
આજે 29 જૂનને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
દરેક મહિનાની જેમ જુલાઈની પહેલી તારીખે 5 બદલાવ લાગુ થવા જઈ રહ્યા છે. તેની અસર દરેક ઘર અને દરેકના ખિસ્સા પર પડશે. ઘરની રસોઈમાં ઉપયોગ થનારા LPG ગેસ સિલિન્ડરની કિંમતોથી લઈ ક્રેડિટ કાર્ડના વપરાશ પર લાગતા ચાર્જમાં વધારો થઈ શકે છે. ભારતીય રેલવે પણ પહેલી જુલાઈથી પોતાના નિયમોમાં બદલાવ કરવા જઈ રહ્યું છે.
અમદાવાદના નરોડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો અને મિત્ર જ નીકળ્યો જાની દુશ્મન. બે દિવસ પહેલા નરોડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનથી બે આરોપીને ઝડપી પાડ્યા છે.. જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક તેમજ બંને આરોપી મિત્રો હતા. એકબીજાને અપશબ્દો બોલાવા મુદ્દે ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ. જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપી ભાવેશ અસારીએ સગીર મિત્ર સાથે મળી મૃતક વચનારામ પરમારને માર માર્યો. બાદમાં પાણી ભરેલા ગરનાળામાં ફેંકી હત્યા નીપજાવી. પોલીસે CCTV ફૂટેજના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા છે
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ત્રણેય મિત્રો નરોડાની ખાનગી કંપનીમાં સાથે કામ કરતા હતા અને હત્યા થઈ તે સાંજે ત્રણેય મિત્રો ચાલવા નીકળ્યા હતા જો કે, મજાકમાં થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી ગઈ. મિત્રએ જ મિત્રની હત્યા નીપજાવતા પોલીસે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડાંગ જિલ્લામાં ધીમીધારે વરસતા વરસાદે સમગ્ર વાતાવરણને આહ્લાદક બનાવી દીધુ છે. ચોમાસું જામતાની સાથે જ દર વર્ષે ડાંગમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી છે.. આ વર્ષે પણ રાજ્યના અનેક જિલ્લામાંથી પ્રવાસીઓ ડાંગમાં કુદરતી સૌંદર્યને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે.. ખાસ કરીને અંબિકા નદી ઉપરના ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.. ઉપરાંત સાપુતારામાં ધીમી ધારે વરસતા વરસાદની વચ્ચે પ્રવાસીઓએ બોટિંગ, રોપ-વે અને અન્ય પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણ્યો હતો. વરસાદી વાતાવરણ અને ધુમ્મસભર્યા દ્રશ્યોએ પ્રવાસીઓનાં મન મોહી લીધા હતા. મહાલ ઇકો ટુરિઝમ સાઇટ, શબરીધામ અને અંજનકુંડ જેવા ડાંગના અન્ય પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી.
ઉલ્લેખનીય છે કે વડોદરા અને ભરૂચ વચ્ચે જામ્બુઆ બ્રિજ, પોર બ્રિજ, કંડારી બ્રિજ પર વરસાદને લઈ રસ્તા પર ખાડા પડ્યા છે. આ ત્રણેય બ્રિજ પર ખાડાઓને કારણે સર્જાય છે ટ્રાફિક જામ. જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
કમકમાટી છૂટી જાય તેવી આ ઘટના રાજકોટ જિલ્લાના જામકંડોરણાથી સામે આવી. જ્યાં જામદાદાર ગામે ખેડૂતો આર્થિક તંગી અને નુકસાનીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. જામદાદર ગામના મૃતક ખેડૂત માધાભાઈ રાઠોડે 7 વિઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. મગફળીના વાવેતરમાં ખર્ચ જેટલું પણ વળતર ન મળ્યું જેથી ખેડૂત હતાશ થઈ ગયો હતો. સાથે જ ધાર્યા કરતા ખેડૂતને ઉત્પાદન પણ ખૂબ ઓછું મળવાના કારણે મોટો આર્થિક ફટકો પડ્યો હતો. સાથે જ કમોસમી વરસાદ બાદ આર્થિક નુકસાનથી તેઓ કંટાળ્યા હતા. જેથી બપોરના સમયે વાડીની ઓરડીમાં ગળેફાંસો લગાવી પોતાનું જીવન ટુંકાવ્યું.
પુરીના ગુંડિચા મંદિર પાસે મળસ્કે 4 કલાકે નાસભાગ થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ભગવાન બલભદ્ર અને સુભદ્રાજીના રથ અંતિમ સ્થળ સુધી પહોંચી ગયા હતા. બાદમાં, ભગવાન જગન્નાથનો રથ તેમના માસીને ત્યાં, ગુંડીચા મંદિર પહોંચ્યો હતો. જ્યાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.. આ દરમિયાન દોડધામ મચી અને જોતજોતામાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ.
તો આ તરફ હાથીને માર મારવાના વીડિયો પર વિવાદ વધતા હાથીખાનાના મહંત જગદીશ મહારાજે ઘટનાને વખોડી છે.. તેમણે દાવો કર્યો છે કે હાથીને માર મારનાર વ્યક્તિ કોણ હતો તેની તપાસ ચાલુ છે.. પોલીસ સાથે મળી તેઓ પગલાં લેશે.. હાથીને માર મારવો અયોગ્ય છે અને માર મારવા પાછળનું કારણ જાણી આરોપી સામે પગલાં ભરવામાં આવશે..
ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં 31 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે રવિવારે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના સમયગાળામાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વિરમગામ તાલુકામાં 3.11 ઈંચ નોંધાયો છે. મહેસાણાના કડીમાં અઢી ઈંચ, સુરતના ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.
સુરત શહેરમાં અસલી સોનાના માર્કા સાથે ભેળસેળયુક્ત સોનાના દાગીના વેચનારા 12ની ધરપકડ કરવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાંથી હોલમાર્ક ખરા પરંતુ તેમા ભેળસેળયુક્ત દાગીના બનાવતુ કારખાનું ઝડપાયું છે. આ કારખાનામાં ઉત્પાદિત થતા દાગીના ઉપર 100% શુદ્ધનો સિક્કો મારીને તેમાં માત્ર 23 % ગોલ્ડ નાખી હોલમાર્કની સિક્કો લગાવીને વેચાણ કરતા હતા. સુરત પોલીસે, ચાર ચેન, ચેન બનવાનું મશીન, હોલમાર્કનો સિક્કો કબજે કર્યા છે. ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલ વેલંજા ખાતે રુદ્રાક્ષ સોસાયટીમાં ઘરમાં જઅસલી સોનાના નામે ભેળસેળયુક્ત સોનાના દાગીના બનાવવામાં આવતા હતા. આ કેસમાં, વિવેક સોની મુખ્ય આરોપી સહિત 12 લોકો સાથે મળી ભેળસેળયુક્ત સોનુ બનાવતા હતા. એક મહિનાથી આ કારખાનું ચલાવવામાં આવતું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે વધુ એક ભૂવો પડ્યો છે. કાંકરિયા પુષ્પકુંજ સોસાયટીના પ્રવેશદ્વાર બહાર જ મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે. દરરોજ હજારો વાહનો સાથે વાહનચાલકો અહીંથી પસાર થાય છે. મુખ્ય રોડ પર મસમોટો અંદાજિત 25 ફૂટ લાંબો અને 15 ફૂટ પહોળો ભૂવો પડતા ટ્રાફિક સમસ્યા સર્જાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જૂનાગઢ જેલમાંથી ચાર કેદીએ ફરાર થવાની કોશિષ કરી હતી. રાત્રિના સમયે બેરેકના લોખંડના સળિયા વાળીને બાજુ બિલ્ડિંગમાં છુપાયા હતા. રાત્રિ ડ્યુટી કરતા ગાર્ડે, જેલ અધિકારીએ જાણ કરી હતી. જેલના તમામ સ્ટાફ દ્વારા જેલને કોર્ડન કરી લેવામાં આવી હતી. ચારેય કેદીઓ ભાગતા પહેલા જ પકડી લેવાયા હતા. જેલ તોડીને ભાગી છૂટવાનો પ્રયાસ કરનારા આરોપીઓમાં, ચારેય આરોપીઓ અલગ અલગ પોક્સોના ગુન્હામાં જેલમાં આવ્યા હતા. પોતાને મોટી સજા થશે તેવા ડરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું છે. દિલ્હીગેટ ગોપાલજીની હવેલી નજીક આવેલ હતુ આ વૃક્ષ. વિશાળ વૃક્ષ ધરાશાયી થતા એક રીક્ષા અને એક મકાનને નુકશાન પહોંચ્યું છે. સદનસીબે વૃક્ષ તુટી પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ઝાડ પડ્યું ત્યાં નજીકમાં જ ભગવાન ગણપતિજીની મૂર્તિ તેયાર કરવામાં આવતી હતી. ઝાડ પડવાથી ગણપતિજીની મૂર્તિને પણ કોઈ નુકશાન થયું નથી.
સુરત એરપોર્ટનું વિસ્તરણ કરવા માટેનુ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેના માટે ગુજરાત સરકારે ખાસ નાણાકીય જોગવાઈ કરીને રૂપિયાની ફાળવણી કરી હતી. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે કુલ 215 કરોડ મંજૂર કર્યા હતા. જેમાંથી 100 કરોડનો પ્રથમ હપ્તો જમીન સંપાદન માટે આપવામાં આવ્યો હતો. પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ, જમીન સંપાદનની જરૂર ના હોય તેવો પત્ર લખતા, વિભાગે નાણાં પરત કર્યા છે.
સુરતમાં જિલ્લા પંચાયત દ્વારા અનાધિકૃત કબજેદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન નજીક 100 કરોડથી વધુની કિંમતની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. છ દાયકા જુના અને અનઅધિકૃત કબજાનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની 800037 ચોરસ મીટર જગ્યામાં અંબિકા ઓટોમોબાઇલ તેમજ રાણા ટ્રાવેલ્સ દ્વારા દબાણ કરાયું હતું. આ દબાણ વર્ષોથી ખાલી કરવામાં આવતું ના હતું તેથી તેને ડિમોલિશન કરી તોડી પાડવામાં આવ્યું છે. 1961માં જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા મિલકત જિલ્લા પંચાયત હસ્તક આવી હતી. 1960 ના અરસામાં આ પેઢીઓને સાત વર્ષ માટે લીઝ પર જમીન અપાઈ હતી. સમય મર્યાદા પૂરી છતાં આ પેઢી જમીન ખાલી કરતી ના હતી અને છેલ્લા 50 વર્ષથી મંજૂરી વગર જ દબાણ કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથના ઉનાના આમોદ્રા ગામે શિકારની શોધમાં દીપડો ઘરમાં ઘૂસ્યો હતો. આજ રોજ વહેલી સવારના સમયે દીપડો ઘરમાં ઘૂસ્યો હતો. આમોદ્રા ગામે શિકારની શોધમાં આવેલ દીપડો ઘરના પાછળના ભાગેથી રસોડામાં ઘૂસ્યો હતો. ઘર માલિક રમેશભાઈ ડોડીયાએ ઘરનો દરવાજો ખોલતા જ શિકારની શોધમાં આવેલ દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ હુમલો કરતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘરમાં ઘૂસેલા દીપડાને વન વિભાગ દ્વારા ટ્રાન્કવિલાઈઝર ગન વડે બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યો છે. પાંજરે પુરાયેલ દીપડાને વન વિભાગ દ્વારા જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઇ જવાયો.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 54,032 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવાનીરની આવક થવા પામી છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 118.08 મીટરે પહોચી છે. પાણીની આવક થતા CHPH 1 અને RBPH ના 4 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. પાવર હાઉસ ચાલુ થતા નિગમને કરોડો રૂપિયાની આવક થશે. નર્મદાની મેઈન કેનલમાં 12,200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ઘરે બેઠા બેઠા રૂપિયા કમાવવાની લાલચમાં પ્રૌઢે 62.93 લાખ ગુમાવ્યા છે. મૂળ આંધ્રપ્રદેશના અને હાલ મોરબીમાં રહેતા પ્રૌઢ સાથે 62 લાખની છેતરપિંડી થવા પામી છે. ટેલીગ્રામમાં વિવિધ આઇડી મારફતે ઘરે બેઠા રૂપિયા કમાવવાની લાલચ આપી પ્રૌઢ પાસે લાખોનું રોકાણ કરાવ્યું હતું. લાલચમાં આવી ધીરે ધીરે પ્રૌઢે 62.93 લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કરી દીધા
છેતરાયા હોવાની જાણ થતા સત્યનારાયણ નાગેન્દ્રવરાપ્રસાદ નામના પ્રૌઢ એ ફરિયાદ નોંધાવી છે. મોરબી સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી
ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 232 તાલુકામાં વત્તાઅંશે વરસાદ નોંધાયો છે. સૌથી વઘુ વરસાદ નવસારી જિલ્લાના ચિખલીમાં 88 મિલિમીટર નોંધાયો છે. આ સાથે ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં કૂલ 31 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ભાવનગર શહેરના ઉપરકોટ વિસ્તારમાં આવેલ ખાડા વાળી શેરીમાં, 2 માળનું મકાન ધરાશાયી થયુ હતું. પડી ગયેલા મકાનના કાટમાળમાં 2 માણસ ફસાયેલનો મેસેજ મળતા, ભાવનગર શહેર ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ધરાશાયી થયેલ મકાનના કાટમાળમાં અંદર તપાસ કરતા બે લોકો દબાયા હતા. તેઓને બહાર કાઢતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેને લઈને સ્થાનિક માણસો તેમજ ફાયર બિગેડની ટીમ દ્વારા બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે મોકલાયા હતા, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.
સાબરકાંઠાના ઈડરના ફિંચોડમા પિતાએ પુત્રને કૂવામાં નાંખી પોતે આપઘાત કર્યો છે. વ્યાજખોરોના ત્રાસથી તંગ આવી જઈ લાચાર પિતાએ આ પગલું ભર્યું હતું. પાંચ વર્ષના પુત્રને કુવામાં નાંખી દઈ પોતે પણ પડતું મૂક્યું હતું. કુવામાં પડતા પિતા-પુત્ર બંનેના મોત નીપજ્યાં છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે સ્યુસાઈડ નોટ આધારે તપાસ હાથ ધરી છે.
પંચમહાલના પાવાગઢ ખાતે કારમાંથી યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પાવાગઢ તળેટીમા આવેલ એસ ટી બસ સ્ટેન્ડ સામે પાર્ક કરેલ કારમાંથી યુવક યુવતીની લાશ મળી આવી છે. લોક કરેલી કારમાંથી યુવક યુવતીની લાશ મળી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી એક્સપર્ટની મદદથી કારનું લોક ખોલ્યુ હતું. પોલીસે યુવક યુવતીની લાશને કારમાંથી બહાર કાઢી હાલોલ હોસ્પિટલમાં પી એમ અર્થે મોકલાવી છે. પ્રાથમિક તપાસમાં યુવક યુવતી હિંમતનગરના હોવાનું અને કાર પાછલા બે દિવસથી પાર્ક કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.
જામનગરના લાલપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક પુલ નીચે ખાબકતા બે યુવાનોના મોત થયા છે. જ્યારે
એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લાલપુરથી પોરબંદર હાઇવે ઉપર આ ધટના બની હતી. મૃતક બંને યુવાનો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડનું ડ્રગ્સ પકડાયુ છે. આંતરરાષ્ટ્રીય એરપોટ પરથી 2 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ પકડકવાનો સિલસિલો યથાવત રહેવાપામ્યો છે. થાઈલેન્ડથી ડ્રગ્સ મંગાવ્યાનો ખુલાસો થયો છે. હાઈબ્રિડ ડ્રગ્સ સાથે એક પેડલરની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા પેડલર સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. એરપોર્ટથી પકડાયેલ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત કરોડો રૂપિયાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Published On - 7:27 am, Sun, 29 June 25