Jamnagar : આમ તો લવિંગ, બાદીયા, મરી, તજ, રઇ, હળદરનો ઉપયોગ રસોઇ બનાવવામાં થતો હોય છે. જોકે આપને જાણીને આશ્ચર્ય થશે કે જામનગરના એક મૂર્તિકારે ગરમ મરી-મસાલામાંથી સર્જનહારનું સર્જન કર્યું છે. જામનગરના બકુલ નાનાણી વર્ષોથી અવનવી શ્રીજીની મૂર્તિ તૈયાર કરતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ તેઓએ કઇંક હટકે કરવાનો નિર્ણય કર્યો. અને તૈયાર કરી ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિ. 10 યુવાનોની 25 દિવસની મહેનત બાદ આ મૂર્તિ તૈયાર થઇ છે.
ગણેશની મૂર્તિની વિશેષતા
મૂર્તિની વિશેષતાની વાત કરીએ તો, ગણેશજીની મૂર્તિમાં 3 કિલો જીરૂ, 3.5 કિલો રાઇ, 5 કિલો ધાણા, 1 કિલો બાદીયા, એડધો કિલો તજ, 1 કિલો લવિંગ સહિત 15 થી 20 પ્રકારના મરી મસાલાનો ઉપયોગ કરાયો છે. 10 દિવસ ધામધૂમપૂર્વક ગણેશોત્સવ ઉજવ્યા બાદ શ્રીજીની મૂર્તિનું દરિયામાં વિસર્જન કરાશે.
મૂર્તિકાર આ પહેલા અનેક રેકોર્ડ બનાવી ચુકયા છે
મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ આ મૂર્તિકાર અવનવી મૂર્તિઓનું નિર્માણ કરી ચૂક્યા છે. તો ગણેશ ઉત્સવ દરમિયાન અનેક રેકોર્ડ પણ આ મૂર્તિકાર બનાવી ચૂક્યો છે. જેમાં 2012માં 145 કિલોની ભાખરી, 2013માં 875 કિલોના 11 હજાર 111 લાડું, 2014માં 51.6 ફૂટની અગરબત્તી, 2015માં 2,766 ચોરસ ફૂટની ગણેશજીની મૂર્તિ અને 2017માં 791કિલો ખીચડો બનાવીને ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
નોંધનીય છેકે ગણેશોત્સવ નજીક છે ત્યારે ગણેશ મંડળો અવનવી મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યાં છે. અને, હવે ગણેશ મંડળો પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે મૂર્તિઓનું સર્જન કરી રહ્યાં છે. ત્યારે જામનગર શહેરની દગડુ શેઠ ગણેશ મંડળની આ મૂર્તિ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દર વરસે આ મંડળ દ્વારા અનોખી ગણેશની મૂર્તિઓ બનાવી લોકોમાં આકર્ષણ ઉભું કરે છે. ત્યારે આ વરસની આ મૂર્તિ પણ લોકોમાં ચોક્કસ લોકપ્રિય બનશે.
Published On - 7:30 am, Mon, 6 September 21