.
જેમાં જામનગર શહેરના હિંદુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ જુદી જુદી ધાર્મિક અને સેવાકીય સંસ્થા, જ્ઞાતિ – મંડળોના આગેવાનો તેમજ અન્ય વિવિધ જ્ઞાતિના આગેવાનો સહિત અનેક શિવભકતો ભક્તિ ફેરીમાં જોડાશે. પંચેશ્વર ટાવરથી “હર હર મહાદેવ”ના જયઘોષ સાથે ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચી ત્યાં શિવજીનું પૂજન – અર્ચન કરીને ફરીથી ભક્તિ ફેરી સ્વરૂપે ગૌરીશંકર મહાદેવ મંદિરે પહોંચશે.
૪૧ શિવાલયોમાં ઘંટનાદ
આ ઉપરાંત આ વખતે મહાશિવરાત્રીનું પર્વ આગામી પહેલી માર્ચ ને મંગળવારે આવી રહ્યું છે. આ વર્ષ શોભાયાત્રાનું ૪૧ મું વર્ષ હોય તે વિગતને કેન્દ્રમાં રાખી, શિવરાત્રીના આગલા દિવસે શિવમહિમ્ન ધરાવતો સોમવાર આવતો હોઇ, તે દિવસે શહેરના એકતાલીસ શિવમંદિરોમાં બપોરના બારના ટકોરે વિશેષ પૂજા – આરતી કરવામાં આવશે.
હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળના સંયુક્ત પ્રયાસોથી જુદા જુદા વિસ્તારમાં રહેતા અને શિવ શોભાયાત્રા સાથે સદૈવ જોડાતા વિવિધ મંડળના આગેવાનો, કાર્યકરો, સહિતના શિવભકતો દ્વારા શહેરના ૪૧ શિવ મંદિરોમાં દેવાધિદેવ ભગવાન શિવજીનું સ્મરણ કરીને સામુહિક ‘ઘંટનાદ’ કરાશે.
જામનગરના મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ) દ્વારા શહેરના તમામ શિવ ભક્તોને સોમવારે બપોરે બાર વાગ્યે પોતાના વિસ્તારમાં આવેલા શિવ મંદિરોમાં ઘંટનાદના કાર્યક્રમમાં હાજર રહી ભગવાન શિવજીનું સ્મરણ કરી ‘છોટી કાશી’ ને વાસ્તવમાં શિવમય બનાવવા અનુરોધ કરાયો છે.
Published On - 4:57 pm, Sat, 26 February 22