જામનગર (Jamnagar) મહાનગર પાલિકામાં બઢતીનો મુદ્દો હવે વિવાદમાં આવ્યો છે. વિપક્ષના નેતા આનંદ રાઠોડના આક્ષેપો બાદ હવે ખુદ શાસક પક્ષ પણ મેદાનમાં આવ્યુ છે. ભાજપના (BJP) શાસનમાં ભાજપના ડેપ્યુટી મેયરે જ બઢતી મુદે આક્ષેપો કર્યા છે. ડેપ્યુટી મેયર તપન પરમારે કમિશનરને લેખિતમાં રજુઆત કરી છે. નિયમ મુજબ કર્મચારીઓને બઢતી આપવામાં ન આવી હોવાના આરોપ લગાવ્યા છે.
કોઇ પણ મહાનગરપાલિકામાં લોકોને કોઈ પ્રશ્નો કે સમસ્યા હોય તો શાસકોને રજુઆત કરતા હોય છે. પરંતુ જામનગર મહાનગર પાલિકામાં શાસકો પણ અધિકારી સામે ખુલીને મેદાન પડયા છે. શાસક પક્ષના ડેપ્યુટી મેયરે આક્ષેપ કર્યા છે કે રોસ્ટરના નિયમો નેવે મૂકીને બઢતીની પ્રક્રિયા થઇ છે. ડેપ્યુટી મેયર તપન પરમારે મહાનગરપાલિકામાં 2015ના મંજૂર થયેલા સેટપના નિયમોનું પાલન કર્યા વગર બઢતી કરાઇ હોવાનો આક્ષેપ કર્યો છે.
રોસ્ટરના નિયમ અનુસાર નિયત લાયકાત અનુસાર ભરતી-બઢતી કરવાની રહે છે. આમ છતાં સેટઅપ વિરુદ્ધની ભરતી થઈ રહી છે અને બઢતી આપવામાં આવી રહી છે. ભરતી બઢતીના કોઈ નિયમો મંજુર થયા નથી. આક્ષેપ કરવામાં આવ્યો છે કે રોસ્ટર રજીસ્ટર પણ સરકારી નિયમ મુજબ બનાવાયા નથી. જેમાં બે પદ પર નિયમ નેવે મુકીને બઢતી કરી હોવાનુ ડેપ્યુટી મેયર તપન પરમારે લેખિત રજુઆત કરી છે.
ડેપ્યુટી મેયર તપન પરમારે આક્ષેપ કર્યો છે કે, મંજુર સેટઅપમાં સિસ્ટમ એનાલીસીસ્ટ કમ સિનિયર પ્રોગ્રામર માટે સીધી ભરતીથી લાયકાત મંજુર થયેલી છે. પરંતુ બઢતીના ધારા ધોરણ નિયત થયા નથી. ફાયર ઓફિસરની પણ સીધી ભરતીના નિયમ છે. છતાં આ જગ્યા બઢતીથી ભરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. વર્ષ 2015 થી અત્યાર સુધી સિનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ સીસ્ટમ એનાલીસીસ્ટ કમ પ્રોગ્રામર , જુનિયર ઇજનેર, નાયબ ઇજનેર અને કાર્યપાલક ઇજનેરની અનેક જગ્યા ઉપર બઢતી અપાઇ છે. તેમાં ક્યાંય સીધી ભરતી અને બઢતીનો રેશિયો જળવાયો નથી. રોસ્ટર ક્રમાંક ધ્યાનમાં લેવાયેલ નથી. સિનિયોરિટી લિસ્ટ ધ્યાનમાં લેવાયું નથી અને વર્ષોથી ફરજ બજાવનારાઓને અન્યાય કરીને પાછલા બારણેથી વહીવટ કરીને લાગતા વળગતાઓને ખોટા પ્રમોશન અપાઈ રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
વિપક્ષના નેતા આનંદ રાઠોડના આક્ષેપો બાદ શાસકો દ્વારા પણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. વિપક્ષે જણાવ્યુ કે, શાસક પક્ષના નેતા દ્વારા પણ આ પ્રકારની રજૂઆત કરવી પડે તે ખૂબ જ શરમજનક બાબત કહેવાય. રોસ્ટર સાથે ચેડા કરનાર ડેપ્યુટી મ્યુનસિપલ કમિશનર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી બંને પક્ષે માગ કરાઇ છે.
જો કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ બાબતે જણાવાયુ છે કે, ભરતી અને બઢતીની કામગીરી નિયમો મુજબ જ કરવામાં આવી છે. છતાંય ડેપ્યુટી મેયર દ્વારા કરવામાં આવેલા સવાલોને ગંભીરતા પૂર્વક લેવામાં આવશે અને તેમાં કોઈપણ પ્રકારના રોસ્ટરના કોઈપણ નિયમોનું પાલન નહીં થયું હોય તો તેની યોગ્ય તપાસ કરીને કડક અમલવારી કરાવવાની ખાતરી મનપા કમિશ્નર દ્વારા આપવામાં આવી છે.