જામનગર જીલ્લામાં આશરે 10 દિવસ પહેલા પુરથી અનેક વિસ્તાર પ્રભાવિત થયા હતા. બાદમાં પૂર પીડીતોને યુધ્ધના ધોરણે સહાય મળે તે મુજબની કામગીરી કરવાની સુચના સરકારે આપી હતી. જે બાદ સ્થાનિક વહીવટી તંત્રએ સર્વે કરી પૂર પીડિતોને સહાયની રકમ ચૂકવવામાં આવી હોવાના દાવા થઈ રહ્યા છે.. જામનગરના કલેક્ટરના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં 37 હજારથી વધુ લોકોને 14 કરોડથી વધુની ઘરવખરીની સહાય ચૂકવી છે. ઉપરાંત પશુ સહાય, મકાન નુકસાની સહાય અને અન્ય નુકસાની મળીને 3.89 કરોડ મળીને કુલ 20 કરોડથી વધુની સહાય ચૂકવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે..
એક તરફ જ્યાં કલેક્ટર સહાય ચૂકવાઈ હોવાનો અને સર્વે પૂર્ણ થયો હોવાનો દાવો કરે છે ત્યાં બીજી તરફ જામનગરના અનેક વિસ્તારમાં હજી સુધી સહાય નહીં મળી હોવાનો આક્ષેપ કર્યો છે. શહેરના વોર્ડ નંબર-4માં રહેતા સ્થાનિકો કલેકટરને મળ્યા હતા અને સર્વે પૂર્ણ કરવાની માગ કરી હતી. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને સહાય નહીં મળે તો તેઓ જન આંદોલન કરશે.
એક તરફ પૂર બાદ લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ.બીજી તરફ સરકારી ચોપડે તમામ પૂર પીડીતોને સહાય આપી દીધી હોવાનો દાવો થઈ રહ્યો છે. ત્યારે પૂરને કારણે પ્રભાવિત થયેલા એવા લોકો જે હજી સહાયથી વંચિત તેમણે ફરી સર્વેની માગ કરી સહાય ચૂકવવા ઉગ્ર માગ કરી છે. નોંધનીય છેકે જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક ગામોમાં ઘરવખરી અને મકાનોને ભારે નુકસાન થયું છે.