Jamnagar: 18 થી 59 વર્ષના નાગરિકો પૈસા ચૂકવવા તૈયાર, પરંતુ નથી મળી રહ્યો ત્રીજો ડોઝ

કોરોનાએ (Corona)ગતિ પકડતા વેક્સિન લેવાની સતત તાકીદ કરવામાં આવે છે પરંતુ જામનગરમાં વેક્સિનના સેન્ટરનો અભાવ હોવાથી ત્રીજા ડોઝ માટેની કામગીરી અટકી પડી છે

Jamnagar: 18 થી 59 વર્ષના નાગરિકો પૈસા ચૂકવવા તૈયાર, પરંતુ નથી મળી રહ્યો ત્રીજો ડોઝ
| Edited By: | Updated on: Jun 22, 2022 | 12:18 PM

જામનગરમાં (Jamnagar)18થી 59 વર્ષના લોકોને વેકિસનનો ત્રીજો ડોઝ લેવામાં મુશ્કેલી પડી રહી છે. કારણ કે ત્રીજા ડોઝ (Third dose Vaccine )માટેની વેક્સિન તો છે પરંતુ ત્રીજો ડોઝ લઈ શકાય તેવું વ્યવસ્થા તંત્ર ઉભું નથી થયું. પરિણામે જિલ્લાના નાગરિકોને દ્વારાકા કે અન્ય જિલ્લમાં જઇને વેક્સિન લેવી પડે છે, સરકારી તંત્રના જણાવ્યા પ્રમાણે હાલમાં ખાનગી દવાખાના ધરાવતા ડોક્ટર રસીકરણ માટે તૈયાર નથી , તો ત્રીજા ડોઝ માટે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે.

કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. ત્યારે તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. જામનગરમાં 18 થી 59 વર્ષના લોકો માટે વેકસીનની ત્રીજો ડોઝ ઉપલબ્ધ નથી. કોરોનાથી બચવા માટે વેકસીન એક માત્ર હથિયાર માનવામાં આવે છે. લોકો એક બાદ એક વેકસીનના બે ડોઝ સરકાર તરફથી નિ:શુલ્ક આપવામાં આવ્યા છે,  પરંતુ ત્રીજો ડોઝ નાણાં ચૂકવીને  લેવાનો હોય છે. ત્યારે જામનગરમાં 18 થી 59 વર્ષના વ્યકિતઓ માટે પૈસા ભરીને રસીનો ત્રીજો ડોઝ લેવા તૈયાર લોકોને રસી મળી રહી નથી. જામનગર જિલ્લામાં એક પણ સેન્ટર એવું બનાવવામાં નથી આવ્યું જ્યાં 18 થી 59 વર્ષના લોકો ત્રીજા તબક્કાની વેક્સિન લઈ શકે.

ત્રીજા ડોઝનો સમય થયો હોવાથી લોકોના મોબાઇલમાં વેક્સિનનો ત્રીજો ડોઝ લેવા માટે મેસેજ આવે છે. ત્યારે જાગૃત નાગરિક કોરોનાથી બચવા માટે સમયસર વેકસીનનો ત્રીજો ડોઝ લેવા માટે અનેક સેન્ટરો અને સરકારી કચેરીમાં ધકકા ખાય છે. પરંતુ એક પણ જગ્યાએ આવી સુવિધા ઉપલબ્ધ ના હોવાથી નિરાશ થાય છે. મોટા ભાગે એવું બનતું હોય છે કે સરકારીમાં સુવિધા ન મળે તો લોકો ખાનગી દવાખાનામાં જાય છે પરંતુ જામનગરમાં ખાનગી સેન્ટર પણ નથી જ્યાં ત્રીજો ડોઝ આપવામાં આવતો હોય.

કેટલીક ખાનગી કંપની, પેઢી, સંસ્થામાં વેકસીનનો ત્રીજો ડોઝ લેવો ફરજીયાત કર્યું છે ત્યારે જિલ્લાના નાગરિકો પારાવાર મુશ્કેલીમાં મૂકાયા છે. સુવિધા ના હોવાથી અન્ય જિલ્લામાં જેવા કે રાજકોટ, દ્રારકા કે અન્ય શહેરમાં વેકિસન લેવા જવા મજબૂર બન્યા છે. આ અગવડને પરિણામે લોકોના સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે.

કોરોના વેકસીન માટે શહેરમાં આરોગ્ય કેન્દ્ર અને સરકારી જી.જી. હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી થાય છે, પરંતુ તે માત્ર 12થી 18 વર્ષના કિશોરો માટે તેમજ 60 વર્ષથી ઉપરની ઉમરના લોકો માટે ત્રીજો ડોઝ આપવામાં આવે છે. આ અંગે શહેર કમિશ્નરે જણાવ્યું હતું કે ખાનગી તબીબો દ્વારા ટૂંક સમયમાં 18થી 59 વર્ષના લોકો માટે ત્રીજા ડોઝની સુવિધા શરૂ કરવામાં આવે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.