નવી રામસર સાઇટનો દરજજો પ્રાપ્ત કરતું જામનગર જિલ્લાનું ખીજડિયા વન્યજીવ અભયારણ્ય 

જામનગર જિલ્લાના ખીજડિયા વન્યજીવ અભયારણ્યને વૈશ્વિક વેટલેન્ડ દિવસે નવી રામસર સાઇટ જાહેર કરાઈ છે, 1971માં ઈરાનના રામસર શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેટલેન્ડના મહત્વ અંગે થયેલ ‘રામસર સંધિ’ ને અનુલક્ષીને દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ વૈશ્વિક વેટલેન્ડ દિવસ તરીકે મનાવાય છે

નવી રામસર સાઇટનો દરજજો પ્રાપ્ત કરતું જામનગર જિલ્લાનું ખીજડિયા વન્યજીવ અભયારણ્ય 
Khijariya Wildlife Sanctuary (File Photo)
| Edited By: | Updated on: Feb 02, 2022 | 5:49 PM

જામનગર (Jamnagar) જિલ્લાના ખીજડિયા વન્યજીવ અભયારણ્યને વૈશ્વિક વેટલેન્ડ (Wetlands) દિવસના પ્ર્રસંગે નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. લોકો તેમજ પૃથ્વી માટે વેટલેન્ડની ભૂમિકા અંગે વૈશ્વિક જાગૃતિ વધારવાના હેતુસર વર્ષ 1971માં ઈરાનના રામસર શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેટલેન્ડના મહત્વ અંગે થયેલ ‘રામસર સંધિ’ પર થયેલ હસ્તાક્ષરને અનુલક્ષીને દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ વૈશ્વિક વેટલેન્ડ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

હરિયાણાના ગુરુગ્રામ સ્થિત સુલતાનપુર નેશનલ પાર્ક ખાતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાત સરકાર વતી નિવાસી આયુક્ત આરતી કંવરે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ (Union Minister Bhupendra Yadav) પાસેથી ખીજડીયા વન્યજીવ અભયારણ્યને નવી રામસર સાઇટ તરીકેનો દરજ્જો મળ્યા અંગેનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું.

ખીજડિયા પક્ષી અભયારણ્ય એ 6.05 કિ.મી.ના વિસ્તારમાં તાજા પાણીનાં તળાવો,  ખારા તેમજ મીઠા પાણીનાં ખાબોચિયાં ધરાવતું હોવાથી અલગ તરી આવે છે. દેશની આઝાદી પૂર્વે રૂપારેલ નદીનાં પાણીને દરિયામાં વહી જતું રોકવા માટે ચેક ડેમ બનાવવામાં આવ્યો હતો. વર્ષો વીત્યે એક બાજુ વરસાદ અને નદીનું તાજું પાણી અને બીજી તરફ દરિયાનું ખારું પાણી હોઈ એક અલગ વિસ્તારનું નિર્માણ થયું. ખીજડિયા પક્ષી અભયારણ્ય કચ્છની ખાડીમાં જામનગર જિલ્લાના ઉત્તર પૂર્વ દરિયાકિનારે રૂપારેલ નદી અને કાલિન્દ્રી નદીના સંગમ પાસે આવેલું છે અને તેથી એકદમ ખાસ અને અલગ જીવસૃષ્ટિ ધરાવે છે.

 

ગુજરાત સરકાર વતી નિવાસી આયુક્ત આરતી કંવરે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પાસેથી ખીજડીયા વન્યજીવ અભયારણ્યને નવી રામસર સાઇટ તરીકેનો દરજ્જો મળ્યા અંગેનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું.

ભારતના જાણીતા પક્ષીનિષ્ણાત સલીમ અલી એ 1984માં ખીજડિયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી ત્યારે એક દિવસમાં પક્ષીઓની 104 જાતો શોધી કાઢી હોવાનું નોંધાયું હતું.

ખીજડીયા વન્યજીવ અભયારણ્ય ઉપરાંત ઉત્તર પ્રદેશના બખીરા વન્યજીવ અભયારણ્યને પણ રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતમાં વેટલેન્ડ ધરાવતા સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ભૌગોલિક નક્શાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ  Ahmedabad: કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓની થશે ધરપકડ, આ ત્રણેય આરોપીઓ પર પણ લાગશે ગુજસીટોક

આ પણ વાંચોઃ Surat : વ્હીકલ ટેક્સમાં વધારાથી કોર્પોરેશનને વાર્ષિક 10 થી 12 કરોડની આવક થશે

Published On - 5:11 pm, Wed, 2 February 22