Jamnagar ના રહીશો પણ હવે આગ લાગે ત્યારે નુકસાન અટકાવવામાં કરશે મદદ, ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે ખાસ તાલીમ

જામનગર (Jamnagar) શહેરના 475 જગ્યાએ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર અને ટીમ દ્વારા ખાસ તાલીમ અને મોકડ્રીલ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. 1 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ તાલીમમાં હાલ સુધીમાં 40 જેટલા સ્થળો તાલીમ અને મોકડ્રીલ કરવામાં આવી છે.

Jamnagar ના રહીશો પણ હવે આગ લાગે ત્યારે નુકસાન અટકાવવામાં કરશે મદદ, ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે ખાસ તાલીમ
ફાયર વિભાગ દ્વારા ખાસ તાલીમનું આયોજન
| Edited By: | Updated on: Feb 13, 2023 | 9:52 AM

સામાન્ય રીતે કોઈ પણ આગનો બનાવ બને ત્યાર બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા તેના પર કાબુ મેળવવા માટે કામગીરી કરવામાં આવે છે. જામનગરની ફાયરની ટીમ દ્વારા આગના બનાવ બને ત્યારે તેના પર કેવી રીતે કાબુ મેળવવો જોઇએ તેના માટે લોકોને જાગૃત કરીને તાલીમ આપવામાં આવી રહી છે. આગ જેવા બનાવ બને ત્યારે વધુ નુકસાન અટકાવી શકાય તેમજ કોઈ જાનહાની ના થાય તે માટે સામાન્ય લોકો તેવી રીતે મદદરૂપ થઈ શકે તે માટે સામાન્ય લોકોને તાલીમ આપવાની ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે.

475 જગ્યાએ મોકડ્રીલ કરવાનુ આયોજન

જામનગર શહેરના 475 જગ્યાએ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર અને ટીમ દ્વારા ખાસ તાલીમ અને મોકડ્રીલ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. 1 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ તાલીમમાં હાલ સુધીમાં 40 જેટલા સ્થળો તાલીમ અને મોકડ્રીલ કરવામાં આવી છે. જે તાલીમ અંદાજે 45 મિનિટ હોય છે. ફાયર વિભાગના સ્ટેશન ઓફિસરની ટીમ દ્રારા વોર્ડ મુજબ તાલીમ આપવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

જામનગર શહેરના કુલ 16 વોર્ડમાં 142 હાઈરાઈઝ બીલ્ડિંગ, 113 હોસ્પિટલ, 102 સ્કૂલ-કોલેજ, 71 કોમર્શીયલ બીલ્ડિંગ, 39 હોટેલ-રેસ્ટોરન્ટ, 4 સિનેમાગૃહ, 4 મોલ જેવા સ્થળોએ તાલીમ અને મોકડ્રીલ કરવામાં આવશે. જયા રહેતા સ્થાનિકો નાગરિકો, મહિલાઓ, કામ કરતા કર્મચારીઓ, શિક્ષકો, સ્ટાફના સભ્યોને તાલીમ આપવામાં આવે છે. કુલ 475 સ્થળોએ ત્યાં જ ફાયરની ટીમ જઈને તાલીમ આપશે. જયા ફાયર સેફટીના સાધનો લગાવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી, તાલીમ આપવામાં આવે છે.

ફાયર વિભાગ દ્વારા ખાસ તાલીમ

ફાયર વિભાગની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવે છે. આગ જેવા બનાવો બને ત્યારે ફાયરની ટીમની મદદ કેવી રીતે લેવી, જયા સુધી ફાયરની ટીમ આવે ત્યાં સુધી આગને વધુ પ્રસરતી અટકવા માટે હાજર રહેલા સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, જેથી વધુ નુકસાન અટકાવી શકાય, તેમજ કોઈ પણ જાનહાનિ ના થાય તે માટે સ્થળ પર રહેલા લોકો કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની ખાસ તાલીમ આપવામાં આવે છે.

સરકારના આદેશ અનુસાર ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર કે. કે. વિશ્નોઈ અને ડેપ્યુટી ચીફ ફાયર સી.એસ.પાંડીયન દ્વારા તાલીમ અને મોકડ્રીલનુ આયોજન કરીને ફાયર સ્ટેશન ઓફીસરને કામગીરી સોપવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા આમ તો આગ લાગે ત્યારે જ કામગીરી કરવામાં આવે છે. પરંતુ જામનગર ફાયર વિભાગ દ્વારા આગ જેવા બનાવ બને નહી, જો બને તો બનાવ મોટુ નુકસાન ન થાય કે જાનહાનિ ન થાય તે માટે સ્થાનિક નાગરીકોને જાગૃત કરી તાલીમ આપવાનુ શરૂ કર્યુ છે.